ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી
ઘરની ઓસરીમાં રમતી બાળકીને જડબાથી દબોચી ખેતરમાં લઈ ગયો નરભક્ષી સિંહ
ગ્રામજનોની બૂમાબૂમ બાદ લાશ મૂકી નાસી છૂટ્યો, વન વિભાગ સામે રોષ
અગ્ર ગુજરાત, ઉના
ગીર પંથકમાં દિન-પ્રતિદિન વધી રહેલા માનવ-વન્ય જીવ સંઘર્ષે વધુ એક માસૂમનો ભોગ લીધો છે. ઉનાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો. ઘરની ઓસરીમાં માતાની નજર સામે રમી રહેલી માત્ર 4 વર્ષની નિર્દોષ બાળકી હેમાંશી પામકને સિંહ જડબા થી દબોચીને ખેતરમાં લઈ ગયો અને તેનો જીવ લઈ લીધો.
માતાની નજર સામે જ માસૂમનો કોળિયો કરી ગયો સિંહ ડમાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવલ ભાઈ પામકની 4 વર્ષની પુત્રી હેમાંશી તેની માતા સવિતાબેન સાથે સાંજના સમયે ઘરની ઓસરીમાં બેઠી હતી. સવિતાબેન તેમના નાના પુત્રને તાવની દવા આપી રહ્યા હતા. એ જ ક્ષણે કાળ બનીને આવેલા સિંહે અચાનક ત્રાટકીને હેમાંશીને જડબામાં પકડી લીધી. માતા કંઈ સમજે કે ચીસ પાડે તે પહેલાં જ સિંહ માસૂમને ઉઠાવીને નજીકના ખેતરમાં અદ્રશ્ય થઈ ગયો. માતાની આંખ સામે જ દીકરીનો જીવ જતા જોઈ સવિતાબેન આઘાતથી સુન્ન થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ ગામલોકો લાકડીઓ લઈને ખેતર તરફ દોડ્યા. સિંહ બાળકીને ઘરેથી અંદાજે 500 મીટર દૂર ખેતરમાં ઢસડી ગયો હતો. ગ્રામજનોના હોબાળા અને બૂમાબૂમથી ગભરાઈને સિંહ બાળકીના ક્ષત-વિક્ષત મૃતદેહને ત્યાં જ છોડીને બાજુના ખેતરમાં નાસી છૂટ્યો. જ્યારે પરિવારજનોએ હેમાંશીનો મૃતદેહ જોયો ત્યારે કાળજું કંપાવી નાખે તેવું દૃશ્ય હતું. માસૂમના મૃતદેહને જોતાં જ આખું ગામ હિબકે ચઢ્યું હતું.
ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગનેજાણ કરી, પરંતુ અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ એક કલાક મોડી પહોંચતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં સિંહોની સતત અવરજવર હોવા છતાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. સિંહોને માનવ વસાહતમાં પ્રવેશતા અટકાવવા માટે કોઈ નક્કર આયોજન કે પગલાં લેવાયા નથી. આ કરુણ ઘટના બાદ સમગ્ર ડમાસા અને આસપાસના પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર કાઢતા પણ ડરી રહ્યા છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વન વિભાગના કર્મચારીઓ અને ગાર્ડ દિવસે કે રાત્રે ક્યારેય નજરે પડતા નથી.
ગ્રામજનોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કેટલાક મળતિયાઓ અને ગાર્ડ દ્વારા મહેમાનોને પૈસા લઈને સિંહ દર્શનની ‘સેટિંગ’ કરી આપવામાં આવે છે. સિંહનું ચોક્કસ લોકેશન આપીને પ્રવાસીઓને જંગલમાં લઈ જવાય છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે સિંહો માનવ વસાહતથી ટેવાઈ ગયા છે અને માનવનો ડર ઓછો થતાં આવા હુમલા વધી રહ્યા છે. આ કરુણતા ભરી ધટના બાદ મૃતક દિકરી ને પી એમ માટે ઉના હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે
દિન-પ્રતિદિન વધતા જતા વન્યજીવ હુમલા ચિંતાનો વિષય
છેલ્લા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા અને અન્ય વન્યજીવોના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. જંગલ વિસ્તાર સતત ઘટી રહ્યો છે અને સિંહોની વસ્તી વધી રહી છે, જેના કારણે તેઓ ખોરાકની શોધમાં ગામડાઓ તરફ આવી રહ્યા છે. માત્ર ઉના પંથકમાં જ છેલ્લા એક વર્ષમાં સિંહના હુમલામાં અડધો ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સિંહ ની વસ્તી વધતા ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં આવતા થયા
વન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા 700ને પાર કરી ગઈ છે, પરંતુ તેમના માટેના રહેઠાણ અને શિકારની વ્યવસ્થા અપૂરતી છે. પરિણામે માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ વકરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, સિંહોના કોરિડોર, પૂરતા પેટ્રોલિંગ, ગામલોકોમાં જાગૃતિ અને ગેરકાયદે સિંહ દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને વન્યજીવ વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. એક માસૂમનો ભોગ લેવાયા બાદ હવે તંત્ર જાગશે કે પછી હજુ વધુ જીવ જશે તે સૌથી મોટો સવાલ છે.


