સુરતના તક્ષશિલા કાંડની યાદ અપાવતી હૃદયદ્રાવક ઘટના
લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા
કલાસિસમાં ભીષણ આગ લાગતા મોતની ચિચિયારીઓ ગુંજી, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ નીચે કુદકા માર્યા
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપતા માતા બેભાન, વાલીઓમાં સંચાલકો સામે આક્રોશ
SITની રચના, માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ : ફાયર સેફટીની વ્યવસ્થા નહી હોવાથી ખેલાયો મોતનો ખેલ
અગ્ર ગુજરાત, લખન.
સુરતના તક્ષશિલા કાંડની ભયાનક યાદ અપાવતી ઘટના લખનઉમાં બની હતી. કોચિંગ કલાસીસમાં આગ લાગતા ૧૫ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. કેટલાક છાત્રોએ જીવ બચાવવા નીચે કુદકા માર્યા હતા તો કેટલાક બાથરૂમમાં સંતાઇ ગયા હતા. સમગ્ર ઘટનાથી લખન. સહિત સમગ્ર દેશ મચમચી ગયો છે.
લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA)ના વીસી પ્રથમેશ કુમારે જણાવ્યું- બિલ્ડિંગ માલિકને નોટિસ જારી કરીને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારબાદ બિલ્ડિંગ પર બુલડોઝર ચલાવવામાં આવશે. આ બિલ્ડિંગ રામેશ્વરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ કૉલેજના માલિક વીરેન્દ્ર શુક્લાની છે. પોલીસે બેદરકારીપૂર્વક હત્યાનો ગુનો નોંધીને વીરેન્દ્ર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
LDAના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગને મંજૂરી આપનારા 16 અધિકારીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. ઇમરજન્સીમાં બહાર નીકળવા માટે કોઈ અલગ રસ્તો નહોતો. દુર્ઘટના સમયે છતનો દરવાજો પણ બંધ હતો, તેથી લોકો બહાર નીકળી શક્યા નહીં અને ગૂંગળામણથી તેમનો જીવ ગયો હતો.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઓફિસનો મુખ્ય ગેટ થમ્બ ઇમ્પ્રેશનથી ખુલતો હતો. આગ ફેલાયા પછી ગેટ આપમેળે લોક થઈ ગયો હતો. તેને ખોલવામાં મોડું થયું, જેના કારણે અકસ્માત વધુ ગંભીર બન્યો. આ અકસ્માત સોમવારે બપોરે 2:30 વાગ્યે અલીગંજ વિસ્તારમાં ACમાં બ્લાસ્ટ થવાને કારણે થયો હતો.
40 મિનિટ પછી ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. SDRF-NDRF એ 7 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. દિવાલો તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃત્યુ પામેલાઓમાં યુપીના 11 લોકો છે. તેમાં લખનઉના 8, કાનપુરના 2 અને બારાબંકીનો 1 વ્યક્તિ સામેલ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળના 2 અને મધ્ય પ્રદેશ-હરિયાણાના 1-1 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જોઈન્ટ સીપી બબલૂ કુમારે જણાવ્યું હતું કે ચાર વ્યક્તિઓ સામે અજાણતા હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આમાં બિલ્ડિંગના માલિક અને બિલ્ડિંગમાં કાર્યરત સંસ્થાઓના માલિકોનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેમને જેલમાં ધકેલવામાં આવશે. તપાસ દરમિયાન બહાર આવનારા તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અલીગંજમાં જ્યાં આગ લાગી હતી તે ઇમારતની આસપાસના રહેણાંક મકાનોમાંથી બોર્ડ હટાવવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બિલ્ડિંગના માલિકો કોમર્શિયલ પ્રવૃત્તિઓ છુપાવવા માટે આવું કરી રહ્યા છે.
2016નો તોડી પાડવાનો આદેશ ક્યાં દબાઈ ગયો?
તપાસમાં બહાર આવ્યું છે કે અલીગંજમાં આવેલી જે ત્રણ માળની ઇમારતમાં આ કોચિંગ સેન્ટર ધમધમતું હતું, તે ગેરકાયદેસર હોવાનું ઘણા સમય પહેલા સાબિત થઈ ચૂક્યું હતું. લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) દ્વારા ૨૦૧૬માં જ આ ઇમારતને તોડી પાડવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આદેશના માત્ર બે મહિના બાદ જ, કોઈ પણ પ્રકારના માળખાકીય સુધારા વિના, આ આદેશને રહસ્યમય સંજોગોમાં રદ કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ પાછો ખેંચવાની પાછળ કયા કારણો હતા? શું કોઈ મોટા માથાઓનો હાથ હતો? આ સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
નિયમોનો ઉલાળ્યો : રહેણાંકમાં કલાસિસ
કોઈપણ ઈમારત જ્યારે નિર્મિત થાય છે, ત્યારે તેનો નકશો રહેણાંક (Residential) કે વાણિજ્યિક તે મુજબ નક્કી થાય છે. અલીગંજની આ ઇમારતનો નકશો સ્પષ્ટપણે ‘રહેણાંક’ હેતુ માટે મંજૂર થયેલો હતો. આમ છતાં, ત્યાં કોચિંગ સેન્ટર કેવી રીતે શરૂ થયું? અધિકારીઓની નાક નીચે આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલતી રહી અને કોઈએ તેને રોકવાની તસ્દી ન લીધી. આ બેદરકારી જ 15 વિદ્યાર્થીઓના મોતનું મુખ્ય કારણ બની છે.
બેદરકારી, ભ્રષ્ટાચાર કે આકસ્મિક?
15 બાળકોના મોત માત્ર એક ‘આગની ઘટના’ નથી, પરંતુ વર્ષોથી ચાલતી ભ્રષ્ટાચાર અને બેદરકારીની પરાકાષ્ઠા છે. જો સરકારી અધિકારીઓએ ૨૦૧૬માં જ પોતાની ફરજ નિભાવી હોત અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે કાગળ પરના નિયમો અને વાસ્તવિકતા વચ્ચેનો ગાળો જ્યારે ભ્રષ્ટાચારથી ભરાય છે, ત્યારે તેના ભોગ નિર્દોષોએ બનવું પડે છે. હવે સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે, કે પછી આ તપાસ દબાવી દેવામાં આવશે? તેવા વાલીઓમાં સવાલ ઉઠી રહ્યાં છે.


