પત્નીની હત્યા કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત
બીમારી સબબ રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન નિધન ; ગારીયાધાર પંથકના વૃદ્ધ કેદી 2021ના હત્યા કેસમાં જેલમાં હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં એક વૃદ્ધ કેદીના મોતનો બનાવ સામે આવ્યો છે. પત્નીની હત્યા કેસમાં સજા ભોગવી રહેલા ગારીયાધાર પંથકના માંગુકા ગામના રહેવાસી જીવરાજભાઈ જાદવભાઈ રાઠોડનું સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા હતા.
પોલીસ સૂત્રો મુજબ, 79 વર્ષીય જીવરાજભાઈ જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા હતા. તા. 28 એપ્રિલના રોજ તેમની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જાણકારી અનુસાર, વર્ષ 2021માં જીવરાજભાઈની પત્ની તેજુબેનની હત્યા થયાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં અદાલતે સજા ફરમાવતા તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. લાંબા સમયથી કેદમાં રહેલા જીવરાજભાઈની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાજુક હોવાનું પણ જાણવા મળે છે.
મૃતકના પરિવાર વિશે મળતી માહિતી મુજબ, જીવરાજભાઈને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ પોતાના પરિવારમાં બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરના હતા. તેમની અચાનક થયેલી મોતની ખબરથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


