આવુ થાય તો મતોનું ધ્રુવીકરણ થવાની પણ સંભાવના રહે
વિવાદ લંબાતાં રાજકિય વર્તુળોમા અટકળનું બજાર તેજ :કોની ચાણકય નીતિ ?
ગત રવીવારે રાજકોટના ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભાજપની પીઢ નેતા પરસોતમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ બાબત સંવેદનશીલ હોવાની જાણ થતાં જ રૂપાલાએ
સોશિયલ મિડિયા તથા મુખ્ય પ્રવાહોના તમામ માધ્યમો દ્વારા આ ઉચ્ચારણ બદલ માફી માંગી લીધી હતી. એવી ધારણા હતી કે, રૂપાલાએ માફી માંગી લેતાં આ મામલો ઠંડો પડી જશે. પરંતુ ક્ષત્રિય સમાજમાંથી આ અંગે ઘેરા પ્રત્યાઘાતો ઉઠવાનું ચાલુ રહયુ છે. ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી ગયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકારો સમક્ષ કહયુ કે આ બાબતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે વાતચીત ચાલી રહી છે. ઝડપથી આ મામલે ઘી ના ઠામમાં ઘી પાડી દેવાશે. પરંતુ વિવાદ શમવાને બદલે વિવાદ વકરતો હોય તેમ લાગે છે.હવે આ મામલો ભાજપના ક્ષત્રિય અગ્રણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ હાથમાં લીધો છે. આજે જયરાજસિંહ જાડેજાના ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજની મુલાકાત થઇ રહી છે. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓને સંભવત: સમજાવી આ મામલે રૂપાલાને માફ કરી દેવાનો તખતો ઘડવામાં આવશે.
જો આમ ન થાય અને રૂપાલાનો વિરોધ યથાવત રહે તો, આ મામલે જ્ઞાતિવાદી ધ્રુવીકરણ થવાની સંભાવના છે. રૂપાલાની સહાયમાં કડવા અને લેઉવા પાટીદારનું સહાનુભૂતિનું મોજુ થવાની સંભાવના પણ રાજકીય પંડિતો જોઇ રહયા છે. રાજકોટ લોકસભાની બેઠક ઉપર સાડા ત્રણ લાખ લેઉવા મતદારો,અઢી લાખ કડવા મતદારો અને ત્રણ લાખ કોળી મતદારો છે.જયારે ૬૦ થી ૭૦ હજાર ક્ષત્રિય મતદારો છે. આ સિવાય બ્રાહમણ,લોહાણા સહિતના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. એકંદરે આ મામલો જાણતા અજાણતા જ્ઞાતિવાદી ધ્રુવીકરણ તરફ જઇ રહયો હોવાનું રાજકીય પંડિતો માની રહયા છે.