ભારતીય ફાસ્ટ બોલર અને યુવા ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણાને આ વખતે તેના દમદાર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે IPL 2025માં ગુજરાત ટાઇટન્સ તરફથી ખુબજ સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે IPL 2025માં શાનદાર બોલિંગ કરીને પર્પલ કેપ પણ જીતી હતી. અને હવે પ્રસિદ્ધ કૃષ્ણા ટેસ્ટ મેચ માટે એકદમ તૈયાર છે.
મોજ મજા કરવી પણ જરૂરી છે
પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું કે, “તમારે સાબિત કરવું પડશે કે જ્યારે તમને મોકો મળે છે, ત્યારે તમે સંપૂર્ણ પણે તૈયાર છો. પરંતુ સમસ્યા એ છે, કે લાંબા સમય સુધી ખેલાડીઓ રમતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, ખાસ કરીને જ્યારે તમે બહાર બેઠા હોવ ત્યારે વધારે મુશ્કેલ છે. તેથી તમારે સમય આવે ક્યારેક થોડી મોજ મસ્તી પણ કરી લેવી જોઈએ. આવનારી કસોટી માટે તમે માનસિક રીતે એકદમ સ્વસ્થ હોવ એ પણ જરૂરી છે”.
પ્રેક્ટિસ મેચ રમવાથી ફાયદો થાય છે
ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચેલ ભારતીય ટીમ હાલમાં ઇન્ડિયા A સામે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી રહી છે. આ મેચને એકરીતે પ્રેક્ટિસ મેચ પણ કહી શકાય છે. BCCI અપડેટ મુજબ, કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે આ મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે શાર્દુલ ઠાકુર સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સ્થાન પામ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાનું આ ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાથી એવું માનવું છે, કે આ પ્રકારની પ્રેક્ટિસ મેચથી ભારતીય ટીમને ફાયદો થશે.
ત્રણેય ફોર્મેટમાં ચમક્યા કૃષ્ણા
પ્રસિદ્ધ કૃષ્ણાએ કહ્યું કે, “મને લાગે છે કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ક્યારે સ્વિચ ઓન કરવું અને ક્યારે સ્વિચ ઓફ કરવું. આપણા બધા માટે મેદાન પર થોડો સમય વિતાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડની પિચ ફાઇન અને હાર્ડ પિચ છે. બોલરોએ સારી બોલિંગ કરી જ્યારે બેટ્સમેનોએ પણ પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું. જ્યારે તમે એકબીજા સાથે મેચ રમો છો ત્યારે ખૂબ સારું લાગે છે”. કૃષ્ણાએ વર્ષ 2023 માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે ત્રણ ટેસ્ટ મેચમાં કુલ 8 વિકેટ લીધી છે. તે જ સમયે, 17 વનડેમાં તેના નામે 29 વિકેટ છે. તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 8 વિકેટ લીધી છે.