ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
ભીમ અગીયારસે સવારે ૮ વાગ્યે કુંડ ખાલી કર્યા અને સાંજે ૮ વાગ્યે ફરીથી ભરાઈ ગયો: માતાજીની પૂજા-અર્ચના
અગ્ર ગુજરાત, ભુજ
કચ્છમાં છેલ્લા થોડાક સમયથી વરસાદની સ્થિતિ સુધરી છે પરંતુ અગાઉ નહીવત વરસાદ અને રણપ્રદેશના કારણે જળ સ્ત્રોતની જાળવણી અનિવાર્ય હતી. પાણીના એક-એક ટીપાને જીવની જેમ સાચવતો પાણીદાર મલક, જ્યાં જળશક્તિની જાળવણીને શક્તિ પૂજા સમાન માનવામાં આવે છે.
ભુજ તાલુકામાં રણકાંધીએ આવેલા હબાય ગામે છેલ્લા 700થી વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા અને કુદરતી ચમત્કારનો એક અદ્ભુત સંગમ દર વર્ષે ભીમ અગિયારસે જોવા મળે છે. અહીં હબાય ગામે મા વાઘેશ્વરીના મંદિરે પવિત્ર કુંડ આવેલો છે. આ કુંડ આખું વર્ષ અખૂટ જળસ્ત્રોત બની રહે છે અને તેની સાફ-સફાઈની પરંપરા આજે પણ એટલી જ પવિત્રતાથી જળવાયેલી છે.
ગુરુવારે મંદિરની નજીકમાં આવેલ કુંડની દર વર્ષે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ગામ અને આસપાસના લોકો એકઠા થઈને વહેલી સવારથી જ આ પવિત્ર કુંડના પાણીને બહાર કાઢી ખાલી કરે છે. જે બાદ કુંડની સાફ-સફાઈ કરવામાં આવી હતી. કુંડ સાવ ખાલી થતાં માતાજીના ચરણોના દર્શન કરી શકાય છે.
વર્તમાન મહંત લક્ષ્મણગીરીજી દ્વારા પરંપરાગત ચરણ પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. વિક્રમ સંવત 1330થી શરુ કરાયેલી પરંપરા અને જળ સ્ત્રોત જાળવણી આજે પણ અવિરત છે. સવારે 8 વાગ્યે કુંડ ખાલી કર્યા બાદ સાંજે 8 વાગ્યે ફરી સ્વયંભુ છલકાઈ ગયો હતો જેનું પાણી આખા વર્ષ દરમિયાન ગામના લોકો સહીત આસપાસના વિસ્તારમાટે બહુઉપયોગી સાબિત થાય છે.
આ પ્રસંગે હબાય ગામ સહીત આસપાસના ગામોમાંથી મોટી સંખાયામાં લોકો ઉમટયા હતા.
આ ઉપરાંત ગુરુવારે સવારે નવ વાગ્યાના સમયે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારનું ખાતમુર્હત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યું હતું. આ નૂતન પ્રવેશદ્વારના ભવ્ય નિર્માણના મુખ્ય દાતા તરીકે રાધેશ્યામ માઈન્સ એન્ડ મિનરલ્સ,ધાણેટી પરિવારે સેવાઓ આપી છે.આગામી દિવસોમાં મંદિરના પ્રાંગણમાં નવું પ્રવેશદ્વાર શોભાયમાન થશે.


