ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
જમીન પરત અપાવનાર ગણેશભાઇ જાડેજાનું પરિવાર દ્વારા સન્માન
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન અપાવવાના બહાને એક નિર્દોષ ખેડૂતની કરોડોની જમીન રાજકોટના અસામાજિક તત્વોએ પચાવી પાડી હતી. જોકે, આ મુશ્કેલીના સમયે ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજા વહારે આવ્યા હતા અને ખેડૂત પરિવારને માત્ર 72 કલાકમાં જ ન્યાય અપાવી તેમની પૂર્વજોની જમીન પરત અપાવી છે.
મોટા ઉમવાડા ગામના ખેડૂત અશોકભાઈ ઓઘળભાઈ મકવાણાએ પોતાની જરૂરિયાત માટે મિત્ર મારફત રાજકોટના અમુક શખ્સો પાસેથી 1.75% વ્યાજે 3 લાખ રૂપિયાની લોન લેવાનું નક્કી કર્યું હતું. લોનના નામે રાજકોટના આ શખ્સોએ છેતરપિંડી આચરી અશોકભાઈની 10 વીઘા કિંમતી જમીન (જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા છે) નો જંત્રીના ભાવે દસ્તાવેજ કરાવી લીધો હતો.
જ્યારે અશોકભાઈના મિત્રના મોબાઈલમાં જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાનો મેસેજ આવ્યો, ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોતાની જમીન ગુમાવવાનો ડર લાગતા અશોકભાઈએ તાત્કાલિક ગણેશભાઈ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો.
ખેડૂતની આપવીતી સાંભળી ગણેશભાઈએ તાત્કાલિક આ બાબતે કડક વલણ અપનાવ્યું હતું. અશોકભાઈ જણાવ્યું હતુંકે “અમે રાત્રે 1 વાગ્યે ગણેશભાઈના નિવાસસ્થાને ગયા હતા. તેમણે અમારી તમામ હકીકત જાણી અને અમને સાંત્વના આપી કે જમીન પાછી મળી જશે. અને ખરેખર, માત્ર ત્રણ જ દિવસમાં તેમણે તે અસામાજિક તત્વો પાસેથી મારી જમીન પરત અપાવી દીધી.”
આ સફળતા બાદ આજે મોટા ઉમવાડા ગામે આવેલ સાંધાવાળી મેલડી માતાજીના મંદિરે ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત પરિવારે ગણેશભાઈ જાડેજાનો આભાર માન્યો હતો અને “ગણેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ” ના નારાઓથી ગામ ગુંજી ઉઠ્યું હતું.
“મારા માટે અને મારા પરિવાર માટે જાડેજા પરિવાર ભગવાન સમાન છે. જ્યારે કોઈ સાંભળતું નહોતું ત્યારે ગણેશભાઈએ અડધી રાતે અમારી સાથે ઉભા રહીને કામ કર્યું છે. જે લોકો ‘અડધી રાતના હોંકારા’ની વાતો કરે છે, તે આજે ગણેશભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અમે આજીવન તેમના ઋણી રહીશું.”
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગોંડલના ખેડૂતો માટે જાડેજા પરિવાર હંમેશા રક્ષક બનીને ઉભો રહે છે. અસામાજિક તત્વો સામેની આ જીતથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોટા ઉમવાળા ના સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈએ નિવેદન આપ્યું હતું કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં ગોંડલની સરખામણી ‘મિર્ઝાપુર’ સાથે કરવામાં આવતા ભૂપતભાઈએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ગોંડલમાં ગુંડાગીરી હોવાની વાત પાયાવિહોણી છે.
મિર્ઝાપુર જેવું તો માત્ર બહારના લોકોને લાગે છે. અમે ગોંડલના સ્થાનિકો છીએ અને અમને અહીં બધું જ સારું લાગે છે. અહીં ક્યાંય ગુંડાગીરી થતી હોય એવું અમને કોઈ કહેતું નથી. ગોંડલમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે અને કોઈને કોઈ પણ જાતની તકલીફ નથી. ભૂપતભાઈએ ઉમેર્યું કે ગણેશભાઈએ આવા અનેક જરૂરિયાતમંદ લોકોના કામ રાતોરાત કરી આપ્યા છે. નાના-મોટા પ્રશ્નો લઈને જ્યારે પણ અમે તેમની પાસે ગયા છીએ, ત્યારે તેમણે હંમેશા સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મોટા ઉમવાળાના અગ્રણીએ ગણેશભાઈની કામગીરીને બિરદાવી ગોંડલની છબી ખરડનારા તત્વોને આડકતરો જવાબ આપ્યો છે.


