ભવસાગરમાંથી મુક્ત કરનાર અને કળિયુગના જીવોના ઉદ્ધાર માટે શિવજીની આરાધના કે શિવલિંગની આરાધનાથી બીજું ઉત્તમ ઔષધ શું હોઈ શકે? બીજા અર્થમાં કહીએ તો ભવોભવનાં બંધનને દૂર કરનાર મુખ્ય ઉપાય આ શ્રાવણ માસની શિવભક્તિ જ છે.
શિવભક્તિ ઉત્તમ ઔષધ
સૂતજી, મહર્ષિઓને તેના પ્રશ્નોના ઉત્તરમાં જણાવે છે કે મહર્ષિઓ, મારો આ ઉપદેશ તમને ભક્તિમાર્ગમાં માર્ગદર્શક બનશે. આ અજ્ઞાનરૂપી ઘોર અંધકારને હટાવી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર જો કોઈ પ્રવૃત્તિ હોય તો તે છે શિવભક્તિ. શિવલિંગાર્ચનથી પણ માનવ મુક્ત થઈ, જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ, નિત્ય શિવલોકમાં નિવાસ કરે છે. આ બાબત શિવમહાપુરાણમાં પણ વર્ણિત છે.
આપણને પ્રશ્ન એ થાય કે શિવજીની આરાધના, શિવજીની ભક્તિ કઈ રીતે થઈ શકે? કઈ દિશામાં બેસીને પૂજા કરી શકાય તો ઉત્તમ ફળ મળે? શિવજીના કયા સ્વરૂપની પૂજા ઉત્તમ છે? શિવજીના કયા મંત્રથી જીવનો ઉદ્ધાર થાય? આવા અનેક પ્રશ્નો આપણને સતાવ્યા કરે એ સ્વાભાવિક છે, પણ શિવજીની ભક્તિ ખૂબ સરળ છે. ખૂબ સહેલાઈથી શિવ પ્રાપ્ત થાય છે. ભોળા મહાદેવજી ભક્તની પરિસ્થિતિ સમજી સહુને પોતપોતાનાં કર્મ મુજબ ભક્તિનું ફળ આપે છે અને સિદ્ધિ પ્રદાન કરે છે.
શિવભક્તિની સફળતા માટે પૌરાણિક માર્ગદર્શન
ખાસ કરીને શિવજીની પ્રસન્નતા માટે શિવપૂજા કરવા માટે સાધકે, ભક્તોએ ઉત્તરાભિમુખ બેસીને શિવની અર્ચના, પૂજા, ભક્તિ કરવી જોઈએ. પૂર્વાભિમુખ બેસીએ તો શિવ અને સાધક બંને એક દિશામાં આવે તે યોગ્ય સ્થિતિ નથી. દક્ષિણાભિમુખ બેસીએ તો માતાજીના સ્થાનનો દોષ લાગે છે. પશ્ચિમાભિમુખ બેસીએ તો શિવજીનો પાછળનો ભાગ આવે તેથી એ દિશા પણ યોગ્ય નથી. સૌથી ઉત્તમ ઉત્તરાભિમુખ બેસીને પૂજા-આરાધના ઉત્તમ ફળ આપે છે.
શિવપૂજા કરવા માટે સૌથી ઉત્તમ અને અનિવાર્ય દ્રવ્યમાં ભસ્મ, રુદ્રાક્ષ અને બીલીપત્રનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આ દ્રવ્ય વિનાની સેવાપૂજા ફળ પ્રદાન કરતી નથી. આ ઉપરાંત ગંગાજળ, સમુદ્રજળ, પંચામૃત, તલ, કાળા તલ, દૂર્વા, આકડો, ધતૂરાનાં ફૂલ, કોયલનાં ફૂલ, ઋતુફળનો રસ, શુદ્ધ અત્તર, ચંદન જેવાં પવિત્ર દ્રવ્યો વડે શિવપૂજા કરવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે.
શિવજીના શિવલિંગ સ્વરૂપની આરાધના-પૂજા ઉત્તમ મનાય છે તેવું શિવપુરાણમાં કહ્યું છે. જેમાં શાસ્ત્રએ જણાવ્યા પ્રમાણે વર્ણ મુજબ જોઈએ તો, બ્રાહ્મણો માટે રસલિંગ અતિ ઉત્તમ છે. ક્ષત્રિયો માટે બાણલિંગ શ્રેષ્ઠ છે. આ લિંગપૂજા તેઓને સામ્રાજ્ય-સિદ્ધિ પ્રદાન કરે છે.
આ ઉપરાંત શિવજીનાં આઠ સ્વરૂપોની પૂજા ઉત્તમ મનાય છે. જેને શાસ્ત્રમાં અષ્ટ સ્વરૂપ પૂજા કહેવાય છે. શિવજીનાં અનેક સ્વરૂપો પૈકી ભારતવર્ષના ઋષિમુનિઓ આ અષ્ટ સ્વરૂપની પૂજા કરવા હંમેશાં ભલામણ કરે છે. જે આઠ સ્વરૂપો આ મુજબ છે. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન. આ આઠેય સ્વરૂપમાં શ્રેષ્ઠમૂર્તિ યજમાન છે. યજમાન એટલે કે આપણા શરીરમાં બિરાજમાન-આત્મા છે. જે વ્યક્તિ હંમેશાં પોતાનું કલ્યાણ ઇચ્છે છે તેણે આઠેય સ્વરૂપની પૂજા કરવી જોઈએ. આઠેય મૂર્તિનાં નામ આ પ્રમાણે છે. ભૂમિ એટલે શર્વ, જલમૂર્તિને ભવ કહેવાય છે. અગ્નિસ્વરૂપને પશુપતિ, શરીરમાં રહેલા વાયુ સ્વરૂપને ઈશાન, શરીરમાં રહેલા છિદ્ર સ્વરૂપ આકાશને ભીમ, શરીરમાં રહેલા ચક્ષુ સ્વરૂપને સૂર્યને રુદ્ર કહેવાય છે. વ્યક્તિના મનને ચંદ્ર સ્વરૂપ કહેવાય છે. શરીરના પરમ તત્ત્વ આત્માને આઠમી મૂર્તિ ઉગ્ર નામે ઓળખાય છે.
આઠેય સ્વરૂપની પૂજાને ટૂંકમાં સમજીએ તો તમામ જીવોનાં શરીરમાં શિવજીનાં આ આઠેય સ્વરૂપો દેદીપ્યમાન છે. માટે તમામ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિનું માન-સન્માન જાળવી લઈએ. કોઈને પણ તરછોડીએ નહીં. તમામને આદર-સત્કાર આપીએ તો એ શિવજીનાં આઠેય સ્વરૂપની આરાધના કરી ગણાય છે.
શિવજીના મુખ્ય ત્રણ મંત્રો અતિ ઉત્તમ છે. આ ત્રણ પૈકી કોઈ પણ મંત્રના જપ, તેનું અનુષ્ઠાન માનવનો ઉદ્ધાર કરે છે.
(1) પંચાક્ષર મંત્ર : `ૐ નમ: શિવાય’ આ મંત્રના સતત જપ-પાઠ માનવને ભવબંધનના ફેરામાંથી મુક્ત કરે છે. પંચાક્ષર મંત્ર એ માનવ કલ્યાણ માટેનું અતિ ઉત્તમ અને સરળ ઔષધ છે. કોઈ પણ માનવે મનના અને શરીરના રોગોને વિકારોને દૂર કરવા માટે નિત્ય ત્રણ સમય આ પંચાક્ષર મંત્રનું ઔષધ લેવું જોઈએ. અર્થાત્ નિત્ય આ મંત્રના જપ કરવા જોઈએ.
(2) મહામૃત્યુંજય મંત્ર
– ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્।
ઉર્વારુક્મિવ બંધનાત મૃત્યોર્મોક્ષીય મામૃતાત્॥
– ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્।
જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધનાત્॥
આ મંત્રના જાપથી માનવ મૃત્યુને જીતી લઈ સંસારનાં તમામ મૃત્યુ રૂપ અનિષ્ટો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. અર્થ એ થયો કે ગમે તેવી પરિસ્થિતિમાં વ્યક્તિ અંત સમયે મૃત્યુના ભયથી ડરતો નથી અને આ સંજોગોમાં અંત સમયમાં પણ તેનું સ્મરણ આ મંત્રમાં કે શિવજીમાં રહે છે તેના ફળસ્વરૂપ એ જીવ ભવબંધનના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષગતિ પ્રાપ્ત કરે છે.
શિવભક્તિ-શિવપૂજા કરવાનો મુખ્ય હેતુ
શિવપૂજન કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ અને કર્મ બધું જ વશમાં આવી જાય છે. જીવ મુક્ત થઈ જાય છે. મૃત્યુ બાદ જીવ શિવલોકમાં ગતિ કરે છે. એટલે કે સાલોક્ય મુક્તિ મેળવે છે. જીવની તમામ તન્માત્રાઓ વશ થઈ જાય છે ત્યારે જીવમાં જગદંબા અને શિવજીની સાથે કાયમ રહે છે. આ પરિસ્થિતિને જીવની સામીપ્ય મુક્તિ કહેવાય છે. ત્યારબાદ પુણ્યફળના પ્રતાપે જીવ શિવજી જેવું જ સ્વરૂપ ધારણ કરે છે. તે સાયુજ્ય મુક્તિ કહેવાય છે.