સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
અસરગ્રસ્ત શ્રમિકો માટેની સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા નિર્દેશ : તા.૨૭મીએ વધુ સુનવણી
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરતા ‘પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ’ અને સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકોની વિધવા મહિલાઓ સહિત 19 અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા, મફત સારવાર પૂરી પાડવા અને ચોક્કસ પોલિસી બનાવવાની માગ સાથે આ અરજી દાખલ કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સંદર્ભે 13 જુલાઈના રોજ ઠરાવ પસાર કર્યો છે. કોર્ટના નિર્દેશ મુજબ, સિલિકોસિસગ્રસ્ત શ્રમિકના મૃત્યુ બદલ પરિજનોને ₹4 લાખની સહાય અને સિલિકોસિસથી પીડાતા શ્રમિકને ₹3 લાખ સુધીની એક્સ-ગ્રેસિયા સહાય ચૂકવવાપાત્ર રહેશે. આ ઉપરાંત અસરગ્રસ્ત શ્રમિકોને દર મહિને દવાઓ માટે ₹1500 સુધીની સહાય તથા તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.
પીડિત પરિવારોને પેન્શન, શિક્ષણ અને પુનર્વસન માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વહાલ સોયી દીકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત 22 જેટલી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અગાઉની સુનાવણીમાં સામે આવેલા દસ્તાવેજો અનુસાર, સિલિકોસિસ અસરગ્રસ્ત શ્રમિકે મદદ મેળવવા માટે લેબર કમિશનર અને ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ સેફ્ટી સમક્ષ અરજી કરવાની રહેશે. ત્યારબાદ શ્રમિકના મેડિકલ દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સહાયની રકમ અને સારવારના ખર્ચ માટેની મંજૂરી આપવામાં આવશે.
અરજદાર વતી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારી યોજનામાં દાવો કેટલા સમયમાં પૂરો કરવામાં આવશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ ઉપરાંત, જો કોઈ શ્રમિકનો દાવો નકારી દેવામાં આવે તો તેની સામે અપીલ કે ફરિયાદ કરવા અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. અરજદારે માગ કરી હતી કે, આ યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે અને જે પીડિતો કોર્ટમાં અરજદાર તરીકે સામેલ નથી, તેમને પણ સમાન ધોરણે લાભ આપવામાં આવે.
હાઈકોર્ટે અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અંગે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ જવાબ માગ્યો છે. આ સાથે જ સિલિકોસિસગ્રસ્ત શ્રમિકો માટેની સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA)ને જરૂરી નિર્દેશો આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી 27 ઓગસ્ટના રોજ યોજાશે.


