- ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ટાઇગર સફારીને લઇ નિર્ણય
- ટાઈગર સફારીને માત્ર જિમ કોર્બેટ નેશનલ પાર્કના પેરિફેરલ અને બફર ઝોનમાં જ મંજૂરી
- આપણે સંરક્ષિત વિસ્તારોની બહાર વન્યજીવ સંરક્ષણ વિશે વિચારવું પડશે: SC
સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ટાઇગર સફારી પર પ્રતિબંધ મૂક્યો. આ આદેશ બાદ હવે ટાઈગર સફારીને માત્ર જિમ કોર્બેટ નેશનલ પાર્કના પેરિફેરલ અને બફર ઝોનમાં જ મંજૂરી આપવામાં આવશે.
જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. જિમ કોર્બેટ નેશનલ પાર્કના મુખ્ય વિસ્તારોમાં ટાઇગર સફારી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નવા આદેશ બાદ ટાઈગર સફારીને માત્ર કોર્બેટ નેશનલ પાર્કના બફર ઝોન અને નેશનલ પાર્કના પેરિફેરલ વિસ્તારોમાં જ મંજૂરી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ યોજના હેઠળ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે સંરક્ષિત વિસ્તારોની બહાર વન્યજીવ સંરક્ષણ વિશે વિચારવું પડશે. સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને તત્કાલીન વન અધિકારી કિશન ચંદને કોર્બેટ ટાઈગર રિઝર્વમાં ગેરકાયદે બાંધકામ અને વૃક્ષો કાપવા બદલ ઠપકો આપ્યો હતો. આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે, ‘અધિકારીઓ અને નેતાઓએ મળીને જનતાના વિશ્વાસને ડસ્ટબીનમાં ફેંકી દીધો છે.’
‘વાઘ વિના જંગલો નષ્ટ થઈ ગયા’
મહાભારતનું ઉદાહરણ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘વાઘ વિના જંગલો ખતમ થઈ ગયા અને હવે જંગલોએ બધા વાઘને બચાવવા જોઈએ.’ કોર્ટે એમ પણ કહ્યું કે અમે ટાઇગર સફારી માટે પરવાનગી આપી રહ્યા છીએ, પરંતુ આ બધું અમારી સૂચના મુજબ થશે. આ કિસ્સામાં સ્પષ્ટ છે કે વન મંત્રી પોતાને કાયદાથી ઉપર માનતા હતા અને આ દર્શાવે છે કે શ્રી કિશન ચંદે જનતાના વિશ્વાસ સાથે કેવી રીતે દગો કર્યો છે. આ બધું દર્શાવે છે કે કેવી રીતે અધિકારીઓ અને નેતાઓ સાથે મળીને કાયદો પોતાના હાથમાં લે છે.


