ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
૧૪ ગામના લોકો અને વાહન ચાલકોને રાહત મળી : સરપંચની સફળ રજૂઆત
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર તરફ જવાના મુખ્ય માર્ગ પર પુલ નિર્માણનું કામ ચાલી રહ્યું હોવાથી આર એન્ડ બી (રોડ એન્ડ બિલ્ડિંગ) વિભાગ દ્વારા અગાઉ કાચું ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે આ કાચું ડાઇવર્ઝન ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે ઝાંઝમેર સહિત આસપાસના અંદાજે 14 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
રોજિંદા અવરજવર કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, દૂધ ઉત્પાદકો, નોકરીયાતો તેમજ દર્દીઓને લાંબા ફેરા ફરીને પોતાના મંતવ્ય સુધી પહોંચવું પડતું હતું. વરસાદી માહોલમાં લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની હતી અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડાએ અનેક વખત સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા તેમણે પાકું ડાઇવર્ઝન નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો સાથે ચક્કાજામ આંદોલન અને ગામ બંધનું એલાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહિલા સરપંચની આ ચીમકી બાદ આર એન્ડ બી વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક કામગીરી હાથ ધરી પાકું ડાઇવર્ઝન તૈયાર કરવામાં આવ્યું. ડાઇવર્ઝન પૂર્ણ થતાં માર્ગ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ડાઇવર્ઝન શરૂ થતાં છેલ્લા ઘણા દિવસોથી મુશ્કેલીનો સામનો કરી રહેલા આશરે 14 ગામોના લોકોને મોટી રાહત મળી છે. હવે ખેડૂતો ખેતીના કામો માટે સરળતાથી અવરજવર કરી શકશે, વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકશે અને વેપારીઓ તેમજ અન્ય વાહનચાલકોને પણ લાંબા અંતરનો ફેરો ફરવાની જરૂર રહેશે નહીં.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મહિલા સરપંચ કિરણબેન બગડાએ સતત પ્રશ્નને વાચા આપી, તંત્ર સમક્ષ મક્કમ રજૂઆત કરી અને લોકોના હિતમાં અસરકારક પ્રયાસો કર્યા, જેના પરિણામે તંત્રએ તાત્કાલિક કામગીરી કરીને પાકું ડાઇવર્ઝન બનાવી આપ્યું. ગ્રામજનોએ આ કામગીરીને આવકારી મહિલા સરપંચ તેમજ આર એન્ડ બી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાલ પુલ નિર્માણની કામગીરી યથાવત ચાલુ છે. સ્થાનિક લોકોની માંગ છે કે પુલનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં વરસાદી સિઝનમાં આવી મુશ્કેલીઓ ફરીથી સર્જાય નહીં અને સમગ્ર વિસ્તારના લોકોને કાયમી સુવિધા મળી રહે.


