દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત
જીવ બચાવવા દરિયામાં કુદેલા ૧૨નો આબાદ બચાવ: વાતાવરણમાં પલટો આવતા જહાજના બન્ને એન્જિન ફેઈલ થતાં સર્જાયેલી દુર્ઘટના
અગ્ર ગુજરાત, અમદાવાદ
ઓમાનના દરિયામાં ગુજરાતના સલાયાનું એક માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર કુલ 14 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મોત નીપજ્યા છે. જ્યારે 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.મોત થનાર ખલાસીઓના નામ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીર અકસ્માતનો ભોગ બનેલું સલાયાનું આ જહાજ ‘મહેબૂબ એ બુખારી’ (જેનો રજીસ્ટ્રેશન નંબર BDI 1415 છે) હતું. આ જહાજ 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું.
જહાજ જ્યારે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક હવામાન ખરાબ થઈ ગયું હતું. દરિયામાં ઉછળતા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન એકસાથે ફેઈલ થઈ ગયા હતા. જહાજને ડૂબતું બચાવવાના તમામ આખરી પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે જહાજ આખું ડૂબવા લાગતા, ટંડેલે સૂઝબૂઝ વાપરીને તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા માટે તાત્કાલિક દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.
અતિશય ખરાબ હવામાન અને દરિયાના કરંટના કારણે કમનસીબે 14માંથી 2 ખલાસીઓ સમયસર બચી શક્યા ન હતા અને તેમના મોત થયા હતા. જોકે, અન્ય 12 ખલાસીઓ માટે ઓમાન નેવી અને અન્ય બે ભારતીય જહાજો “અલ હાજી હસન” અને “સફિના અલ નૂરે ઇલાહી”એ બચાવી લીધા હતા. આ તમામ દ્વારા યુદ્ધના ધોરણે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 12 ખલાસીઓને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા.
તમામ મૃતદેહો અને આબાદ બચેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક આવેલી એક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે. આ સમાચાર સલાયા પહોંચતા જ મૃતક યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગે ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયા દ્વારા તાત્કાલિક સંબંધિત કચેરી અને વિદેશ મંત્રાલયને ઈમેલ મારફતે જાણ કરવામાં આવી છે. તેમણે મૃતદેહોને વતન પરત લાવવા, જીવિત ખલાસીઓની સુરક્ષિત ઘરવાપસી કરાવવા તેમજ જરૂરી કાનૂની કાગળો પૂરા કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે મહિના પહેલા પણ સલાયાનું એક જહાજ સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં ડૂબ્યું હતું.


