* સમયનું દાન: એકલતાના અંધકારમાં માનવતાનુ જીવંત ઉદાહરણ.
* વૃદ્ધોના ચહેરા પરનું સ્મિત એ ઈશ્વર તરફથી મળતા સૌથી મોટા આશીર્વાદ.
* સમયની સેવા, એ જગતની સૌથી મૂલ્યવાન સેવા છે.
* વૃદ્ધાવસ્થામાં સંવાદ એ એકલતાનું શ્રેષ્ઠ નિવારણ છે.
વૃદ્ધાવસ્થામાં એકલતા અને સમયના દાન નુ મહત્વ દર્શાવતો એક ચિંતનશીલ લેખ એકલતાના અંધકારમાં માનવતાનો દિવો પ્રગટાવે છે. આજના ઝડપી જીવનની દોડધામમાં વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા બની ગઈ છે જ્યાં એકલતાનો ઘનો છાયો ઘણા વૃદ્ધોના જીવન પર પડે છે. યુવા પેઢી કારકિર્દી, પરિવાર અને ટેક્નોલોજીની વ્યસ્તતામાં વ્યસ્ત રહીને માતા-પિતા, દાદા – દાદીઓને સમય આપવાનું ભૂલી જાય છે. આ એકલતા માત્ર શારીરિક નથી, પણ માનસિક અને આત્મિક પણ છે. વૈજ્ઞાનિક અભ્યાસો પ્રમાણે, એકલતા વૃદ્ધોમાં ડિપ્રેશન, હૃદયરોગ અને ઇમ્યુન સિસ્ટમની કમજોરીનું કારણ બને છે. પરંતુ આ એકલતાને હરવા માટે ‘સમયનું દાન’ એ સૌથી મોટો અને અમૂલ્ય ઉપહાર છે. જ્યારે તમે તમારા વૃદ્ધોને માત્ર કેટલીક મિનિટો આપો, તો તેમનું જીવન પ્રકાશિત થઈ જાય છે અને તેમની આંખોમાં નવી ચમક આવી જાય છે.
માનવીય સંબંધોમાં સૌથી કિંમતી વસ્તુ જો કોઈ હોય તો તે સમય છે. આજના ભાગદોડભર્યા યુગમાં આપણે સંપત્તિ, સાધન અને સુવિધાઓ પાછળ દોડી રહ્યા છીએ, પરંતુ જેઓ જીવનના અંતિમ પડાવ પર છે, તેમને આ ભૌતિક વસ્તુઓ કરતાં પણ વધુ જરૂર છે—કોઈકની હાજરીની. “સમયની સેવા” એ માત્ર એક વાક્ય નથી, પણ એકલતા અનુભવતા વૃદ્ધો માટે જીવતદાન સમાન છે.
વૃદ્ધાવસ્થા અને એકલતાનું મનોવિજ્ઞાન:
જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે, ત્યારે તેનું શરીર સાથ આપવાનું ઓછું કરી દે છે, પણ તેનું મન સ્મૃતિઓના આશરે વધુ જીવતું થાય છે. સંતાનો પોતાના વ્યવસાય કે પરિવારમાં વ્યસ્ત થઈ જાય ત્યારે ઘરમાં રહેલા વડીલ પોતાને ‘અપ્રસ્તુત’ કે ‘નકામા’ સમજવા લાગે છે.
* સંવાદનો અભાવ, એકલતા એ કોઈ રૂમમાં એકલા હોવા પૂરતી મર્યાદિત નથી, પણ ભીડમાં હોવા છતાં જ્યારે કોઈ સાંભળનાર ન હોય ત્યારે તે વધુ પીડા આપે છે.
* ગ્લાનિનો અનુભવ, શારીરિક અશક્તિને કારણે બીજા પર નિર્ભર રહેવું પડે ત્યારે વડીલોના આત્મસન્માનને ઠેસ પહોંચે છે, જે તેમને મૌન તરફ દોરી જાય છે.
વૃદ્ધાવસ્થામાં સમયની સેવા કેમ સર્વોપરી છે?
આપણે મંદિરમાં દાન કરીએ છીએ કે ગરીબોને જમાડીએ છીએ, પણ એક વૃદ્ધ વ્યક્તિ પાસે બેસીને તેની જૂની વાતો સાંભળવી, તેમના માટે સમય આપવો એ માનવતાનું જીવંત ઉદાહરણ ગણાશે.
* સ્વયંસેવક તરીકેનું ગૌરવ:
જ્યારે આપણે કોઈ વડીલને પૂછીએ છીએ કે તમારો દિવસ કેવો રહ્યો?, તમારા સમયમાં આ વસ્તુ કેવી હતી?, ત્યારે તેમને અહેસાસ થાય છે કે તેમનો અનુભવ આજે પણ કોઈના માટે મૂલ્યવાન છે.
* માનસિક સ્વાસ્થ્ય:
મનોવિજ્ઞાન કહે છે કે સંવાદ એ અડધા રોગોની દવા છે. માત્ર દસ મિનિટની નિખાલસ વાતચીત વૃદ્ધોમાં ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ ઘટાડી શકે છે.
* સંસ્કારોનું આદાન-પ્રદાન:

સમય આપીને આપણે માત્ર તેમને ખુશી નથી આપતા, પણ તેમના જીવનના અનુભવોમાંથી મફતમાં એવું જ્ઞાન મેળવીએ છીએ જે કોઈ પુસ્તકમાં નથી મળતું.
આપણું કર્તવ્ય અને સેવાનો વ્યવહારુ અભિગમ:
વૃદ્ધોને તમારી સંપત્તિ કરતા તમારા સાન્નિધ્યની વધુ ભૂખ હોય છે. તેમની સાથે સમય વિતાવવા માટે કોઈ મોટા આયોજનની જરૂર નથી. તેમની સાથે બેસીને ચા પીવી, તેમની જૂની તસવીરો જોવી અને તે સમયની વાતો પૂછવી,
ટેકનોલોજીના જમાનામાં તેમને મોબાઈલ કે વીડિયો કોલ કરતા શીખવવું જેથી તેઓ મિત્રો સાથે જોડાઈ શકે. જેમ સુકાતા છોડને પાણીની જરૂર હોય છે, તેમ એકલતા અનુભવતા વૃદ્ધોને વહાલભર્યા શબ્દોની જરૂર હોય છે. “સમયની સેવા” એ જગતની સૌથી સસ્તી છતાં સૌથી મૂલ્યવાન સેવા છે. યાદ રાખો, આજે આપણે જે સમય કોઈ વડીલને આપી રહ્યા છીએ, તે વાસ્તવમાં આપણે આપણા ભવિષ્ય માટે એક સુંદર સમાજનું રોકાણ કરી રહ્યા છીએ. કારણ કે, સમયનું ચક્ર ફરતું રહે છે અને એક દિવસ આપણે પણ એ જ ઉંબરે ઊભા હોઈશું. “વૃદ્ધોના ચહેરા પરનું સ્મિત એ ઈશ્વર તરફથી મળતો સૌથી મોટો આશીર્વાદ છે.”
“અનુભવનું ભાથું- એક જીવંત પ્રસંગ”
એક સોસાયટીમાં નિવૃત્ત શિક્ષક દાદા એકલા રહેતા હતા. તેમનો દીકરો વિદેશ હતો અને તેઓ આખો દિવસ ગેલેરીમાં બેસીને રસ્તા પરના ટ્રાફિકને જોયા કરતા. એક પાડોશી યુવાન દરરોજ તેમને જોતો, પણ પોતાની ઓફિસની ઉતાવળમાં માત્ર ‘કેમ છો’ કહીને નીકળી જતો. એક રવિવારે તે યુવાન દાદા પાસે બેઠો અને સહજ પૂછ્યું, “દાદા, તમે આખો દિવસ અહીં બેસીને શું વિચારો છો?” દાદાની આંખમાં ચમક આવી ગઈ. તેમણે કહ્યું, “બેટા, હું વિચારતો હતો કે મારી પાસે જ્ઞાનનો દરિયો છે, પણ એને પીવા વાળું કોઈ નથી. આજે તેં પૂછ્યું એટલે મને લાગ્યું કે હું હજુ જીવંત છું.”
તે દિવસે એ યુવાને માત્ર એક કલાક દાદા સાથે વિતાવ્યો. દાદાએ તેને જીવનના એવા પાઠ ભણાવ્યા જે કોઈ મેનેજમેન્ટની ડિગ્રી શીખવી શકે તેમ નહોતી. બદલામાં દાદાને શું મળ્યું? એ દિવસની રાત્રે તેઓ મહિનાઓ પછી શાંતિથી ઊંઘી શક્યા, કારણ કે તેમના હૃદયનો ભાર હળવો થયો હતો. આ છે ‘સમયની સેવા’ ની શક્તિ. વડીલોને માત્ર તમારી હાજરી જોઈએ છે. તમારા માટે જે માત્ર ૧ કલાક છે, તે તેમના માટે આખા અઠવાડિયાની ઉર્જા બની શકે છે. સંવાદ એ એકલતાનું શ્રેષ્ઠ નિવારણ છે.
વૃદ્ધાવસ્થાનો અમૂલ્ય ખજાનો અને એકલતાના પરિણામો:
વૃદ્ધાવસ્થા એ જીવનનો સૌથી અમૂલ્ય તજર્બાનો સમુદ્ર છે. તેઓએ આજીવન સંઘર્ષ કર્યો, પરિવાર નીભાવ્યો, ગામડાં-શહેરોમાં ખેતી કરી, સ્વતંત્રતા આંદોલન જોયું અને સમાજને તેમનું જ્ઞાન આપ્યું. આજે તેમને જરૂર છે તમારા કાન, તમારુ હાસ્ય, તમારી રુચિ અને તમારી હાજરી. પરંતુ જ્યારે આ મળતું નથી, ત્યારે એકલતા તેમના મનને ખાઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ મુજબ, ભારતમાં 30% વૃદ્ધો એકલતાને કારણે માનસિક તણાવથી પીડાય છે.
રાજકોટના હરિપર ગામમાં 78 વર્ષીય શાંતાબેન એકલા રહે છે. તેમનો પુત્ર અને પુત્રી અમદાવાદ અને મુંબઈમાં નોકરી કરે છે અને છ મહિને એકવાર આવે છે. એકલતામાં તેઓ દિવસો સુધી ઘરની બહાર બેસી રહેતા, તેમની પુરાની યાદોને યાદ કરતા, હવે તેમના પૌત્ર દર અઠવાડિયે એક કલાકનો વીડિયો કોલ કરી અને તેમની પુરાણી વાતો સાંભળતો – જેમ કે 1970ના દુષ્કાળમાં ખેતી કેવી રીતે બચી હતી, આવી વાતો સંભળાવી શાંતાબેનનો ચહેરો ચમકી ઉઠતો. આ નાનું ‘સમયનું દાન’ તેમની એકલતાને દૂર કરી, જીવનને નવી ઉર્જા આપતું. આવી ઘટનાઓ ગુજરાતના અનેક ગામડાઓમાં અને શહેરોમાં જોવા મળે છે.
સમયના દાનનું અનંત મહત્વ અને વર્તમાન સમયની પ્રેરણા:
સમયના દાનનું મહત્વ અનંત છે કારણ કે તે પૈસા કે વસ્તુઓથી વધુ મૂલ્યવાન છે. આજના ડિજિટલ યુગમાં એક ફોન કોલ, વીડિયો કોલ કે ઘરે આવીને ચા પીવીને વાતો કરવી, આ નાની વસ્તુઓ વૃદ્ધોના હૃદયને સુખી કરે છે. ગુજરાતી સંસ્કૃતિમાં જ્યાં પરિવાર ત્યાં જીવનનું મહત્વ છે, જેમ કે દિવાળી કે નવરાત્રીમાં સાથે ઉજવણી. પણ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડ વધુ મહત્વના બન્યા છે, ત્યારે રાહ જોઈને વૃદ્ધોને તમારો સમય આપવો એ સાચી પ્રેરણા છે. કોરોના મહામારીએ આ એકલતાને વધારી દીધી છે, જ્યાં ઘણા વૃદ્ધો એકલા પડી ગયા છે. એક વખત વિચારો, તમારો એક કલાકનો સમય તેમના માટે દિવસોની ખુશી બની શકે છે. આ નહીં તો એકલતા તેમને ડિપ્રેશન, અસ્વસ્થતા અને હતાશા તરફ દોરી જશે.
વૃદ્ધાવસ્થા માં એકલતા દૂર કરવા માટેના વ્યવહારુ પગલાં અને આગળનો માર્ગ:
આ પ્રેરણાને વ્યવહારમાં લાવવા માટે કેટલાક સરળ પગલાં લઈ શકાય જેમાં,
દર અઠવાડિયે એક વખત મુલાકાત ભલે 30 મિનિટની પણ નિયમિત કરવી,
ટેક્નોલોજીનો ઉપયોગ, વોટ્સએપ કોલ કે ઝૂમ પર વાતો કરવી, તેમને શીખવો.
સામૂહિક પ્રયાસ, પડોશીઓ સાથે મળીને વૃદ્ધ ક્લબ શરૂ કરો. કથાઓ રેકોર્ડ કરીને પરિવાર સાથે શેર કરો.
યાદ રાખો, આજે તમે તેમને સમય આપશો, તો કાલે તમારી વૃદ્ધાવસ્થામાં પણ કોઈ તમારી સાથે રહેશે. આ કર્મફળનો નિયમ છે. વૃદ્ધાવસ્થામાં સમય એક પરીક્ષા નહીં, પરંતુ એક પ્રસાદ છે.
જે વ્યક્તિ સમયને સ્વીકારે છે, તેને જીવન સ્વીકારી લે છે અને જે સમયનુ સન્માન કરે છે, તેનું જીવન અંતિમ ક્ષણ સુધી ગૌરવભર્યું રહે છે.
બાબુભાઇ મેનપરા
નિવૃત્ત અધિકારી, BSNL


