- જિલ્લાના કલેક્ટર, SP, DEO-DPEO સાથે મંત્રીની VC
- જિલ્લાઓએ સત્વરે જરૂરી જાહેરનામાં પ્રસિદ્ધ કરી દેવાની સૂચના
- બોર્ડની પરીક્ષા સમયે જ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા લાગુ પડશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર, એસટી તેમજ શિક્ષણના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગાંધીનગરથી લેવાયેલી આ VC દરમિયાન રાજ્યના ગૃહ વિભાગ, એસટી નિગમ, GEB તેમજ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે, બોર્ડની પરીક્ષા સમયે જ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતાના લીધે વિદ્યાર્થીઓની પરીક્ષા કામગીરી ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બોર્ડની પરીક્ષામાં શિક્ષણ ઉપરાંત અન્ય વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાતા હોય છે. બીજી તરફ આચારસંહિતા અને ચૂંટણીની કામગીરીમાં પણ શિક્ષણ સહિતના કર્મચારીઓ જોડાશે. આથી તમામ જિલ્લાઓએ એ પ્રકારનું આયોજન કરવાનું રહેશે કે જેનાથી પરીક્ષા કામગીરી ખોરવાય નહીં. આ સિવાય મંત્રીએ તમામ જિલ્લાઓને સૂચના આપી છે કે, બોર્ડની પરીક્ષા સંદર્ભે જરૂરી જાહેરનામાં જો પ્રસિદ્ધ કરવામાં ન આવ્યા હોય તો તે સત્વરે કરી દેવામાં આવે.


