જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં જ શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વગર રાધા અથવા રાધા વગર શ્રીકૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, તેથી જ રાધાજી મહાશક્તિ કહેવાય છે. ઓ અંગે વિવિધ પુરાણો અને ઉપનિષદો શું કહે છે.
રાધોપનિષદમાં રાધાજીનો પરિચય આપતા કહેવાયું છે કે, કૃષ્ણ તેમની આરાધના કરે છે, તેથી જ તેઓ રાધા છે. વ્રજમાં ગોપીઓ અને દ્વારકાની પટરાણીઓ આ જ શ્રીરાધાનું અંશરૂપા છે. રાધાજી અને શ્રીકૃષ્ણ એક હોવા છતાં પણ ક્રીડા માટે બે થઈ ગયાં છે. રાધિકા શ્રીકૃષ્ણના પ્રાણ છે. આ રાધારાણીની અવહેલના કરીને જે પણ શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે, તે પ્રભુને ક્યારેય મેળવી શકતો નથી.
ભવિષ્યપુરાણ અને ગર્ગસંહિતા અનુસાર દ્વાપરયુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા ત્યારે ભાદ્રપદ માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં ભગવતી રાધાજી અવતરિત થયાં ત્યારથી ભાદરવા સુદ આઠમ `રાધાષ્ટમી’ તરીકે વિખ્યાત થઈ.
સ્કંદપુરાણ અનુસાર રાધા શ્રીકૃષ્ણનો આત્મા છે, તેથી ભક્તજન સીધી-સાદી ભાષામાં તેમને `રાધારમણ’ કહીને બોલાવે છે.
પદ્મપુરાણમાં `પરમાનંદ’ રસને જ રાધા-કૃષ્ણનું યુગલ સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેમની આરાધના વગર જીવ પરમાનંદનો અનુભવ કરી શકતો નથી.
નારદપુરાણ અનુસાર `રાધાષ્ટમી’નું વ્રત રાખનાર ભક્ત વ્રજનાં દુર્લભ રહસ્યને જાણી લે છે.
પદ્મપુરાણમાં સત્યતપા મુનિ સુભદ્રાગોપી પ્રસંગમાં રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાધા અને કૃષ્ણને `યુગલ સરકાર’ની સંજ્ઞા તો ઘણી જગ્યાએ આપવામાં આવી છે.
શ્રીકૃષ્ણનો મીઠા જેટલો પ્રેમ
એક વાર શ્રીકૃષ્ણ અને રાધાજી બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યારે રાધાજીએ બહુ પ્રેમથી શ્રીકૃષ્ણને પૂછ્યું કે, `પ્રભુ! હું તમને કેટલો સ્નેહ અને પ્રેમ કરું છું એ વાતથી તમે સારી રીતે પરિચિત છો, પરંતુ આજે હું તમને પૂછું છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો?’ રાધારાણીની વાત સાંભળી શ્રીકૃષ્ણ હળવા સ્મિત સાથે પ્રેમથી બોલ્યા, `પ્રિયે, હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું.’
શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રાધાજીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ દુઃખી હૃદયે વિચારવા લાગ્યાં કે હું તો પ્રભુને અનહદ પ્રેમ કરું છું, મેં તો મારું સમગ્ર જીવન તેમના પર ન્યોછાવર કરી દીધું છે અને પ્રભુ મને માત્ર મીઠા જેટલો જ પ્રેમ કરે છે?
રાધાજીની આંખમાં અશ્રુ જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યું કે રધારાણીના મનમાં ચાલી રહેલા આ પ્રશ્નનું નિરાકરણ કરવું જ પડશે, તેથી તેમણે રાધારાણીને કહ્યું, `પ્રિયે! તમારી રાજધાનીમાં બધાને આજે નિમંત્રણ આપો અને જાતજાતનાં સ્વાદિષ્ટ વ્યંજન બનાવીને તેમને ખવડાવો, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે તમારે કોઈ પણ વ્યંજનમાં મીઠું નાખવાનું નથી.’
ભોળી રાધારાણીએ એવું જ કર્યું. નક્કી કરેલા સમયે પ્રજાજનો એકત્રિત થયા. રાધાજીએ આદર-સત્કારથી બધાનું સ્વાગત કર્યું અને ભોજન પીરસ્યું. બધી જ પ્રજા ભોજન કરવા બેસી ગઈ અને રાધાજીએ તેમને ભોજન શરૂ કરવા જણાવ્યું. શ્રીકૃષ્ણની આજ્ઞા મેળવીને બધાએ ભોજન કરવાનું શરૂ કર્યું.
કોઈ એક કોળિયો ખાતું તો કોઈક બે કોળિયા ખાતું અને એકબીજાની સામું જોતા. પ્રભુ કહેતા, ખાઓ ખાઓ, પ્રેમથી ખાઓ. કોઈ કંઈ જ ન બોલી શક્યું, પરંતુ એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, `હે પ્રભુ! તમે પ્રેમથી જમાડી રહ્યા છો. તમે જમવા માટે છપ્પન પ્રકારની વાનગીઓ બનાવડાવી છે. જેને જોતાં જ મોંમાં પાણી આવી રહ્યું છે, પરંતુ આ બધી જ વાનગીઓમાં મીઠું નથી, તેથી તે બધી વાનગી ફિક્કી લાગી રહી છે, સ્વાદ વગરની લાગી રહી છે. કૃપા કરીને રાધાજીને કહો કે તેમાં મીઠું નાખે, જેથી આ વાનગીઓ ખાવાયોગ્ય બને.’
આ સાંભળી પ્રભુએ કહ્યું, `પ્રિયે! હવે બધી જ વાનગીઓમાં મીઠું નાખી દો.’ પ્રભુની આજ્ઞા મેળવીને રાધારાણીએ બધી જ વાનગીઓમાં મીઠું નાખી દીધું અને પ્રજાને ફરીથી ભોજન કરવા કહ્યું. પ્રજાએ બધી જ વાનગીઓ આરોગીને ભરપૂર આનંદ મેળવ્યો.
આ જોઈને શ્યામસુંદરે હસીને રાધારાણી તરફ જોયું. રાધારાણીને પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે પ્રભુ તેમને કેટલો પ્રેમ કરે છે!
શ્યામસુંદરનો રાધાપ્રેમ
શ્રીકૃષ્ણ હંમેશાં રાધાજીને યાદ કરતા. શ્રીકૃષ્ણનો રાધાજી માટેનો આવો પ્રેમ જોઈને તેમની પત્નીઓ હંમેશાં વિચારતી હતી કે રાધાજીમાં એવી તો શું વાત છે કે શ્યામસુંદર અમારા જેવી પત્નીઓ હોવા છતાં પણ સૌથી વધારે પ્રેમ રાધાજીને કરે છે અને તેમને જ સૌથી વધારે યાદ કરે છે?
એક વાર જ્યારે શ્રીકૃષ્ણની પટરાણીઓને રાધાજીને મળવાનો અવસર મળ્યો ત્યારે તેઓ તેમના માટે ભેટસ્વરૂપ ગરમ દૂધને એક પાત્રમાં લઇને રાધાજીની પાસે ગયાં. પટરાણીઓ રાધાજીને મળી. થોડી વાર પછી તેમણે ગરમ દૂધ રાધાજીને આપ્યું અને કહ્યું કે આ દૂધ શ્રીકૃષ્ણએ તેમના માટે મોકલ્યું છે. આ સાંભળતાંની સાથે જ તેમણે દૂધ ગરમ છે કે ઠંડું તેની પરવા કર્યા વગર તરત જ તે દૂધ પી ગયાં, કારણ કે આ દૂધની ભેટ તેમના પ્રિયતમે મોકલી હતી. આ જ રાધાપ્રેમની પરાકાષ્ઠા હતી.
જ્યારે પટરાણીઓ રાધાજીને મળીને પાછી શ્રીકૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેમણે જોયું કે શ્રીકૃષ્ણ મોંમાં ચાંદાને કારણે દુખાવાથી કણસી રહ્યા છે. પટરાણીઓને જ્યારે શ્રીકૃષ્ણનાં મોંનાં ચાંદાનું રહસ્ય જાણવા મળ્યું તો તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેમણે માની લીધું કે શ્રીકૃષ્ણ રાધાજીની રગેરગમાં વસે છે. રાધાજીના હૃદયમાં શ્રીકૃષ્ણ રહે છે, તેથી ગરમ દૂધથી રાધાજીને કંઈ ન થયું. શ્રીકૃષ્ણએ રાધાજીનાં તમામ કષ્ટ પોતે લઇ લીધાં.
આ પ્રસંગ પરથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણ અને રાધાજી એકબીજામાં કેવી રીતે સમાયેલાં છે. રાધાભાવ કોઈ પણ પ્રેમથી સર્વોચ્ચ છે. રાધાભાવ એ એવી સ્થિતિ છે જ્યાં એ જાણવું મુશ્કેલ છે કોણ રાધા છે અને કોણ શ્રીકૃષ્ણ છે? આ યોગની તુર્ય અવસ્થા (અંતિમ અવસ્થા) પણ કહેવાય છે.
બરસાનામાં બિરાજતાં કૃષ્ણપ્રિયા શ્રી રાધારાણી
બરસાનામાં ભાદરવા સુદ અષ્ટમીના દિવસે મેળો ભરાય છે અને દશમ સુધી અહીં ઉત્સવ ઊજવવામાં આવે છે જેમાં ખાસ કરીને ઢાઢીલીલાને સ્થાન અપાયું છે. આજે પણ બરસાનામાં રાધારાણીનું જ આધિપત્ય છે. જેમની શ્રી ઠાકુરજી સંગે કરેલી પ્રત્યેક ક્રીડાના સાક્ષી એવા બ્રહ્માજી પણ પર્વતરૂપે ત્યાં બેઠેલા છે. જેમના અંગ પર સારસ્વત યુગમાં શ્રી ઠાકુરજીએ રાધારાણી અને સખીજનો સંગે અનેક લીલાઓ કરેલી છે, પરંતુ કલિકાલમાં આ પર્વત પર શ્રી લાડલીજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે લાલ અને પીળા પથ્થરો વડે બનેલું છે. શ્રી ઠાકુરજી અને રાધાજીને સમર્પિત આ મંદિરનું નિર્માણ ઓડછાના રાજા વીરસિહે 1675માં કરાવ્યું હતું. આ મંદિર લગભગ અઢીસો મીટરની ઊંચાઈ પર બનેલું છે. આ પર્વત પર રહેલ પથ્થર શ્યામ અને શુભ હોવાથી તેને સ્થાનિક લોકો શ્યામ અને નિકુંજેશ્વરી શ્રીરાધાજીના પ્રતીક તરીકે ઓળખે છે.
બરસાનાથી થોડે દૂર નંદગામ છે. જ્યાં શ્રી નંદરાયજી રહેતા હતા. આ સ્થળથી થોડે દૂર સંકેતવન આવેલ છે. જ્યાં શ્રીરાધેજી અને શ્રી ઠાકુરજીનું પ્રથમ મિલન થયું હતું. શ્રી લાડલીજીના આ મંદિર સાથે એવી કથા પણ જોડાયેલી છે કે નારાયણદાસ નામના બ્રાહ્મણ શ્રી રાધેરાણીના ભક્ત હોઈ તેઓ બરસાનામાં બ્રહ્મા પર્વતની તળેટીમાં વસીને શ્રી રાધેરાણીજીનાં ગુણગાન ગાયા કરતા હતા. એક દિવસ રાત્રિના સમયે શ્રી રાધાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, `હું બ્રહ્મા પર્વત પર બિરાજી રહી છું, તું મને બહાર કાઢી અહીં મારું મંદિર બનાવ અને મારી સ્થાપના કર.’ આ સ્વપ્ન આવ્યા બાદ તે બ્રાહ્મણે ભૂમિ ખોદીને શ્રી રાધારાણીને બહાર પધરાવ્યાં અને તેમની સ્થાપના કરી, પોતે મંદિરની પાસે જ એક ઝૂંપડી બનાવી રહેવા લાગ્યો અને તેમની સેવાપૂજા કરવા લાગ્યો. તેઓ જ્યારે શ્રી રાધેજીની સેવા કરી રહ્યા હતા એ વખતે એક અન્ય બ્રાહ્મણ પોતાની કન્યા સાથે ત્યાં આવ્યો અને તેણે પોતાની પુત્રીના વિવાહ નારાયણદાસ સાથે કર્યા. આજે આ નારાયણદાસના વંશજો બરસાનાના ગોસાઈજી તરીકે શ્રી લાડીલીજીની સેવા કરી રહ્યા છે.
બરસાના ગામની લઠ્ઠમાર હોળી ખૂબ પ્રખ્યાત છે. જેને જોવા માટે લાખોની સંખ્યામાં ત્યાં ભક્તજનો આવે છે. સચ્ચિદાનંદ શક્તિસ્વરૂપા અને અનુપમ, અનંત સૌંદર્ય-માધુર્ય સાગરસ્વરૂપા શ્રી રાધેરાણી એ શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા છે, ભક્તોની રાધારાણી છે, જે ભક્તિ કાવ્યની લાવણ્યમયી મૂર્તિ અને પ્રેમની પૂર્ણ પ્રતિમા છે. શ્રી રાધાજી સર્વ આરાધ્ય, સર્વ ઉપાસક તત્ત્વ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય લીલાઓનું સંસ્મરણ, મનન અને ચિંતન કલિયુગના જીવાત્માઓને ભક્તિરસનું દાન કરી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. શ્રી ઠાકુરજીના મહાશક્તિરૂપ આ રાધિકાને આપણે નમન કરીએ.


