એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
માનસમાં ‘સંકલ્પ’ શબ્દ ચાર વખત આવે છે ને ‘સાધુતા’ શબ્દ એક જ વખત લખાયો છે
સંકલ્પ ફેરવી શકાય પણ વચન ન ફેરવી શકાય
શસ્ત્ર સુંદર ન હોય, સુદર્શન સુંદર છે, સુદર્શન ચક્ર શસ્ત્ર નથી
ત્યાગ-તપસ્યા અને નિરંતર સાધનારત એવી જૈનતીર્થ પાલિતાણાની પરમ ભુમિ પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ શિવ-સંકલ્પ’ના ચોથા દિવસે (ગઇકાલે) પ્રિય બાપુએ કથાનો પ્રેમસંવાદ આગળ વધારતા કહ્યું હતું કે હું અત્યારે કથા સ્થાને આવતો હતો ત્યારે રસ્તામાં મને પાલિતાણાના મુસ્લિમ, વોરા સમાજના ભાઇઓ મળ્યાં. વ્યાસપીઠ પ્રત્યેના એના સદભાવને હું વંદન કરૂ છું. બાપ! કથાના કેન્દ્રીય વિષય ‘શિવ સંકલ્પ’ની સાત્વિક-તાત્વિક સંવાદીય ચર્ચાને આગળ લઇ જઇએ અહીં સંકલ્પ શબ્દ કેન્દ્રમાં છે. એ શબ્દની વિવિધ શ્રેણીઓ છે. ભિન્ન-ભિન્ન સ્વરૂપો છે. (૧) વચન (૨) પણ (3) વ્રત (૪) પ્રતિજ્ઞા (વરદાન), (૫) આર્શિવાદ (૬) શ્રાત-અમુક અમુક શ્રાપ પણ આપે એને પણ પાળવા પડે છે અને (૭) સંકલ્પ-આ બધાં જ પાળવાના હોય છે.
વચન-માનસમાં તુલસીદાસજીની આ પંકિતઓ તો જગપ્રસિધ્ધ છે.
રઘુકૂળ રિતિ સદા ચલી આઇ
પ્રાણ જાયે અરૂ વંચન ન જાઇ
સમગ્ર રઘુવંશમાં વચનની મોટી ગરીમા છે. પ્રાણના ભોગે પણ વચન (ટેક) પળાય છે. વાલ્મિકીજી પણ રામાયણમાં વચનનો મહિમા, ભરતજી જયારે સમગ્ર અયોધ્યાના પ્રજાજનોને લઇને ચિત્રકૂટ જાય છે. ત્યાં ધર્મસભા ભરાય છે ત્યારે વચન સંદર્ભે ખૂબ બૌધ્ધિક લાંબી ચર્ચાઓ થાય છે. એ સમગ્ર ઘટનાની પાછળ વચનનો જ મહિમા સ્થપાયો છે. ચર્ચા-સભાને અંતે ભરતજી રામની પાદુકા લઇને અયોધ્યા વાસીઓ સાથે અયોધ્યા પાછા ફરે છે અને ગજરાજ ઉપર પાદુકા રાખીને શોભાયાત્રા નીકળે છે. ચિત્રકૂટથી અયોધ્યા સુધી ભરતજીએ રામ પાદુકા પોતાના માથા ઉપર રાખીને અયોધ્યા ગયાં છે.
નિગમ કહે છે સાગર-સાગર સમાન, આકાશ આકાશ સમાન એમ રામ કેવા? તો કહે છે કે રામ રામ સમાન ધર્મ હંમેશા વર્તમાન છે. સંપ્રદાયો ભૂતકાળ છે. હરિ ઇચ્છા ભવિષ્ય બદલી શકે છે. પણ ભવિષ્ય હરિ ઇચ્છા ન બદલી શકે. પછી છે વ્રત જગતના કલ્યાણ માટે, જગતના ઉધ્ધાર માટે વ્રત ફેરવી શકાય એના દ્રષ્ટાંતો મહાભારત-રામાયણમાં ઘણા છે. સંકલ્પ શબ્દ શ્રેણીમાં એક શબદ છે. પણ અને પ્રતિજ્ઞા. સમર્થ હોય એ જ પ્રતિજ્ઞા તોડી શકે છે. ભીષ્મ-કૃષ્ણ આ કરી શકે છે. કૃષ્ણની બે પ્રતિજ્ઞા હતી. (૧) સંભવામિ યુગે યુગે અને (૨) મેદાનમાં યુધ્ધમાં શસ્ત્ર હાથમાં નહી લઉ. શસ્ત્ર સુંદર ન હોય પણ સુદર્શન સુંદર છે અને સુદર્શન ચક્ર છે, શસ્ત્ર નથી.
આજે તો ધર્મની સ્થિતિ કેવી છે! એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં! કોઇ મને પૂછયું કે બાપુ, ઇશ્વર-ભગવાન ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય છે. તો આમાં સાધુ કેમ નથી? મારી દ્રષ્ટિએ ગૌ એટલે સાધુ સાધુ હંમેશા ગાય જેવો હોય જ. રામચરિત માનસમાં રામના અને તુલસીદાસજીના સંકલ્પો છે. તુલસીજીના ત્રણ સંકલ્પોના મને દર્શન થાય છે. (૧) સ્વાન્ત: સુખાય એટલે કે પોતાના સુખ શુભ માટે રામગાથા લખવાનો સંકલ્પ (૨) પોતાના મન પ્રબોધ માટે અને (3) પોતાની વાણીને પવિત્ર કરવા માટે જીવ કરે એ બૌધ્ધિક સંકલ્પ હોય છે જયારે શિવ કરે એ હાર્દિક સંકલ્પ હોય છે. શિવજી લગ્ન શું કામ કરે? જગત કલ્યાણ માટેના એ હાર્દિક સંકલ્પ છે. મનના સંકલ્પો, બૃધ્ધિના સંકલ્પો, ચિત્તના સંકલ્પો અને અહંકારના સંકલ્પો, આપણે સૌ આ ચાર સંકલ્પોથી ઘેરાયેલા રહીએ છીએ અને એ સંકલ્પો બૌધ્ધિક હોય છે એટલે નુકશાન પણ થાય છે. માટે જે કહેવાયું છે કે શિવ સંકલ્પ હંમેશા હાર્દિક હોય છે. પ્રતિજ્ઞા પણ જયારે બૌધ્ધિક હોય ત્યારે કયારેક નુકશાન થાય છે.
કથારત્નો
(૧) એક આફ્રિકન સૌરાષ્ટ્રમાં આવ્યો, એને ઢસા જવું હતું કોઇને પૂછયું કે ઢસા કેમ જવાય? તો જવાબ મળ્યો કે ધોળા થઇને જવાય! તો ઓલો પાછો આફ્રિકા ભેગો થઇ ગયો! કેમ કે એ કાળો હતો!
(૨) આંખ લગ જાયે તો અપના ગયા, આંખ જગ જાગે તો સપના ગયા, આંખ બંદ હો જાયે તો દફના ગયા!
(3) આ આટલે પહોંચ્યા પછી એટલું સમજાય છે, અહીં કોઇ કાંઇ કરતું નથી આ તો બધું થાય છે! – રાજેન્દ્ર શુકલ
(૪) સદગુરૂ વચનોના થાવ અધિકારી પાનબાઇ! મેલવું અંતરના અભિયાનને રે….
(૫) ધર્મ હંમેશા વર્તમાન છે, સંપ્રદાયો ભૂતકાળ છે!
જૈનાચાર્યો દ્વારા પૂ.મોરારિબાપુને જૈન ગ્રંથ અર્પણ
પાલીતાણામાં ચાલી રહેલી ‘માનસ શિવ સંકલ્પ’ રામકથામાં અઢીદ્રિપ સંસ્થાના જૈનાચાર્ય પૂ.હાર્દિકસુરેશ્વરજી મહારાજના નેતૃત્વમાં જૈનાચાર્યો ઉપસ્થિત થયા હતાં અને જૈન રામાયણ પોમચરીયમ કથાના ચતુર્થ દિવસે કથા પ્રારંભે પૂ.મોરારિબાપુને અર્પણ કરી હતી.


