પોરબંદર પ્રોજેક્ટ ખોલી રહ્યું છે, શાહ એન્ડ શાહ કંપનીના કથિત કારોબારની પોલ?
૩ કરોડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષમાં ૬ કરોડે પહોંચ્યું!
ટેન્ડર વગર કામ સોંપવાના, સભ્યોના અવાજ દબાવવાના અને કરોડોના ગોટાળાના ગંભીર આક્ષેપો ; સમય આવશે ત્યારે તમામ પુરાવા મૂકી દઈશું : સહદેવસિંહ ચુડાસમા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં છેલ્લા ઘણા સમયથી ઉકળતો અસંતોષ હવે ખુલ્લા બળવામાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. એક પછી એક ગંભીર આક્ષેપો વચ્ચે હવે જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ સીધું જ પોરબંદર ક્રિકેટ ગ્રાઉન્ડના પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખીને એસોસિયેશનના વહીવટ સામે સવાલોની ઝડી વરસાવી છે. તેમનો દાવો છે કે માત્ર ત્રણ કરોડ રૂપિયાના અંદાજથી શરૂ થયેલું પોરબંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષ બાદ પણ અધૂરું છે, જ્યારે તેનો ખર્ચ બમણો થઈ આશરે છ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને અગાઉથી એડવાન્સ ચુકવણી કરવામાં આવી હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
ચુડાસમાના જણાવ્યા મુજબ આ માત્ર એક પ્રોજેક્ટનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં વર્ષોથી ચાલતી કથિત ગેરરીતિઓનું જીવતું ઉદાહરણ છે. તેઓ કહે છે કે જ્યાં છ મહિનામાં કામ પૂર્ણ થવું જોઈએ ત્યાં બે વર્ષ બાદ પણ મેદાન તૈયાર નથી, પરંતુ ખર્ચ સતત વધતો જાય છે. આખરે આ વધારાનો ખર્ચ કોના ખિસ્સામાં ગયો? તેની જવાબદારી કોણ લેશે? એવા સવાલો હવે ક્રિકેટપ્રેમીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.
ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હવે ક્રિકેટરોની સંસ્થા રહી નથી. તેમના શબ્દોમાં, આ સંસ્થા હવે શાહ એન્ડ શાહ કંપની બની ગઈ છે. તેમનું કહેવું છે કે એસોસિયેશનના દરેક મોટા નિર્ણય પર એક જ પરિવારનું પ્રભુત્વ છે અને વર્ષોથી એ જ વ્યવસ્થા વારસાગત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે. પરિણામે એસોસિયેશનમાં લોકશાહી વ્યવસ્થા માત્ર નામની રહી ગઈ છે.
તેમણે જણાવ્યું કે એસોસિયેશન હેઠળ કાર્યરત લગભગ વીસ જેટલી પેટા ક્રિકેટ એસોસિયેશનો અને વિવિધ કમિટીઓ માત્ર દેખાવ પૂરતી બની ગઈ છે. જનરલ બોડી મીટિંગમાં સભ્યોને પોતાના વિચારો રજૂ કરવાની કે પ્રશ્ન પૂછવાની પણ સ્વતંત્રતા નથી. જો કોઈ સભ્ય ભૂલથી પણ વહીવટ સામે બોલવાનો પ્રયાસ કરે તો તેને તરત જ ચૂપ કરી દેવામાં આવે છે. કેટલાક સભ્યોને મીટિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે.
તેમના કહેવા મુજબ જનરલ બોડી મીટિંગો હવે માત્ર ઔપચારિકતા બની ગઈ છે. નિર્ણયો પહેલાથી જ નક્કી થઈ જતા હોય છે અને સભ્યો પાસે માત્ર હાથ ઊંચા કરવાની જ ભૂમિકા રહે છે. એસોસિયેશનના હિતમાં પ્રશ્ન પૂછનારને પણ વિરોધી ગણી લેવામાં આવે છે, જે લોકશાહી ભાવનાનો ખુલ્લેઆમ અપમાન હોવાનું તેમણે જણાવ્યું.
ચુડાસમાએ વધુમાં દાવો કર્યો કે એસોસિયેશનમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોમાં પારદર્શિતા જોવા મળતી નથી. નિયમિત ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના મનપસંદ અને લાગતા-વળગતા કોન્ટ્રાક્ટરોને કામો સોંપવામાં આવે છે. આ પ્રક્રિયા પાછળ કોને આર્થિક લાભ મળે છે તેની નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવશે તેમ તેમણે જણાવ્યું.
પોરબંદર ક્રિકેટ ગ્રાઉન્ડનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે શરૂઆતમાં ત્રણ કરોડના અંદાજ સાથે મંજૂર થયેલો પ્રોજેક્ટ છ મહિનામાં પૂર્ણ થવાનો હતો. પરંતુ આજે બે વર્ષ વીતી ગયા છતાં કામ પૂર્ણ થયું નથી. ખર્ચ વધીને આશરે છ કરોડ સુધી પહોંચી ગયો છે અને કોન્ટ્રાક્ટરને એડવાન્સ રકમ પણ ચૂકવી દેવામાં આવી છે. તેમના મત મુજબ આ સમગ્ર પ્રકરણમાં ગંભીર નાણાકીય ગેરરીતિની આશંકા છે અને તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
ચુડાસમાએ એવો પણ દાવો કર્યો કે હાલ સમગ્ર એસોસિયેશનની બોડી અંગે વિવાદ ચાલી રહ્યો હોવા છતાં બહારથી કોઈ સ્વતંત્ર વહીવટી નિયંત્રણ લાવવામાં આવ્યું નથી. તેમણે માંગ કરી કે એસોસિયેશનમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારને રોકવા માટે તાત્કાલિક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે જેથી તમામ નાણાકીય વ્યવહારો અને વિકાસ કાર્યોની પારદર્શક તપાસ થઈ શકે.
તેમણે ચેરિટી કમિશનરની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું કે અનેક ફરિયાદો અને રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળતી નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે રાજકોટમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન ચેરિટી કમિશનર અને એસોસિયેશનના વરિષ્ઠ હોદ્દેદારો એક જ બોક્સમાં સાથે મેચ નિહાળતા જોવા મળ્યા હતા. તેમના મતે આવી સ્થિતિ તપાસની નિષ્પક્ષતા અંગે સવાલો ઊભા કરે છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
સહદેવસિંહ ચુડાસમાએ દાવો કર્યો કે ક્રિકેટના વિકાસ માટે બનાવવામાં આવેલી સંસ્થા આજે કેટલાક લોકો માટે રાજાશાહી સુખ-સુવિધાઓ ભોગવવાનું સાધન બની ગઈ છે. ક્રિકેટરો અને સંલગ્ન એસોસિયેશનોના હિત કરતાં સત્તા અને આર્થિક લાભને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું.
અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ જે આક્ષેપો કરી રહ્યા છે તે માત્ર રાજકીય નિવેદનો નથી. તેમની પાસે વિવિધ મુદ્દાઓને લગતા દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે અને યોગ્ય સમયે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ તમામ પુરાવા રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ક્રિકેટ સંસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સામે એક પછી એક થઈ રહેલા આક્ષેપો વચ્ચે હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર આ વિવાદ પર ટકેલી છે. પોરબંદર ક્રિકેટ ગ્રાઉન્ડનો ખર્ચ કેમ બમણો થયો? ટેન્ડર પ્રક્રિયા કેમ અપનાવવામાં આવી નહીં? સભ્યોને અવાજ ઉઠાવવાની છૂટ કેમ નથી? અને જો તમામ આક્ષેપો ખોટા હોય તો તેનો ખુલાસો જાહેરમાં કેમ કરવામાં આવતો નથી? આવા અનેક સવાલો હવે જવાબની રાહ જોઈ રહ્યા છે.
120 મેચમાં નોંધપાત્ર પ્રદર્શન નહીં છતાં પ્રમુખપદ સુધી પહોંચ્યા! : જયદેવ શાહને લઈને સહદેવસિંહ ચુડાસમાના નવા ગંભીર આક્ષેપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) સામે સતત મોરચો ખોલી રહેલા જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ હવે એસોસિયેશનના નેતૃત્વ અને પરિવારવાદને લઈને વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં વર્ષોથી એક જ પરિવારનું પ્રભુત્વ રહ્યું છે અને ક્રિકેટમાં પ્રદર્શન કરતાં વધુ પરિવારવાદના આધારે હોદ્દાઓ મળ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.
ચુડાસમાએ જણાવ્યું કે નિરંજન શાહ થોડાક મેચો રમ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના વડા બન્યા હતા અને ત્યારબાદ તેમના પુત્ર જયદેવ શાહને પણ પ્રમુખપદ સુધી પહોંચાડવામાં આવ્યા. તેમના જણાવ્યા મુજબ જયદેવ શાહે અત્યાર સુધી અંદાજે 120 જેટલી મેચો રમી હોવા છતાં નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા નથી. તેમણે દાવો કર્યો કે મોટાભાગની મેચોમાં તેઓ 20 રન સુધી પણ પહોંચી શક્યા નહોતા, તેમ છતાં તેમને ટીમનું નેતૃત્વ અને બાદમાં એસોસિયેશનમાં મહત્વના હોદ્દાઓ મળ્યા.
સહદેવસિંહ ચુડાસમાએ એવો પણ આક્ષેપ કર્યો કે જયદેવ શાહે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિવિધ ફ્રેન્ચાઇઝીઓ સાથે તક મેળવી હતી. તેમના જણાવ્યા મુજબ પાંચ જેટલી ફ્રેન્ચાઇઝી બદલવા છતાં તેઓ કોઈ નોંધપાત્ર છાપ છોડી શક્યા નહોતા. તેમ છતાં ક્રિકેટ વહીવટમાં સતત તેમનું પ્રભુત્વ જળવાઈ રહ્યું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.
ચુડાસમાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હવે ક્રિકેટરો અને રમતના વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા નહીં, પરંતુ એક પરિવારના પ્રભાવ હેઠળ ચાલતી સંસ્થા બની ગઈ છે. તેમણે ફરી દાવો કર્યો કે એસોસિયેશનને લોકો હવે શાહ એન્ડ શાહ કંપની તરીકે ઓળખવા લાગ્યા છે, કારણ કે નિર્ણયો અને સત્તા એક જ પરિવાર સુધી મર્યાદિત રહી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે ક્રિકેટમાં પ્રતિભા અને કામગીરીને બદલે પરિવારવાદને પ્રોત્સાહન મળતું રહેશે તો નવી પેઢીના પ્રતિભાશાળી ક્રિકેટરો સાથે અન્યાય થશે. એસોસિયેશનમાં પારદર્શિતા અને લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જરૂરી સુધારા કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, સાત મેદાન ખાલી… છતાં બાળકોને મેચ નહીં!
અંડર-16થી અંડર-19 સુધીની એક પણ ટુર્નામેન્ટ નહીં યોજાતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સામે સહદેવસિંહ ચુડાસમાનો પ્રહાર
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સામે ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ આ વખતે સીધા જ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા મથતા બાળકોના ભવિષ્યનો મુદ્દો ઉઠાવી એસોસિયેશનના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાત સહિત દેશના અનેક ક્રિકેટ એસોસિયેશનો અંડર-16, અંડર-17 અને અંડર-19ની પસંદગી અને ટુર્નામેન્ટો જૂન-જુલાઈ મહિનામાં પૂર્ણ કરી ચૂક્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં એક પણ વયજૂથની ટુર્નામેન્ટ યોજાઈ નથી.
ચુડાસમાના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નિયંત્રણ હેઠળ સાત જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપલબ્ધ હોવા છતાં આજદિન સુધી યુવા ક્રિકેટરોને મેદાનમાં ઉતારવાની તક આપવામાં આવી નથી. તેમના કહેવા મુજબ મેદાનો હોવા છતાં ક્રિકેટ અટકેલું છે અને સૌથી મોટું નુકસાન એવા બાળકોને થઈ રહ્યું છે, જે વર્ષભર મહેનત કરીને પસંદગી અને ટુર્નામેન્ટની રાહ જોતા હોય છે.
સહદેવસિંહ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે એસોસિયેશનના સંચાલકોનું ધ્યાન ક્રિકેટના વિકાસ કરતાં અન્ય બાબતો પર વધુ કેન્દ્રિત છે. તેમના શબ્દોમાં, શાહ એન્ડ શાહ કંપનીને નાણાં કમાવવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી અને તેના કારણે હજારો યુવા ક્રિકેટરોનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે અંડર-16, અંડર-17 અને અંડર-19 જેવી વયજૂથની ટુર્નામેન્ટો માત્ર મેચો નથી, પરંતુ ખેલાડીઓની પસંદગી, રાજ્યની ટીમમાં સ્થાન અને આગળ રાષ્ટ્રીય સ્તરે પહોંચવાનો સૌથી મહત્વપૂર્ણ પાયો છે. જો સમયસર ટુર્નામેન્ટ જ નહીં રમાડવામાં આવે તો ખેલાડીઓની રમત, આત્મવિશ્વાસ અને કારકિર્દી ત્રણેયને સીધી અસર થાય છે.
ચુડાસમાના જણાવ્યા મુજબ માતા-પિતા લાખો રૂપિયા ખર્ચીને બાળકોને કોચિંગ અપાવે છે, બાળકો વર્ષો સુધી સખત મહેનત કરે છે, પરંતુ યોગ્ય સમયે સ્પર્ધા ન મળતા તેમની મહેનત પર પાણી ફરી વળે છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે અન્ય તમામ ક્રિકેટ એસોસિયેશનો સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કેમ પાછળ રહી ગયું છે?
ક્રિકેટમાં વયજૂથની ટુર્નામેન્ટો માત્ર ઔપચારિક સ્પર્ધા નથી. આ જ સ્પર્ધાઓમાંથી ભવિષ્યના રણજી, IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો તૈયાર થાય છે. પસંદગીમાં થોડો પણ વિલંબ અનેક ખેલાડીઓ માટે આખી સીઝન બગાડી શકે છે. સમયસર મેચો નહીં યોજાય તો ખેલાડીઓની મેચ પ્રેક્ટિસ અટકે છે, પસંદગી પ્રક્રિયા મોડી પડે છે અને આગામી સ્પર્ધાઓ માટેની તૈયારી પણ પ્રભાવિત થાય છે.
જો ચુડાસમા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં તથ્ય હશે તો આ માત્ર વહીવટી ખામી નહીં, પરંતુ યુવા ક્રિકેટરોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની શકે છે. બીજી તરફ, જો ટુર્નામેન્ટોમાં વિલંબ પાછળ કોઈ વહીવટી અથવા તકનિકી કારણ હોય તો તે અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને પણ સ્પષ્ટતા કરવી જરૂરી બની જાય છે. કારણ કે હજારો ક્રિકેટરો અને તેમના વાલીઓ હવે જવાબની રાહ જોઈ રહ્યા છે.
₹200ની થાળી ₹1800માં!
ટુર્નામેન્ટના નામે ખેલાડીઓના ભોજન-રહેઠાણમાં કથિત કરોડોની કમાણી? સહદેવસિંહ ચુડાસમાનો નવો આક્ષેપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સામે સતત એક પછી એક ગંભીર આક્ષેપો કરી રહેલા જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ હવે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના ભોજન અને રહેઠાણના ખર્ચને લઈને પણ ચોંકાવનારા દાવા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ક્રિકેટ ટુર્નામેન્ટો માત્ર રમત માટે નહીં, પરંતુ કેટલાક લોકો માટે કમાણીનું સાધન બની ગઈ છે.
ચુડાસમાએ આક્ષેપ કર્યો કે જ્યારે પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા કોઈ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે, ત્યારે તેનો સૌથી મોટો આર્થિક લાભ શાહ એન્ડ શાહ કંપની ઉઠાવે છે. તેમણે દાવો કર્યો કે સામાન્ય રીતે બજારમાં 180થી 200 રૂપિયામાં મળતી એક થાળીનો ખર્ચ ટુર્નામેન્ટ દરમિયાન સીધો 1,800 રૂપિયા સુધી દર્શાવવામાં આવે છે. તેમના મતે આ ખર્ચમાં અસામાન્ય વધારો અનેક સવાલો ઊભા કરે છે અને તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ખેલાડીઓના ઉતારા માટે પણ પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવતી નથી. તેમના જણાવ્યા મુજબ પસંદગીની અને લાગતા-વળગતા લોકોની હોટલોમાં જ ખેલાડીઓને રોકવામાં આવે છે. આ વ્યવસ્થામાં પણ ચોક્કસ લોકો આર્થિક લાભ મેળવે છે અને તેનો સીધો ફાયદો શાહ એન્ડ શાહ કંપની સુધી પહોંચતો હોવાનો તેમણે આડકતરો ઈશારો કર્યો હતો.
ચુડાસમાએ જણાવ્યું કે ક્રિકેટ એસોસિયેશનનો હેતુ ખેલાડીઓના વિકાસ અને રમતને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ, પરંતુ જો ટુર્નામેન્ટના નામે ભોજન, રહેઠાણ અને અન્ય ખર્ચમાં ગેરરીતિ થતી હોય તો તે સમગ્ર ક્રિકેટ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.


