આઈપીએલનો રોમાંચ હવે પૂરો થઈ ગયો છે. T20 ક્રિકેટમાં ધૂમ મચાવ્યા બાદ હવે ટેસ્ટમાં ધૈર્ય બતાવવાનો છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ઈંગ્લિશ ધરતી પર ભારતીય ટીમ નવા કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ રમશે.
આ પ્રવાસમાં ટીમને વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથ મળશે નહીં. આ બંને દિગ્ગજ ખેલાડીઓએ ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની નૈયા પાર કરાવવાની જવાબદારી પણ જસપ્રીત બુમરાહના ખભા પર રહેશે. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીરે સંકેત આપ્યો છે કે બુમરાહ ઈંગ્લેન્ડમાં બધી ટેસ્ટ મેચ રમતો જોવા મળશે નહીં.
જસપ્રીત બુમરાહ નહીં રમે બધી ટેસ્ટ?
ઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મોટા સવાલોના જવાબ આપ્યા. ગંભીરને જ્યારે બુમરાહને બધી ટેસ્ટ મેચોમાં રમવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેને કહ્યું કે “અમે હજુ સુધી નક્કી કર્યું નથી કે બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ મેચ રમશે. તે સિરીઝના પરિણામો પર નિર્ભર રહેશે.” ગંભીરના નિવેદનથી આ વાત સ્પષ્ટ થાય છે કે બુમરાહ ઈંગ્લેન્ડ સિરીઝમાં બધી ટેસ્ટ મેચ રમશે નહીં.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જસપ્રીત બુમરાહ બધી ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો અને તેના શરીર પર વધુ પડતા દબાણને કારણે તે છેલ્લી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. એવું માનવામાં આવે છે કે આ જ કારણસર ટીમ મેનેજમેન્ટ આ વખતે બધી ટેસ્ટ મેચોમાં બુમરાહને નહીં રમાડે.
શાનદાર છે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડની ધરતી ખૂબ જ ગમે છે. તેને ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલરે 37 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહએ ઈંગ્લેન્ડની ધરતી પર એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ બે વાર હાંસલ કરી છે. જો જસપ્રીત આ વખતે પણ ઈંગ્લેન્ડ સામે આ રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહે છે, તો કેપ્ટન શુભમન ગિલ અને ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ ઘણી હદ સુધી સરળ થશે.