રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ગુરુવારથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં તેની પહેલી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે. ભારત આ મેચ તેના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ વિના રમશે, જે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. તેમની ગેરહાજરીમાં, ટીમના પેસ આક્રમણનું નેતૃત્વ મોહમ્મદ શમી કરશે, જે તાજેતરમાં એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત અને વિરાટ કોહલીએ ફોર્મ મેળવ્યું છે, જેમાં ભારતે ઇંગ્લેન્ડની મજબૂત ટીમને 3-0થી હરાવીને ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે. ભારત આ ટુર્નામેન્ટની પહેલી મેચમાં 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર ઉતારી શકે છે.
હર્ષિત-પંત બહાર થઈ શકે છે
ભારતના યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ભલે ઈંગ્લેન્ડ સામેની પોતાની પહેલી ODI શ્રેણીમાં પ્રભાવ પાડ્યો હોય, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સના આ ફાસ્ટ બોલર માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહની હાજરીમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. દુબઈની પિચ શમીને મદદ કરશે તેવી અપેક્ષા છે અને તેથી, ભારત સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંગાળના આ ઝડપી બોલરને મેદાનમાં ઉતારશે. બીજી તરફ, અર્શદીપની શરૂઆતી વિકેટ લેવાની આદત અને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાની ક્ષમતા તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન અપાવે તેવી શક્યતા છે.
કુલદીપને તક મળી શકે છે
ટીમમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી નિષ્ણાત સ્પિનરો તરીકે છે. ભારત આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે શરૂઆત કરે તેવી શક્યતા છે, જેમાં અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને તેમની બેટિંગ કુશળતાને કારણે ટીમમાં સ્થાન મળે તેવી અપેક્ષા છે.
બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


