1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
સૂર્યા હાઈબ્રિડ કંપનીના પૂર્વ ડિરેક્ટર રાજીવ મહેતા મામલે ચુકાદો ; સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનોના ઉલ્લંઘનની દલીલ માન્ય, રિમાન્ડ અરજી દરમિયાન કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા ₹1450 કરોડના કથિત GST ફ્રોડ કેસમાં અદાલતે મહત્વપૂર્ણ વળાંક લાવતા કંપનીના ડિરેક્ટરની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણયથી તપાસ એજન્સીઓની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, સૂર્યા હાઈબ્રિડ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે વિશાળ પાયે GST છેતરપિંડીના આરોપોને લઈ 25 ફેબ્રુઆરી 2026ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન કંપનીના નોંધાયેલ સરનામા સહિત સંબંધિત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
આ તપાસના ભાગરૂપે કંપનીના પૂર્વ ડિરેક્ટર રાજીવભાઈ મહેતા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ તેમને અનેક વખત સમન્સ પાઠવ્યા હતા, જેને રાજીવભાઈએ નિયમિત રીતે પાલન કર્યું હતું અને તપાસમાં સહકાર આપ્યો હતો.
તેમ છતાં, GST વિભાગે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને રાજીવભાઈ મહેતાને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ ધરપકડ બાદ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તરફથી કાનૂની ટીમે ધરપકડની પ્રક્રિયા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ધરપકડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શનોનું ઉલ્લંઘન કરે છે. ખાસ કરીને, જ્યારે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો હોય ત્યારે સીધી ધરપકડ કરવાની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
આ મુદ્દે બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પી.એમ. શાહે મહત્વપૂર્ણ નિર્ણય આપતા ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. કોર્ટના આ નિર્ણયને કારણે કેસમાં નવી દિશા ઉભી થઈ છે.
આ કેસમાં બચાવ પક્ષ તરફથી એડવોકેટ ફેનિલ મહેતાએ ધારદાર રજૂઆત કરી હતી, જેમાં તેમને એડવોકેટ કિશન રાજાણી, એડવોકેટ હિરેન દધાણિયા અને એડવોકેટ ઝલક ચૌહાણે સહયોગ આપ્યો હતો. તેમની દલીલોને કોર્ટ દ્વારા માન્યતા મળતા આરોપીને રાહત મળી છે. હાલમાં કેસની આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની બાકી છે, પરંતુ અદાલતના આ ચુકાદાથી સમગ્ર મામલે ચર્ચા તેજ બની છે.


