મેયરના વોર્ડમાં સફાઇ માટે કોંગ્રેસે ઉપાડયા પાવડા-તગારા
આજી નદીમાં રામનાથ મહાદેવ મંદિર નજીક સાફ સફાઇ કરતા કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણી : મેયર તેના વોર્ડમાં સફાઇ કરાવી નથી શકતા તે શહેરને ચોખ્ખુ કેમ રાખી શકશે? ભાજપને ટોણો મારતા નગરસેવક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ત્રણ સીટ વધારે મેળવવામાં સફઇ થઇ છે. મનપામાં નવી બોડીની રચના થઇ ગઇ છે. હાલ ચોમાસાની સિઝન નજીક આવી છે. ગમે ત્યારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સફાઇનો મુદ્દો ઉઠાવી આજે રામનાથપરા નજીક આજી-નદીમાં તગારા અને પાવડા લઇ ઉતરી સાફ-સફાઇ કરી મેયરની કામગીરી અને વચનો પર સવાલ કર્યા હતાં.
રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે(24 જૂન) કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં.7માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વોર્ડ નં.15ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો.
આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવના મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરીશું.
મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે. આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ ન કરાવી શકે તો બીજા વોર્ડમાં જઈને તેઓ શું કરી શકવાના?
મનપાના બજેટમાં આજી નદી સફાઇ અને રિવરફ્રન્ટ માટે કરોડોના બજેટની જોગવાઇ કરવામાં આવે છે. પરંતુ કેવી સફાઇ થાય છે તે પ્રજા જોઇ શકે છે. ગંદકી ઓછી થવાના બદલે તેમાં વધારો થઇ ગયો છે. ગત વર્ષ મંદિરની મહત્વની વસ્તુઓ પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી. તેવા આક્ષેપ કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ કર્યો છે.
મનપા પ્રિ-મોન્સુન કામગીરીમાં આળશુ : કોર્પોરેટર
કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે, પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે.
કોંગ્રેસે પોતે પણ સફાઇ કરવાની જરૂર : ડે.મેયર
મેયર ડો.નેહલ શુકલએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કાંઇક કરે તે સૌથી આનંદની બાબત છે. પરંતુ કોંગ્ર્સે પોતે પણ સફાઇ કરવાની જરૂર છે. આ જે આજી નદીમાં સફાઇ કરી તે સારી બાબત છે. સફાઇ કામ કાયમી ચાલતી પ્રક્રિયા છે. કોઇ એક દિવસને પકડી તેને હાઇલાઇટ કરવું તેના પર વિશેષ કહેવુ જરૂરી નથી. સફાઇ માટે ભાજપના લોકો જાગૃત છે. એટલા કોઇ જાગૃત નથી. કોંગ્રેસ બાર મહિનામાં એક વખત જાગૃત થાય છે. રામનાથ મહાદેવ રાજકોટના જ નહી સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના દેવ છે.


