ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
વેરાવળ-તાલાલા-સુત્રાપાડા વિસ્તારમાં વીજ વિભાગની ટીમોનું ચેકીંગ : વીજ ચોરોમાં ફફડાટ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં વીજચોરી અને વીજવપરાશમાં થતી ગેરરીતિઓ સામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. જેમાં વડી કચેરી જીયુવીએનએલ વડોદરા તથા પીજીવીસીએલ રાજકોટના માર્ગદર્શન હેઠળ વેરાવળ વિભાગીય કચેરી હેઠળ આવતા વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજચેકિંગ હાથ ધર્યુ હતુ. આ ડ્રાઈવ અધીક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ તથા વેરાવળના કાર્યપાલક ઈજનેર એસ. બી. ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ જેમાં પોલીસ, એસ.આર.પી. નો સ્ટાફ સાથે વીજ વિભાગની 54 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટીમોમાં કુલ 220 અધિકારી- કર્મચારીઓએ રહેણાંક, વાણિજ્યિક તથા ખેતીવાડી સહિતના વિવિધ વીજ જોડાણોની સઘન તપાસ કરી હતી.
આ વીજ ડ્રાઈવ ચેકિંગ દરમ્યાન આશરે 1700 જેટલા વીજજોડાણો તપાસેલ જેમાંથી 308 વીજ કનેકશનોમાં અનેક પ્રકારની ગેરરીતિઓ મળી આવતા વીજ વિભાગ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી ગેરરીતિ બદલ કુલ રૂ.139.78 લાખના વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા હતા. વીજતંત્રની આ કાર્યવાહી અંતર્ગત ધામળેજ, ગોવિંદપરા, ગાંગેથા, પીપળવા, સાસણ, ભાલછેલ, ચિત્રોડ, વિથલપુર, પીખોર, સોળાજ, સુંદરપરા, ડારી, ઊંબા ઉકડીયા, ખારવાવાડ, આરબ ચોક, પ્રભાસપાટણ સહિતના વિસ્તારોમાં વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી. વીજતંત્ર દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશને પગલે વીજચોરી કે વીજવપરાશમાં ગેરરીતિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે અને શંકાસ્પદ વીજજોડાણો પર સઘન નજર રાખવામાં આવશે.


