- તમિલનાડુની રાજનીતિમાં કચ્ચાતિવુ ટાપુનો મુદ્દો
- કચ્ચાતિવુને શ્રીલંકાને સોંપવાને લઇ ભાજપના પ્રહાર
- ભારતીય દરિયાકાંઠાથી 33 કિલોમીટર દૂર છે કચ્ચાતિવુ
તમિલનાડુની રાજનીતિમાં કચ્ચાતિવુ ટાપુનો મુદ્દો જોર પકડી રહ્યો છે. કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને સોંપવાની ભાજપ સતત ટીકા કરી રહી છે. જ્યારે કોંગ્રેસની દલીલ છે કે, ભાજપ ચૂંટણીમાં ફાયદા માટે આવું કરી રહ્યું છે.
તમિલનાડુની રાજનીતિમાં કચ્ચાતિવુ ટાપુનો મુદ્દો
ભારત અને શ્રીલંકા વચ્ચેનો એક નાનકડો નિર્જન ટાપુ કચ્ચાતિવુ ટાપુ આ દિવસોમાં મહત્વનો મુદ્દો રહ્યો છે. PM નરેન્દ્ર મોદીએ 1974માં શ્રીલંકાને આ ટાપુ આપવા બદલ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કચ્ચાતિવુ ટાપુને નાનો ટાપુ માનતા હતા જેનું કોઈ મહત્વ નથી. આ ટાપુને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ સતત આ ટાપુનો મુદ્દો ઉઠાવી રહી છે.
કચ્ચાતિવુએ પાલ્ક સ્ટ્રેટમાં 285-એકર ટાપુ છે જે ભારત અને શ્રીલંકાને અલગ કરે છે. કચ્ચાતિવુ ભારતીય દરિયાકાંઠાથી 33 કિલોમીટર અને ઉત્તર શ્રીલંકામાં જાફનાથી લગભગ 62 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે. તેની લંબાઈ 1.6 કિમી અને પહોળાઈ 300 મીટરથી થોડી વધુ છે. ઈન્દિરા ગાંધીએ ભારત-શ્રીલંકાના દરિયાઈ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી 1974માં કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાનો ભાગ બન્યો હતો.
હવે કચ્ચાતિવુ ટાપુનો વિવાદ કેમ ભડક્યો?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે શ્રીલંકાએ 6,184 ભારતીય માછીમારો અને 1175 જહાજોની અટકાયત કરી છે. કારણ કે ભારતે શ્રીલંકાને કચ્ચાતિવુ સોંપી દીધું અને માછીમારીનો અધિકાર છોડી દીધો. આ ટાપુનો પરંપરાગત રીતે બંને દેશોના માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ કરાર થયા બાદ, આ વિસ્તારની મુલાકાત લેતા ભારતીય માછીમારો વારંવાર શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહીનો સામનો કરે છે. આ માછીમારોમાંથી મોટાભાગના તમિલનાડુના રહેવાસી છે.
DMKએ વિરોધ કર્યો હતો
1974 માં, તામિલનાડુની DMK સરકારે કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા શ્રીલંકાના દૃષ્ટિકોણને ધ્યાનમાં ન લેવા બદલ કોંગ્રેસ સામે વિરોધ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હવે ભાજપે ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસ અને DMKને આડે હાથ લીધા છે.
50 વર્ષ બાદ આ ટાપુ રાજનીતિકરણનો મુદ્દા કેમ?
50 વર્ષ પછી પણ તમિલનાડુના રાજકારણમાં ટાપુ વિવાદ સતત વેગ પકડી રહ્યો છે. આનું કારણ એ છે કે રાજ્યમાં માછીમારો પરના હુમલા તમિલ લોકોના મનમાં ઊંડી લાગણીઓ જગાડે છે. તમિલનાડુમાં 13 જિલ્લાઓ છે, જેમાંથી મોટાભાગના માછીમાર સમુદાયની વસ્તી છે. બીજેપીનું કહેવું છે કે કોંગ્રેસ અને ડીએમકેએ માછીમારોને નિષ્ફળ કર્યા છે જેમને કચ્ચાતિવુની આસપાસના પાણીમાં માછીમારી માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા તમિલનાડુમાં વધુ સીટો જીતવા માટે ટાપુ વિશે વાત કરી રહી છે, જ્યાં તેની પાસે એક પણ લોકસભા સીટ નથી. કોંગ્રેસના નેતાઓ એવી પણ દલીલ કરે છે કે સરહદી વિસ્તારોના વિનિમય માટે મોદી સરકારના બાંગ્લાદેશ તરફના મૈત્રીપૂર્ણ ઇશારાની જેમ મૈત્રી કરારના ભાગરૂપે કચ્ચાતિવુ શ્રીલંકાને આપવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા કચ્ચાતિવુને લઈને રાજકારણ ગરમાયું છે. ચૂંટણીમાં આનો ફાયદો કોને થશે તે જોવું રહ્યું.


