મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ
હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું
અગ્ર ગુજરાત, રાજુલા
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ભગુડા મોંગલ માતાના સાનિઘ્યમાં દરરોજ માટે મોટી સંખ્યામાં ભાવી-ભકતોએ દર્શનાર્થે આવતા હોય છે. મોંગલધામ એ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોંગલ માતાજીના પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ માં પરમ્ ઉત્સવને લઇ તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટ ડેકોરેશન સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતાં. અને શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ લીધા હતાં. રાત્રીએ માંગલ શકિત એવોર્ડ તથા સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ માંગલ શકિત એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પપૂ. મોરારી બાપુ ખાસ ઉપસ્થિતિમાં માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કર્યા હતાં. ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમા નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ, સાંઈરામ દવે, ગોપાલ સાધુ, વિવેક સાચલા સહિત નામાંકિત કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટો સહિત રૂપિયાનો વરસાદ થયો હતો. આ સાથે ડાયરામાં મોબાઇલ ફ્રેશ લાઇટ સાથે મોંગલમાં ની આરતી કરતા અનોખો નજારો જોવા મળ્યો હતો. ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ્ ઉત્સવ નિમિત્તે હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. આ સાથે સ્વયંસેવકો દ્વારા પણ ખાસ સહયોગ આપવામાં આપ્યો હતો. આ તકે પૂ. મોરારી બાપુ, મોંગલધામ ટ્રસ્ટના પ્રમુખ માયાભાઈ આહીર તથા જયરાજભાઇ આહીર, મહેશદાન ગઢવી(બોટાદ), પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ સંતો-મહંતો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


