દર બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે લોકો મેયરને હવે રૂબરૂ મળી શકશે
બપોરે ૧૨ થી ૧:3૦ અને સાંજે ૪:3૦ થી ૬ વાગ્યા સુધી સમય ફાળવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકોના મતથી ચૂંટાયેલા નગરસેવકોએ લોકોની ફરિયાદો સાંભળવા તત્પર રહેવું જોઈએ, પરંતુ ચૂંટાયા બાદ આ લોકોને શોધવા પડે છે ત્યારે નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે અને તમામ શહેરીજનોને સપ્તાહમાં ત્રણ દિવસ માટે મળવાનો મોક્કો મળશે તેમ જણાવ્યું છે.
તેમજ લોકો મેયરને સરળતાથી મળી રજૂઆત કરે તે માટે માર્ગદર્શન આપતા બોર્ડ પણ મેયર ચેમ્બરની બહાર લગાવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી એક પણ મેયરે લોકો માટે આવી વ્યવસ્થા ગોઠવી ન હતી, પરંતુ જ્યારે જનતા ઈચ્છે ત્યારે તેઓ મેયરને મળી શકતા હતાં ત્યારે નવા મેયરે વ્યવસ્થાના ભાગ રૂપે સમય અને વાર ફાળવવામાં આવ્યો છે.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત પદાધિકારીઓની ચેમ્બર ખાસ કરીને મેયર ડો.નેહલ શુક્લની ચેમ્બરની બહાર નેમ પ્લેટ નીચે ગઈકાલે એક નવું જ બોર્ડ લાગી ગયું છે. જેમાં શહેરીજનોને મેયરને રૂબરૂ મળવાનો સમય નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે, દર બુધવારે, ગુરુવારે અને શુક્રવારે શહેરીજનો બપોરે 12થી 1:30 કલાક અને સાંજે 4:30થી 6 કલાક સુધી મેયરને રૂબરૂ મળી શકશે.
આ સમય દરમિયાન લોકોએ કોઈ જ પ્રકારની એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહીં. એકંદરે આ સિસ્ટમ સારી કહી શકાય પરંતુ જનપ્રતિનિધિના દરવાજા પ્રજા માટે 24 કલાક ખુલ્લા રહેવા જોઈએ. જો શહેરના પ્રથમ નાગરિક જ જનતા માટે સપ્તાહમાં ત્રણ દિવસ રૂબરૂ મળવાનો સમય નક્કી કરે તે વાજબી ગણી શકાય નહીં. લોકો જ્યારે ઈચ્છે ત્યારે મેયરને મળી પોતાની સમસ્યા કે પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.


