જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર
ભાજપના જ કાર્યકર દ્વારા કરાયેલી RTIમાં ખૂલાસો થયાના આક્ષેપ : રજૂઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન : ખોટા બિલો રજૂ કરાયા હોવાની રાવ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. ભાજપના આગેવાન દ્વારા જ RTI કરી વિગત માંગવામાં આવતા કરોડોના પ્રોજેક્ટમાં ચાલી રહેલી લાલિયાવાડી ખુલ્લી પડી છે. ભાજપ આગેવાને આક્ષેપ કર્યો છે કે, ભૂગર્ભ ગટરનું કામ કરી રહેલી એજન્સી દ્વારા જે પેઢીના બિલ રજૂ કરવામાં આવ્યા છે તેમાંના કેટલાક બિલ ખોટા છે. જે પેઢીના બિલ રજૂ કરાયા છે તે પેઢીએ પોતાના બિલ હોવાનો ઈન્કાર કર્યો છે. આ મામલે પોલીસે અને અરજદાર દ્વારા કોર્પોરેશનને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી હોવા છતા કોઈ કાર્યવાહી ન થતા આશ્ચર્ય સર્જાયું છે.
આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને જાગૃત નાગરિક નરેશભાઈ ડવે જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી હતી જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મનપા દ્વારા આપવામાં આવેલા અંદાજે 12 હજાર જેટલા કાગળોની ચકાસણી કરતા સામે આવ્યું છે કે, ભૂગર્ભ ગટરના કામમાં મોરબી, ટંકારા, મહેસાણા અને વિજાપુર જેવી દૂરની પેઢીઓના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પૈકીના મોટાભાગના બિલો નકલી છે અને તેમાં જીએસટી નંબરનો પણ ઉલ્લેખ નથી. જ્યારે આ પેઢીઓના માલિકોનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બિલો તેમના નથી અને તેમણે જૂનાગઢ મહાનગરપાલિકાને ક્યારેય કોઈ માલસામાન સપ્લાય કર્યો નથી. આ બાબત સાબિત કરે છે કે સરકારી નાણાંનો વ્યય કરવા માટે બોગસ બિલોનું આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે.
તંત્રની કામગીરી પર બીજો મોટો સવાલ એ ઉભો થાય છે કે કમિશનર દ્વારા આ મામલાની તપાસ ‘સવજાણી કંપની’ ને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની પોતે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે કે પીએમસી તરીકે કામ કરી રહી છે જેની જવાબદારી કામ પર દેખરેખ રાખવાની હતી. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે જે કંપનીના નાકની નીચે આ ભ્રષ્ટાચાર થયો છે તેને જ તપાસ સોંપવી એ ગુનેગારને જ ન્યાયાધીશ બનાવવા સમાન છે. આ ઉપરાંત ગટરમાં હાઈડ્રોલિક ડિઝાઇનનો અભાવ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો ડિઝાઇન યોગ્ય રીતે કરવામાં આવી હોત તો માંગનાથ રોડ અને કડિયાવાડ જેવા વિસ્તારોમાં ગટરના પાણી રોડ પર ફરી ન વળ્યા હોત. આવનારા ચોમાસામાં પણ જૂનાગઢના નાગરિકોએ હાલાકી ભોગવવી પડશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
રેતી, કપચી અને લોખંડ જેવા મટીરીયલના બિલોમાં પણ મોટી ગેરરીતિ થઈ હોવાનું અનુમાન છે કારણ કે વારંવાર માંગણી કરવા છતાં આ બિલો પૂરા પાડવામાં આવ્યા નથી. માટી ખોદાણની રોયલ્ટી ચોરી કરીને પણ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. એક અંદાજ મુજબ 450 કરોડના ફેઝ-2 ના કામમાં આશરે 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા મેઝરમેન્ટ બુક એટલે કે એમબીના આધારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતે વધુ માહિતી માંગવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા ‘રેકોર્ડ ઉપલબ્ધ નથી’ તેવા ગોળ-ગોળ જવાબો આપીને માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના જ કાર્યકર દ્વારા પોતાની જ સરકારના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે જૂનાગઢના કમિશનર આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં ભરે છે કે પછી આ મામલો પણ દબાવી દેવામાં આવે છે. તેવી ચર્ચા થઇ રહી છે.


