અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ યોજાવાની છે. જેને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબ અને આરસીબી વચ્ચે યોજાનાર ફાઇનલ મેચ માટે ક્રિકેટ રસિકો હમણાથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યા છે. આ મેચ દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ ન થાય તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોવાને પગલે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે.
કયા રૂટ પર રહેશે પ્રતિબંધ ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચને લઈને વાહનોની અવર-જવર માટેના રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. જનપથ-ટીથી મોટેરા સ્ટેડીયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી અને મોટેરા ગામ સુધી વપરાતો વ્યસ્ત રસ્તો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. તો આ તરફ, વૈકલ્પિક માર્ગ માટે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત અને વિસતથી જનપથ-ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તો બીજી બાજુ કૃપા રેસીડેન્સી-ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ વાહનો અવર-જવર કરી શકશે. પાર્કિંગની સમસ્યા પેદા ન થાય તે માટે અલગથી 15 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો સાથે જ ઉઘાડી લૂંટ ન કરવામાં આવે તે માટે વિના મીટરના રિકશા ચાલકો અને ટેક્સી ડ્રાઇવરો પર બાજ નજર રાખવામાં આવશે.
પોલીસ જવાન સુરક્ષામાં તૈનાત
1 JCP, 3 DCP, 3 ACP સહિત 800 પોલીસ જવાન ટ્રાફિક બંદોબસ્તમાં હાજર રહેશે. PI અને PSI સહિત ટ્રાફિક ડ્યુટીમાં ઉપસ્થિત રહેશે. તો આ તરફ, કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરસીબી અને પંજાબના ક્રિકેટ પ્રેમીઓને મેચ દરમિયાન કોઇ વિક્ષેપ ન પડે તે માટે તંત્રએ ખાસ તકેદારીના પગલા લીધા છે.