એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
૧૦૫3 કિલો જથ્થાનો નાશ કરાયો : સરકારના પરિપત્ર બાદ FDCAનો રાજય વ્યાપી સપાટો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિતના બિન-સ્ટાન્ડર્ડ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ લાગુ થયા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન અમલીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિબંધનો કડક અમલ સુનિશ્ચિત કરવા વિવિધ જિલ્લાઓમાં ઉત્પાદન એકમો, ગોડાઉન અને વેચાણ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 134 એકમોની તપાસ કરી 29 શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી રિપોર્ટમાં અનેક સેમ્પલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ અસુરક્ષિત અને સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતાં વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી છે. FDCA ની ટીમો દ્વારા ₹2.82 લાખની અંદાજિત કિંમતનો 1053 કિલોગ્રામ જેટલો અખાદ્ય ડેરી જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, પનીર અને ચીઝના નામે વેચાતા આ ઉત્પાદનોમાં અસલી દૂધના બદલે વેજિટેબલ ફેટ, વનસ્પતિ ઓઇલ તથા અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૫ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, એનાલોગ ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચન જેવા ફૂડ સર્વિસ એકમોમાં પણ અસલી ડેરી પ્રોડક્ટનો ભ્રમ ઊભો કરતી આવી બનાવટી વાનગીઓના વાપરવા પર તાત્કાલિક અસરથી બૅન લાદવામાં આવ્યો છે.
FDCA એ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને એનાલોગ ઉત્પાદનોનું વેચાણ તુરંત બંધ કરવા અને ખરીદ-વેચાણનો તમામ રેકોર્ડ જાળવી રાખવા આદેશ કર્યો છે. કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આદેશનો ભંગ કરનાર વેપારીઓ કે ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ ભારે દંડ, માલ જપ્તી, લાઇસન્સ રદ કરવા સહિતની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાના હેતુથી આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ સતત ચાલુ રહેશે.


