જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો
ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થામાં ગંભીર ખામીથી વાહન ચાલકો મુંઝવણમાં મૂકાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જામ ટાવર ચોક નજીક આવેલ ટ્રાફિક સિગ્નલ આજે લોકોની સુરક્ષાનું નહીં, પરંતુ લોકોમાં ભયનું કારણ બની ગયું છે. ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓના કારણે વાહનચાલકો વારંવાર મૂંઝવણમાં મુકાય છે, જેના પરિણામે અકસ્માતો સર્જાય છે. હવે પ્રશ્ન એ છે કે વધુ કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા પછી તંત્રની આંખો ખુલશે?
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે જણાવ્યું છે કે દરેક અકસ્માત માટે માત્ર વાહનચાલકોને જવાબદાર ઠેરવી દેવું એ તંત્રની નિષ્ફળતા પર પડદો પાડવાનો પ્રયાસ છે. જ્યાં ટ્રાફિક વ્યવસ્થામાં સ્પષ્ટ ખામીઓ દેખાતી હોય, ત્યાં જવાબદારીમાંથી તંત્ર છટકી શકે નહીં.
જામ ટાવર ચોક, જંક્શન, શ્રોફ રોડ તેમજ જામનગર–અમદાવાદ તરફ જતા ભારે વાહનવ્યવહાર ધરાવતા આ જંકશન પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. તેમ છતાં અહીં ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થાની યોગ્ય સમીક્ષા થતી નથી અને પીક અવર્સ દરમિયાન પૂરતી ટ્રાફિક પોલીસની હાજરી પણ જોવા મળતી નથી. આવી બેદરકારી અકસ્માતોને આમંત્રણ આપતી હોવાનું લોકોમાં માનવામા આવે છે.
સાથે સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહ શહેરના તમામ વાહનચાલકોને નમ્ર અપીલ કરતાં જણાવ્યું છે કે અકસ્માતો માટે માત્ર તંત્રને જ જવાબદાર ઠેરવવાથી કામ નહીં ચાલે. નાગરિક તરીકે આપણી પણ એટલી જ જવાબદારી છે. કૃપા કરીને બિનજરૂરી રીતે ટ્રાફિક સિગ્નલ તોડવાની ટેવ છોડો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો.
મયુર શાહે વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક લોકોમાં એવી વ્યાપક ફરિયાદો સાંભળવા મળે છે કે જામ ટાવર ચોક ખાતે કેટલાક લોકો, જેમાં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થી અને નવા રેસિડેન્ટ ડૉક્ટરોનો પણ સમાવેશ થતો હોવાનું કહેવામાં આવે છે, બિનજરૂરી રીતે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા જોવા મળે છે. જો આવું બનતું હોય, તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. સમાજને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતા દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આદર્શ પૂરું પાડવું જોઈએ.
મયુર શાહે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને વિનંતી કરી છે કે જામ ટાવર ચોકના ટ્રાફિક સિગ્નલની તાત્કાલિક તકનીકી તપાસ કરવામાં આવે, ટાઈમિંગમાં જરૂરી સુધારા કરવામાં આવે અને વ્યસ્ત સમય દરમિયાન કાયમી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવામાં આવે અને અકસ્માતોની ઘટના યથાવત રહેશે, તો તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.


