કાશ્મીરથી ચારધામ સુધી કુદરતનો કોપ
વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા
અમરનાથ-વૈષ્ણોદેવી-ચારધામ યાત્રા સ્થગિત; પૂર અને માર્ગ ધોવાણથી જનજીવન અસ્તવ્યસ્ત ; શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ધોધમાર વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, ભૂસ્ખલન અને પૂર જેવી કુદરતી આફતોએ સમગ્ર વિસ્તારને સંકટમાં મૂકી દીધો છે. છેલ્લા બે દિવસમાં વિવિધ દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિને જોતા અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા અને ઉત્તરાખંડની ચારધામ યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ અસર પૂંછ, રાજૌરી, ડોડા અને જમ્મુ જિલ્લામાં જોવા મળી રહી છે. પૂંછ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી એક મકાન પર કાટમાળ ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. ડોડા જિલ્લામાં બસ પર પર્વત પરથી વિશાળ શિલા તૂટી પડતાં બે મુસાફરોના મોત થયા હતા. અન્ય વિસ્તારોમાં પણ વરસાદી દુર્ઘટનાઓને કારણે જાનહાનિ થઈ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે છ લોકો હજુ પણ લાપત્તા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અમરનાથ યાત્રાનો બાલતાલ માર્ગ મર્યાદિત રીતે ખોલવામાં આવ્યો હોવા છતાં મુખ્ય યાત્રા અટકાવી દેવામાં આવી છે. કટરામાં આશરે 15 હજાર જેટલા યાત્રાળુઓ અટવાયેલા છે. માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર બેટરી કાર રૂટ, ભૈરવ ઘાટી અને પરંપરાગત માર્ગ પર સતત પથ્થરો ધસી પડવાની ઘટનાઓને કારણે યાત્રાળુઓની અવરજવર સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. મસૂરી-દેહરાદૂન માર્ગ સહિત અનેક મુખ્ય માર્ગો પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ જતા યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ માર્ગો સંપૂર્ણપણે સલામત જાહેર થયા બાદ જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, શિમલા, મંડી અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને લોકોને નદી-નાળા તથા પહાડી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય ચોમાસાના કારણે આગામી 48 કલાક ઉત્તર ભારત માટે અત્યંત મહત્વના રહેશે. જમ્મુ-કાશ્મીરમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે. તવી અને ચિનાબ નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદે જોર પકડ્યું છે. ધોધમાર વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નિષ્ણાતોનું માનવું છે કે હિમાલયી વિસ્તારોમાં વધતી અતિવૃષ્ટિ, વાદળ ફાટવાની ઘટનાઓ અને વારંવાર થતાં ભૂસ્ખલન આબોહવા પરિવર્તનની ગંભીર અસર તરફ ઈશારો કરે છે. આવા સંજોગોમાં સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી, વૈજ્ઞાનિક આયોજન અને સમયસર ચેતવણી વ્યવસ્થા મજબૂત બનાવવી હવે અનિવાર્ય બની ગઈ છે.
24નાં મોત, 6 લાપત્તા
બે દિવસમાં વરસાદી દુર્ઘટનાઓમાં 24 લોકોના મોત.
પૂર અને ભૂસ્ખલનમાં 6 લોકો લાપત્તા.
બચાવ માટે NDRF, SDRF અને સ્થાનિક તંત્ર કાર્યરત.
ત્રણ મુખ્ય યાત્રાઓ પર બ્રેક
અમરનાથ યાત્રા સ્થગિત.
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ બંધ.
ચારધામ યાત્રા પણ તાત્કાલિક રોકાઈ.
માર્ગ સુરક્ષિત બન્યા બાદ જ યાત્રા ફરી શરૂ થશે.
કાશ્મીરમાં સૌથી વધુ નુકસાન
પૂંછમાં મકાન પર કાટમાળ પડતાં એક પરિવારના 7 મોત.
ડોડામાં બસ પર શિલા પડતાં 2નાં મોત.
અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો.
ઉત્તરાખંડમાં માર્ગો ધોવાયા
મસૂરી-દેહરાદૂન માર્ગ પર મોટું ભૂસ્ખલન.
ચારધામ રૂટના અનેક ભાગોમાં અવરજવર બંધ.
યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડાયા.
હિમાચલમાં રેડ એલર્ટ
કુલ્લુ, શિમલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ.
શાળા-કોલેજોમાં રજા જાહેર.
નદી-નાળાથી દૂર રહેવા લોકોને અપીલ.
કાશ્મીરમાં 15 હજાર યાત્રાળુ અટવાયા
કટરામાં અંદાજે 15 હજાર યાત્રાળુ રોકાયા.
બાલતાલ રૂટ મર્યાદિત રીતે ખુલ્લો.
વૈષ્ણોદેવી માર્ગ પર સતત ભૂસ્ખલનથી અવરજવર બંધ.
આગામી 48 કલાક ભારે
IMD દ્વારા ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી.
જમ્મુ-કાશ્મીરમાં 23 જુલાઈ સુધી એલર્ટ.
તવી અને ચિનાબ નદીમાં જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોને ચેતવણી.


