વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
ફુડ તંત્રના ચેકીંગમાં મળેલ એનાલોગ ચીઝનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળમાં જનઆરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થો સામે ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તા. 6 ઓગસ્ટથી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે ગીર સોમનાથ ખોરાક-ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વેરાવળ શહેરની જુદી જુદી ડેરીફાર્મ સહિતની પેઢીઓમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગીર સોમનાથ ફુડ કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસરની ટીમ દ્વારા વેરાવળ શહેરમાં કુલ 19 ડેરીફાર્મ સહિતની પેઢીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારના નવા પ્રતિબંધના અમલની ચકાસણી તથા લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રતિબંધિત એનાલોગ ડેરી ઉત્પાદનોનું વેચાણ તો થતું નથી ને તેની તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન અત્રેની રામભરોસા પોલીસ ચોકી નજીક આવેલી રોયલ માર્કેટિંગ પેઢીમાંથી એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બસ સ્ટેન્ડ રોડ પર આવેલી શ્યામ ડેરી ફાર્મમાંથી એનાલોગ ચીઝનો જથ્થો મળી આવતા તંત્રની ટીમે બંન્ને સ્થળે કાર્યવાહી કરી હતી. આ બંન્ને પેઢીઓમાંથી મળી આવેલા કુલ 11 કિલો એનાલોગ ચીઝના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત ખાદ્ય પદાર્થનો જથ્થો બજારમાં વેચાણ માટે ન પહોંચે અને લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક નાશની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, એનાલોગ ચીઝ સહિતના કેટલાક ડેરી વિકલ્પોમાં દૂધની ચરબીના સ્થાને વનસ્પતિ આધારિત ચરબી અથવા અન્ય ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યમાં જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર પ્રતિબંધ અમલમાં મૂકાયા બાદ તંત્ર દ્વારા વેપારીઓ સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં એકસાથે 19 પેઢીઓ પર હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગથી ડેરી અને ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.


