આમ તો કાશી એ ભગવાન મહાદેવની નગરી કહેવાય છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અહીં માતા દુર્ગાનો પણ વાસ છે. બનારસ માતા દુર્ગાની શક્તિપીઠ પણ કહેવાય છે.વારણસીમાં એક તરફ કાશી વિશ્વનાથ મહાદેવનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે,
તો તેની બીજી તરફ માતા દુર્ગાનું પણ ભવ્યાતિભવ્ય ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. અહીં માતા દુર્ગાની સ્વયભૂ પ્રતિમા છે! વારાણસીનું આ દુર્ગા મંદિર 18મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. માતા દુર્ગાનું આ મંદિર બંગાળની મહારાણી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ખૂબ જ કલાત્મક અને આકર્ષક છે.
દુર્ગા માતાના નામે કલાત્મક કુંડ
ભવ્યાતિભવ્ય દુર્ગા માતાના મંદિરની જમણી તરફ એક કુંડ આવેલો છે, જેને `દુર્ગા કુંડ’ તરીકે ઓળખવામાં આવે છે . આ કુંડથી મંદિરની શોભા વધી જાય છે.
નવરાત્રિમાં વિશેષ આયોજન
માતા દુર્ગાના મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં માતાની મૂર્તિ છે તેનું નિર્માણ કોઇ માનવે નથી કર્યું, પરંતુ સ્વયંભૂ છે. અહીં નવરાત્રિમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દુર્ગા માતાના આશીર્વાદ લેવા આવે છે. એવી માન્યતા છે કે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ માતા પાસે જે માંગો એ મળી જાય છે. માતા દુર્ગા વારાણસીની અને તેમના ભક્તોની તમામ મુસીબતોથી રક્ષા કરે છે.
દુર્ગા માતાનો ભવ્ય ઈતિહાસ
ભારતનાં જેટલાં પણ પ્રાચીન-અર્વાચીન કે પૌરાણિક મંદિરો છે તેનો પોતાનો સુવર્ણ ઇતિહાસ છે જ! દરેક મંદિર પાછળ કોઇ ઐતિહાસિક ઘટના અને રહસ્યો પણ છુપાયેલાં છે. એવી રીતે અહીંના દુર્ગા માતાના મંદિરનો પણ અલાયદો ઈતિહાસ છે. કહેવાય છે કે, અયોધ્યાના રાજા ધ્રુવ સંધિને બે પત્નીઓ હતી. જેમાં એકનું નામ મનોરમા અને બીજીનું નામ લીલાવતી હતું. રાજાને આ બે પત્ની થકી બે સંતાનો પણ થયાં હતાં. જેમાં પહેલો દીકરો સુદર્શન મનોરમાથી અને બીજો દીકરો સતરિજિત લીલાવતીથી થયો હતો. આ બંને દીકરાઓ અભ્યાસમાં હોશિયાર હતા અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા. રાજા ધ્રુવ સંધિ શિકાર માટે ઘણીવાર ગાઢ જંગલોમાં જતા હતા. એકવાર જ્યારે તેઓ શિકાર માટે જાય છે ત્યારે એક સિંહ તેમના પર હુમલો કરે છે અને સિંહ એટલો કદાવર હોય છે કે, રાજા ધ્રુવ સિંહનો હુમલો સહન કરી શકતા નથી અને તેઓ મૃત્યુ પામે છે. હવે રાજાના મૃત્યુ બાદ રાજાનું પદ કોને આપવું જોઇએ એ વિચારે રાજાના મંત્રી સુદર્શનને રાજાનું પદ આપવું જોઇએ એવી ઘોષણા કરે છે, પરંતુ રાજાની બીજી પત્ની સુદર્શનને રાજા બનાવવાનો વિરોધ કરે છે. લીલાવતીના પિતાએ સુદર્શનને મારવાની યોજના બનાવી હોય છે જેથી મનોરમા ખૂબ જ ડરી જાય છે. પોતાના દીકરાનું ખૂન કરી દેવામાં આવશે તે ડરથી તે પોતાના દીકરાને લઇને રાજ્ય છોડી દે છે અને પોતાના દીકરાને લઇને ત્રિકુટાદ્રીમાં સંત ભારદ્વાજ પાસે જતી રહે છે.
હવે એકવાર સુદર્શન પોતાના મિત્રો સાથે રમતો હોય છે ત્યારે તેણે ક્લેબા (અર્થાત્ નપુંસક) અેવો શબ્દ સાંભળ્યો હતો. થોડા દિવસ બાદ તે આ શબ્દ ભૂલીને ક્લેમ શબ્દ ઉચ્ચારવા લાગ્યો હતો. આ દરમિયાન સંતે આ જોયું અને તેને વૈષ્ણવીની પૂજા કરવાની વિધિ શીખવાડી. તે દેવી વૈષ્ણવીની પૂજા અર્ચના પૂરી શ્રદ્ધાથી કરવા લાગ્યો. તેની શ્રદ્ધાથી દેવી પ્રસન્ન થાય છે અને તેની સામે પ્રગટ થાય છે. સુદર્શનની સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ થઇને તેને યુદ્ધના મેદાનમાં વિજયી બનાવવા માટે ધનુષ અને તીર આપે છે. સુદર્શન ભણવા સાથે યુદ્ધ કલામાં પણ માહેર બનતો જાય છે. તેની યુદ્ધ કલાની વાતો ઠેર ઠેર પહોંચે છે. એ અરસામાં શશિકલા (કાશીના રાજા, સુબાહુની દીકરી)ને સુદર્શન સાથે પ્રેમ થઇ જાય છે અને તેને પામવાની ઇચ્છા વ્યક્ત કરે છે. હવે શશિકલાને રાત્રે સપનામાં માતા વૈષ્ણવી આવે છે અને સુદર્શનની સાથે વિવાહ કરવાનું જણાવે છે. થોડા દિવસ પછી સુદર્શન પોતાની માતા સાથે શશિકલાના સ્વયંવરમાં જાય છે. આ સ્વયંવરમાં ઘણા લોકો આવેલા હોય છે, જેમાં યથજિત પોતાના દાદા સાથે આવે છે. યથજિતના દાદાજીએ શશિકલાને ચેતવણી આપી કે તે યથજિતને પતિ તરીકે સ્વીકારી લે, નહીં તો તે બંનેને અહીં બધાની વચ્ચે જાનથી મારી નાખશે. આટલું સાંભળતાં જ શશિકલાના પિતા ખૂબ જ ડરી જાય છે અને પોતાની દીકરીને યથજિત સાથે જ પરણવાની અરજ કરે છે, પરંતુ શશિકલા સ્પષ્ટ ના પાડી દે છે, કારણ કે તેને માતા વૈષ્ણવી પર વિશેષ શ્રદ્ધા હતી. માતા તેની રક્ષા કરશે તેવો તેને દૃઢ વિશ્વાસ હતો. સ્વયંવરની મોડી રાત્રે સુબાહુ પોતાની દીકરીના વિવાહ સુદર્શન સાથે કરાવે છે. જેથી યથજિત તેના પર ચડાઇ કરવાનું આહ્વાન કરે છે. થોડા દિવસ બાદ તે કાશીની સીમા પર સુદર્શન સાથે યુદ્ધ કરવા આવે છે. આ દરમિયાન માતા દુર્ગા યથજિત અને સતરિજિતની સામે આવે છે અને બંનેને મારી નાખે છે. માતા દુર્ગાના આ રૂપને જોઇને યથજિત-સતરિજિતની સેના ડરી જાય છે અને મેદાન છોડી નાસી જાય છે. આમ, સુદર્શનની રક્ષા માતા દુર્ગા કરે છે.
યુદ્ધની આ વાત સમગ્ર રાજ્યમાં અને આસપાસ ફેલાઈ જાય છે, તેથી સુબાહુ પણ માતા વૈષ્ણવીનો ભક્ત બની જાય છે અને તેમની પૂજા-અર્ચના કરે છે. રાજા સુબાહુની ભક્તિથી ખુશ થઇને માતા વૈષ્ણવી તેના પર પ્રસન્ન થાય છે અને વરદાન મંગવાનું કહે છે. તેથી સુબાહુ બીજું કંઇ ન માંગતાં કાશીમાં જ તેમને નિવાસ કરવા અને કાશીનું હંમેશાં રક્ષણ કરવાનું કહે છે. માતા દુર્ગા તેમના ભક્તની વાત માની દુર્ગા કુંડના તટ પાસે રહેવાનું સ્વીકારે છે. ત્યારબાદ અહીં સુબાહુ તેમનું ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરે છે.
માતા દુર્ગાના મંદિરની અન્ય વિશેષતા
આ મંદિર એટલું પ્રાચીન છે કે તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે.
એવી પણ માન્યતા છે કે, અસુર શુંભ અને નિશુંભના વધ કર્યા બાદ માતા દુર્ગાએ અહીં વિશ્રામ કર્યો હતો.
આદિકાળમાં કાશીમાં માત્ર 3 જ દેવસ્થાન હતાં. પહેલું કાશી વિશ્વનાથ, બીજું મા અન્નપૂર્ણા અને ત્રીજું દુર્ગાકુંડ.
પ્રાચીન દુર્ગાકુંડના દેવી સ્થાન પર 1760માં બંગાળની રાણી ભવાનીએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
અહીં આવેલા કુંડમાં રોજ હવન કરવામાં આવે છે અને ખાસ દિવસો પર અહીં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો?
માતા દુર્ગા, વારાણસી પહોંચવું ખૂબ જ સરળ છે. તમે રેલ, એર કે સડક મારફતે જઇ શકો છો. જો તમે વિમાન દ્વારા આવવા માંગતા હોવ તો તમારે બાબતપુર(વારાણસી, ઉ. પ્ર.) એરપોર્ટ પર પહોંચવું પડશે. તમે અહીંથી પ્રાઇવેટ વાહનો કે સરકારી પરિવહનના વાહનથી આવી શકો છો. અહીંનું એરપોર્ટ ચેન્નઇ, બેંગલુરુ, મુંબઇ અને દિલ્લીથી કનેક્ટેડ છે. જો આપ રેલમાર્ગે આવવા માંગતા હોવ તો તમારે વારાણસી રેલવે સ્ટેશન ઊતરવું પડશે અને ત્યારબાદ દુર્ગામંદિર, દુર્ગાકુન્ડ માટે તમને પ્રાઇવેટ કે સરકારી પરિવહનનાં વાહનો મળી જશે. તેમજ વારાણસી સાથે ત્રણ નેશનલ હાઇવે જોડાયેલા છે, જે કોલકાતા, દિલ્લી અને ગોરખપુર થઇને વારાણસી જાય છે. અલબત્ત, આસપાસનાં રાજ્યોમાંથી પણ સરકારી પરિવહનનાં વાહનો અહીં આવતાં હોય છે.


