સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
ખોટા માણસની શરણાગતિ સફળ નથી થતી
પ્રભુ આપણને પ્રાણાધિક પ્રેમ કરે એ માટે ‘માનસ’માં એક ફોર્મ્યુલા છે
સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે, ધરતી ભકિતનું પ્રતિક છે
સુકદેવજીની ભાગવદભૂમિ શુક્રતાલમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સુકતીર્થ’ના ત્રીજા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે રામચરિત માનસમાં ‘સુક’ શબ્દ પાંચ વખત આવે છે. સૂકનો સીધો અર્થ પોપટ છે. પોપટ કયારેય એની બોલી નથી બોલતો. અન્ય કોઇ એને શીખવે છે એ જ એ બોલે છે. કોઇ ગાળ બોલે તો એ ગાળ બોલે છે. એક અર્થમાં ગુરૂમુખી છે. હું પણ મારા ત્રિભુવનદાદાનો સુક છું. તલગાજરડાનો તોત બોલી રહ્યો છે મારા ગુરૂ એ જે કંઇ શીખવ્યું એ આપની સન્મુખ બોલી રહ્યો છું. સુકપરંપરા પાંચ છે. આ ભાગવદ ભાગિરથીનું ઉદ્દગમ સ્થાન નારાયણ છે. નર નારાયણ, આદીનારાયણ, સૂર્ય નારાયણ, સત્ય નારાયણ…..નર નારાયણ, આદિસુકથી પ્રગટી એ બ્રહ્મા (બ્રહ્મસુક) પાસે પહોંચી, બ્રહ્માએ નારદજી (દેવર્ષિ સૂક)ને આપી, નારદજી પાસેથી વેદ વ્યાસજી (વ્યાસ-બાદરાયણ સુક) પાસે પહોંચી છે અને વ્યાસજીએ (અવધૂત સૂક) સુકદેવજીને આપી.
એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, આપણને પ્રભુને પ્રેમ કરીએ છીએ એમ પ્રભુ આપણને પ્રેમ કરે! જવાબ : હા, પરમાત્મા આપણને પ્રાણાધિક પ્રેમ કરે એ માટે રામચરિત માનસમાં એક ફોર્મ્યુલા રીતી બતાવી છે કે (૧) કોઇપણ ધારાની સગુણ ઉપાસના (૨) બીજાનું-અન્યનું હિત કરવાના નિરંતર વિચાર ઇર્ષા દ્વવેષ મટીને બીજાના હિતનો સતત વિચાર થવો જોઇએ (3) નીતિમય જીવન (૪) દ્રઢ નેમ-દ્રઢ નિયમ અતિ જરૂરી છે. તમે જેમાં માનતા હોય એમા પણ એ નિયમ દ્રઢ હોવો જરૂરી છે. તમારે બહારગામ જવાનું થયું છે તો માળા અગાઉ કરી લો અને (૫) બ્રાહ્મણ પ્રત્યેમ પ્રેમ રાખવો. દ્વિવજ બ્રાહ્મણોને આદર આપવો પ્રેમ આપવો.
એક વાર્તા છે. એક અમેરિકન કવિ ટ્રેઇનમાં મુસાફરી કરી રહ્યા છે. સાથે એક યુવાન પણ ટ્રેઇનના ડબ્બામાં બેઠો છે. આ કવિ અને યુવાન બે જ ડબ્બામાં છે, બાકી ડબ્બો ખાલી છે. કવિ અને યુવાન બંને મૌન છે. એક બીજા સાથે કોઇ બોલતું નથી. ટ્રેઇન આગળ વધી રહી છે. ચાર-પાંચ કલાક પછી પેલો યુવાન અમેરિકન કવિ પાસે આવે છે અને કવિને કહે છે કે એક વિનંતી છે કે આપ જે બારી પાસે બેઠા છો ત્યાં થોડોક સમય મને બેસવા દેશો! કવિને આશ્ચર્ય થયું કે આખો ડબ્બો ખાલી છે આપણે બંને જણા છીએ તો કોઇપણ બારી પાસે પેલો યુવાન બેસી શકે છે. કવિએ કહ્યું કે ભાઇ મને કોઇ વાંધો નથી પણ આખો ડબ્બો ખાલી જ છે. તો તું કોઇપણ બારી પાસેની સીટ પર બેસી શકે છે. મારી જ સીટ પર બેસવા માટેનું કારણ શું? ત્યારે યુવક બોલે છે કે હું એક ગુનેગાર અપરાધી છું. દસ વર્ષ જેલ ભોગવીને હવે હું મારા માતા-પિતા પાસે મારી ઘરે જઇ રહ્યો છું. જેલવાસના દસ વર્ષ દરમિયાન મારા માતા-પિતાએ એક પણ પત્ર મને નથી લખ્યો. એને મન કદાચ હું મરી ગયો હોઇશ! મેં આઠ દિવસ પહેલા મારા માતા-પિતાને પત્ર લખ્યો છે કે હું જેલવાસની સજા પૂરી કરી આ દિવસે આવી રહ્યો છું. ત્યારે તમે જો મને માફ કરી દીધો હોય તો આપણા ફળીયામાં જે સફરજનનું ઝાડ છે તેની એક ડાળી પર ધજા ફરકાવજો તો જ હું માનીશ કે તમે મને માફ કર્યો છે, હું ટ્રેઇનની બારીમાંથી જોઇશ કે ધજા ફરકે છે કે નહી? જો ધજા નહીં હોય તો હું પાછો ફરી જઇશ. હમણા જ મારા ગામનું સ્ટેશન આવશે. તમે જયાં બેઠો છો એ બારી તરફ જ મારા ગામનું સ્ટેશન આવશે. તમે જયાં બેઠા છો એ બારી તરફ જ સ્ટેશનની બાજુની તરફ જ મારુ ઘર આવશે. એટલે હું જોઇ શકું એ માટે તમારી જગ્યા પર બેસવું છે. પેલો કવિ યુવકને આપે છે. યુવકનું ગામ નજીક આવી રહ્યું છે ત્યારે ફરી પેલો યુવક કવિને કહે છે કે ના, ના તમે જ અહીં બેસો કેમ કે મને સતત રડવું આવે છે., આંસુના ઝળમળીયામાં મને મારૂ ઘર સફરઝનનું ઝાડ, ઝાડની ડાળી પર ફરકતી ધજા એ બધું મને કદાચ ન દેખાય તો? યુવકનું ગામ આવ્યું, કવિએ જોયું અને પેલા યુવકને પ્રેમથી કહ્યું ભાઇ સફરઝનના ઝાડની એક જ ડાળી પર નહીં, ડાળી-ડાળી પર ધજાઓ ફરકે છે!! દોસ્ત, તું જો ડાળીએ-ડાળીએ ધજાઓ ફરકી રહી છે. તારા માતા-પિતા રાહ જોઇ રહ્યાં છે.
માનસમાં વિભિષણની શરણાગતિનો મહિમા છે. વિભિષણે રાવણની સભાનો ત્યાગ કર્યો એ પછી વિભિષણ ત્રણ લોકોને મળવા જાય છે. (૧) તેની માતાને મળે છે અને કહે છે કે મા, મને ચરણપ્રહાર કરીને ભાઇ રાવણે કાઢયો છે મેં એને દગો નથી કર્યો (૨) કુબેરભાઇને વિભિષણ મળે છે અને કહે છે કે હું રામને શરણે જાઉ છું, તારા ધન-વૈભવના ભંડારમાંથી મારે કશું જ નથી જોઇતું અને (3) મહાદેવ પાસે વિભિષણ જાય છે. મહાદેવ સાક્ષી છે. આપણે ત્યાં મહાદેવને સાક્ષી રાખવા માનવામાં આવે છે. વિભિષણ કહે છે કે પ્રભુ, ભાઇ રાવણે મને સભામાંથી હાંકી કાઢયો છે! હવે હું રામ(સત્ય)ને શરણે જાઉ છું.
કથારત્નો
(૧) દાદાએ મને જમરૂખ નથી ખવડાવ્યાં પણ ‘જખ્મે રૂઝ’ આપી છે જેથી મને રૂઝ આવી જાય
(૨) શ્રી કૃષ્ણનું કિર્તન આપણા કલેશ કરે છે
(3) ભગવદ કથા શ્રવણથી આપણી દરેક ગ્રંથીઓથી મુકત થવાય છે


