8 મેના રોજ ધર્મશાળામાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. 9 મેના રોજ, BCCI એ પાકિસ્તાન દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે IPL 2025 ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી.
પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે અને ટુર્નામેન્ટ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની ધારણા છે. પરંતુ આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરસીબી સીઝનની મધ્યમાં પોતાનો કેપ્ટન બદલવાની તૈયારીમાં હતી. રજત પાટીદારને હટાવ્યા બાદ જીતેશ શર્માને ટીમની કમાન સોંપવાની હતી. પરંતુ પાકિસ્તાની હુમલાને કારણે IPL સ્થગિત કરવામાં આવી હતી અને નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. જીતેશે પોતે આ વાત કહી છે.
જીતેશ શર્માએ કરી લીધી હતી બધી તૈયારીઓ
RCB એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમના તમામ સભ્યોએ IPL સ્થગિત થયા ત્યાં સુધીની તેમની યાદો વિશે જણાવ્યું છે. આ દરમિયાન જીતેશ શર્માએ કહ્યું કે “મારું સૌભાગ્ય હતું કે મને મેનેજમેન્ટ તરફથી કેપ્ટનશીપની ઓફર મળી.
મને કહેવામાં આવ્યું કે હું RCBનો કેપ્ટન બનવાનો છું. આ મારા અને મારા પરિવાર માટે મોટી વાત છે. એક ખેલાડી અને કેપ્ટન તરીકે, હું ટીમ કોમ્બિનેશન વિશે વિચારી રહ્યો હતો. મેં બે-ત્રણ દિવસ સુધી કોચ અને ખેલાડીઓ સાથે વાત કરી. બેટિંગ ઓર્ડર, પોઈન્ટ ટેબલ અને પ્લેઓફ, આ બધી બાબતો મારા મગજમાં ચાલી રહી હતી અને મેં તેના માટે દરેક પ્રકારની તૈયારી કરી લીધી હતી.”
RCB જીતેશને કેપ્ટન કેમ બનાવવા માંગતું હતું?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 9 મેના રોજ એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમની 12મી મેચ રમવાની હતી. આ સમયગાળા દરમિયાન, જીતેશ શર્મા ટીમનું નેતૃત્વ કરવાના હતા. વર્તમાન આરસીબી કેપ્ટન રજત પાટીદાર ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે તે લખનૌ સામે બેન્ચ પર બેસવાનો હતો. આ પરિસ્થિતિમાં, મેનેજમેન્ટે જીતેશને ટીમની કમાન સંભાળવાની તક આપી. પરંતુ ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે IPL સ્થગિત કરવી પડી. આ રીતે આ મોટી તક તેના હાથમાંથી સરકી ગઈ.


