સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ
મંદિર માર્ગ આખલાઓના ટોળાએ અડીંગો જમાવતા વાહન વ્યવહાર ખોરવાયો: બે આખલા બાખડતા યાત્રાળુઓમાં ભય
અગ્ર ગુજરાત, સોમનાથ
ભગવાન શંકરનું વાહન નંદી છે ત્યારે સોમનાથ મંદિર પરિસર અને આસપાસના માર્ગો પર છેલ્લા કેટલાક દિવસોથી રખડતા આખલાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર આખલાઓના ટોળાં અડીંગો જમાવીને બેસી જતા હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. તેવામાં મોડી રાત્રે બે આખલા રોડ વચ્ચે બાખડ્યા હતા. સામસામે શિંગડા ભેરવીને રોડ માથે લીધો હતો. ઓછામાં પૂરતું લાઈટ પણ ન હતી. આ પરિસ્થિતિને કારણે દર્શન માટે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન તેમજ ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે આખલાઓ રસ્તાની વચ્ચે ઊભા રહી જતા હોવાથી કાર, બસ, ઓટો અને દ્વિચક્રી વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. અનેક વખત આખલાઓ વચ્ચે રસ્તા પર જ લડાઈ થતી હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે અને મોટા અકસ્માતની આશંકા પણ સેવાઈ રહી છે.
સમસ્યાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે મંદિર આસપાસના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. રાત્રિના અંધકારના કારણે રસ્તા પર બેઠેલા આખલાઓ વાહનચાલકોને સમયસર નજરે પડતા નથી, જેના કારણે રાહદારીઓ અને ચાલકો માટે જોખમ બમણું થઈ ગયું છે. ખાસ કરીને બહારગામથી અજાણ્યા રસ્તે આવતા યાત્રાળુઓને રાત્રિના સમયે ભારે મુશ્કેલી પડે છે.
સોમનાથમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આવા સમયે મંદિર પરિસરની સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાની સાથે રખડતા ઢોરના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય બન્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે, મંદિર આસપાસથી રખડતા આખલાઓને તાત્કાલિક પકડીને પાંજરાપોળ કે અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે.બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટોને વહેલી તકે રિપેર કરીને કાર્યરત કરવામાં આવે.
આ સુવિધાઓ સુનિશ્ચિત થવાથી યાત્રાળુઓ અને સ્થાનિકો નિર્ભયતાથી અવરજવર કરી શકશે. હવે સ્થાનિક તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


