ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલી હાલ થાણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શનિવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન તેના મગજમાં લોહીના ગઠ્ઠા હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ દિવસની સારવાર બાદ ડોક્ટરે તેમની તબિયત અંગે અપડેટ આપી છે. ડોક્ટરે જણાવ્યું કે વિનોદ કાંબલી હાલ આઈસીયુમાં દાખલ છે.
વિનોદ કાંબલી વિશે ડોક્ટરે આપ્યું હેલ્થ અપડેટ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલીની સારવાર કરી રહેલા ડોક્ટરોએ મંગળવારે તેની તબિયત અંગે અપડેટ આપી હતી. મીડિયા સાથે વાત કરતા હોસ્પિટલના ડો. વિવેક દ્વિવેદીએ કહ્યું કે તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન છે. જે બાદ તેમને ભિવંડી શહેરની નજીકની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. વિવેક દ્વિવેદી એ મેડિકલ ટીમનો ભાગ છે જે પૂર્વ ક્રિકેટરની સારવાર કરી રહી છે. તેમને કહ્યું હતું કે વિનોદ કાંબલીનું બ્લડ પ્રેશર ઓછું હતું. આ સિવાય મંગળવારે પણ તેમને તાવ આવ્યો હતો.
ડોક્ટરે કહી આ વાત
તેમને વધુમાં જણાવ્યું કે વિનોદ કાંબલીને ઘરે સ્નાયુઓમાં ખેંચાણ અને ચક્કર આવતા હતા. આ પછી તેમને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેને ખૂબ તાવ હતો અને સ્નાયુઓમાં ખેંચાણના કારણે તેમને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. તપાસમાં ખબર પડી કે તેને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન છે. આ સિવાય સોડિયમ અને પોટેશિયમની ઉણપને કારણે માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. મગજની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેને જૂના લોહીની ગાંઠ હતી. તાજેતરમાં તેમને સ્ટ્રોક આવ્યો હતો.
આઈસીયુમાં દાખલ છે વિનોદ કાંબલી
વધુ માહિતી આપતા ડોક્ટરે કહ્યું કે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેનું બ્લડ પ્રેશર ઓછું થયું નથી. તેમની સારવાર અને ફિઝિયોથેરાપી ચાલુ છે. અમે તેમને 2 થી 3 દિવસમાં રજા આપીશું. તેમના મગજની સ્થિતિ સ્થિર નથી. તેમના મગજમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. અમે તેમના રિહાબ પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ.


