આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
દિવસભર બફાયા બાદ રાત્રે ઠંડક મેળવવા જતા લોકોને નિરાશા: છ મહિનાથી વિવિધ સર્કલના ફુવારા બંધ: વહેલી તકે શરૂ કરવા માંગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરની શાન એ શહેરના ફુવારા અને બાગ બગીચાઓ ગણાય છે. અને ફુવારાના અને બગીચાના અભ્યાસાર્થે દેશ-વિદેશમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હવાઈ મુસાફરી કરી આવ્યા છે. રાજકોટ શહેરને હિન્દુસ્તાનના નકશામાં બેનમૂન શહેર અને સ્માર્ટ સિટી અને શિકાગો બનાવવાના બણગાં ફુકનારા અધિકારીઓ, પદાધિકારીઓને જણાવવાનું કે રાજકોટ શહેર વોર્ડ નંબર 14 શેઠ હાઈસ્કૂલની સામે આવેલ રવિશંકર જાહેર ઉદ્યાન વાણીયાવાડીના બગીચામાં છેલ્લા છ મહિનાથી ફુવારા બંધ હાલતમાં છે અને ખંઢેર બની ગયો છે.
ભક્તિનગર સર્કલ ના ફુવારા શરૂ કરાવવા માટે પ્રજાને સાથે રાખી આંદોલનો કરવા પડ્યા હતા અને આ આંદોલનના ફલશ્રૃતિ ભક્તિનગર સર્કલમાં ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સ્વિચ દબાવી શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. મન પડે ત્યારે શરૂ કરવામાં આવે છે અને મન પડે ત્યારે બંધ પણ કરી દેવામાં આવે છે. મેઇન્ટેનન્સ ની કામગીરી ઝીરો હોવાથી ફુવારાની નળી બ્લોકેઝ થઈ ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં રાજકોટ આજે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યભરમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ છે ત્યારે શહેરની જનતા બપોરના સમયે બહાર નીકળતી નથી અને રાત્રે હરવા ફરવા ફેમિલી સાથે બહાર નીકળે ત્યારે આ હાડપિંજર સમાન આ ફુવારા શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. ભક્તિનગર સર્કલની અંદરના ફુવારામાં પાણી જ નહોતું ફક્ત લાઈટો જ ચાલુ હતી. રંગીલા રાજકોટમાં સુકાઈ ગયેલા ફુવારા સત્વરે શરૂ કરવા પ્રજા માંથી માંગ ઉઠી છે.
ફુવારાઓ બંધ હોવાના પગલે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ગત રાત્રે જ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નંબર 26162886 અને 26162889 થી ફરિયાદ કરી ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. અગાઉ પણ બંધ ફુવારા પ્રશ્ને કોલ સેન્ટરમાં ફરિયાદ કરવામાં આવતા એ ફરિયાદ નું નિરાકરણ કરવામાં ન આવતા અને કોલ સેન્ટર ની ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા આજરોજ લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વાણીયાવાડી ના બગીચાના ફુવારા શરૂ કરાવવા અને ભક્તિનગર સર્કલ ના બંધ રહેતા ફુવારા સમયસર મેઇન્ટેનન્સ અને સમયસર ફુવારા શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે એ પ્રકારની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા ઉપરોક્ત આગેવાનોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વોર્ડ નંબર 14 ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો શ્રી કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરા અને હિરેનભાઈ ખીમાણીયાને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, સોની સરલાબેન પાટડીયા, રમેશભાઈ તલાટીયા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંકની યાદીમાં જણાવ્યું છે.


