- ચૂંટણી પહેલા ભાજપે પોતાનું જનસંપર્ક અભિયાન કર્યું તેજ
- ભાજપ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ અભિયાન ચલાવશે
- લાભાર્થીઓનું સમર્થન મેળવવા માટે ભાજપનો એક્શન પ્લાન
લોકસભા ચૂંટણી 2024ને લઇ ભાજપની તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં લાભાર્થીઓનું સમર્થન મેળવવા માટે ભાજપ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ અભિયાન ચલાવશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં PM મોદીના પત્રનું વિતરણ કરશે અને તેમના ઘર પર સ્ટીકર લગાવશે.
મળતી માહિતી મુજબ તમામ 25 લાખ મંડલ સ્તરના કાર્યકરોને 20થી 40 લાભાર્થીઓ સુધી પહોંચવાની જવાબદારી આપવામાં આવશે. લાભાર્થીઓનો સંપર્ક કરનાર ભાજપના કાર્યકરો પાર્ટીના સમર્પિત મોબાઈલ નંબર 9638002024 પર મિસ્ડ કોલ કરશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી છે અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે અને ચૂંટણી પહેલા ભાજપે પોતાનું જનસંપર્ક અભિયાન તેજ કરી દીધું છે.
લાભાર્થીઓના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે
ભાજપના કાર્યકરો લાભાર્થીઓ સાથે ફોટા અને વીડિયો બનાવશે અને તેમની પ્રતિક્રિયાઓ સાથે સોશિયલ મીડિયા, નમો એપ અને સરલ એપ પર અપલોડ કરશે. ભાજપે લાભાર્થી સંપર્ક અભિયાન માટે ત્રિ-સ્તરીય ટીમ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્ય, લોકસભા મતવિસ્તાર અને મંડલ સ્તરે નેતાઓની ટીમો બનાવવામાં આવી રહી છે. આ ટીમ રાજ્ય, લોકસભા અને વિભાગીય સ્તરે લાભાર્થીઓ પાસે જશે અને તેમની સાથે આ યોજનાઓમાંથી તેમને મળનારા લાભો વિશે વાત કરશે અને તેમના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે.
ભાજપે 17 સભ્યોની બનાવી ટીમ
ભાજપ 24મી ફેબ્રુઆરી સુધી દરેક લોકસભા સ્તરે ભાજપના નેતાઓ માટે વર્કશોપનું આયોજન કરશે અને પ્રચાર માટે નેતાઓને તાલીમ આપશે. ભાજપે તમામ પ્રદેશ પ્રમુખોને પત્ર જારી કરીને લાભાર્થી સંપર્ક અભિયાનમાં ભાગ લેવાનો નિર્દેશ આપ્યો છે. લાભાર્થી અભિયાનને યોગ્ય રીતે લાગુ કરવા માટે ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વની વૈષ્ણવના નેતૃત્વમાં 17 સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમના 10 નેતાઓને સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.


