વિજય ગણપતિ એ ભગવાન ગણેશનાં વિવિધ રૂપોમાંનું એક છે. ભગવાન ગણપતિનું આ રૂપ સઘળાં કાર્યોમાં સિદ્ધિ અને શત્રુઓ તેમજ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરાવનાર માનવામાં આવ્યું છે. દક્ષિણ ભારત સિવાય બાલી, જાવા, સુમાત્રા વગેરે દ્વીપોમાં પણ વિજય ગણપતિનાં પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે.
આ રૂપમાં ભગવાન ગણેશ ધન, યશ, માન, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય, સુખ અને ઉન્નતિ આપનારાં છે, છતાં વિજય શ્રીનું તેમની પાસે વિશેષ સ્થાન છે. જે કોઈ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં વિશેષ વિજય શ્રીની પ્રાપ્તિની આકાંક્ષા ધરાવે છે તેમના માટે આ સાધનાથી વધુ ફળદાયી સાધના અન્ય કોઈ નથી. વર્ષોથી કોઈ કોર્ટકેસમાં ફસાયેલ હોય અને તેમાંથી બહાર નીકળી શકતા ન હોય, કોઈ શત્રુ આપને કષ્ટ આપતો હોય તથા તે આપના કરતાં વધુ બળશાળી હોય, તમે કોઈ પણ ચૂંટણી વગેરેમાં ઊભા રહ્યા હો અને તેમાં સફળતા મેળવવાની ઈચ્છા ધરાવતા હો તો વિજય ગણપતિ સાધનાથી મોટી બીજી કોઈ સાધના નથી. જે વ્યક્તિએ પોતાના જીવનમાં આવી સાધના ક્યારેય કરી નથી, તેને પૂર્ણત્વનો આસ્વાદ ક્યારેય ચાખવા મળતો નથી. પોતાના પ્રવેશદ્વાર પર વિજય ગણપતિની મૂર્તિ સ્થાપી દેવાથી ઘરના પરિજનોની સુરક્ષા પ્રત્યે નિશ્ચિંત બની શકાય છે.
પ્રાણપ્રતિષ્ઠા
આ વિજય ગણપતિની મૂર્તિ પથ્થર અથવા ધાતુમાંથી બનાવડાવવી જોઈએ. તેના નિર્માણ માટેનું ઉત્તમ નક્ષત્ર પુષ્ય છે. મૂર્તિ તૈયાર થયા બાદ મંત્રો થકી તેનો અભિષેક કરાય છે અને સંપૂર્ણ વિધિ-વિધાનપૂર્વક ભગવાન વિજય ગણપતિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. તે પછી દૂર્વા, જળ અને દૂધથી તેનો અભિષેક કરાય છે. અભિષેકમાં વિશેષ એવા ગણેશ ગાયત્રી મંત્રના અગિયારસો જાપ કરી આ મૂર્તિ પર ગંગાજળ છાંટવામાં આવે છે.
મંત્ર : એકદંતાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો, દન્તી પ્રચોદયાત્।
પૂજનવિધિ
પ્રાણપ્રતિષ્ઠિત વિજય ગણપતિની મૂર્તિને પૂજાઘરમાં લાલ વસ્ત્ર પાથરીને તેના પર સ્થાપવી. પછી લાલ ચંદનની માળા દ્વારા નીચે આપેલા ગણપિત મંત્રના એક લાખ જાપ કરવા.
મંત્ર : ૐ શ્રીં હ્રીં ક્લીં ગણેશ્વરાય બ્રહ્મસ્વરૂપાય ચારવે।
સર્વ સિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમ:॥
આ જાપ પ્રાત:કાળે અથવા સંધ્યાકાળે નિશ્ચિત સમયે પૂર્ણ કરવા. આ જાપ કાર્યનો સમયગાળો ચાલીસ દિવસનો રાખવો. આ મંત્રજાપ પૂર્ણ થતાં જ ભગવાન ગણપતિની પ્રતિમા સજીવ સ્વરૂપ બની જાય છે. તે પછી ગણપતિ મૂર્તિમાં વધુ ચૈતન્ય લાવવા નીચેના મંત્રના 21 હજાર જાપ કરવા.
મંત્ર : ૐ ગં ગાં ગણપતયે વિઘ્ન વિનાશિને સ્વાહા।