RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
રાજકોટમાં આધુનિક ટેકનોલોજીથી વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ : ૧૭ કેમેરા અને સેન્સરની વાહન ચાલકો પર બાજનજર
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદ, સુરત, વડોદરા ઉપર રાજકોટ આરટીઓમાં પણ એઆઇ ટેસ્ટ ડ્રાઇવિંગનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ ૬૦ ટકાથી વધુ વાહન ચાલકો ફેલ થઇ ગયા હતાં.
આ અંગે રાજકોટ જીલ્લા RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, નવો એઆઈ ટ્રેક શરૂ કરી દેવાયો છે. ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલ વાહનધારકો ટેસ્ટમાં પાસ થઈ ગયા હતાં. રાજયની કુલ 37 આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
RTO નો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે.
RTO ના જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા છે. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકે. AI કેમેરાને લીધે જે દિવસે જે લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ હોય તેના એક દિવસ પહેલા જ ડેટા મળી જતો હોય છે. જેથી સર્વર બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સેન્સર અંડર ગ્રાઉન્ડ હોવાથી વરસાદ કે વાવાઝોડામાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કોઈ નુકશાન નહીં થાય. નવા ટ્રેકની લંબાઈ 170 મીટર અને પહોળાઈ 4.20 મીટર છે.
રાજકોટમાં દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ મળી 500 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. આ AI ટ્રેક હોવાથી ઓટોમેટિક હશે. જેમાં પાવર બેકઅપ પણ હશે. જેથી લાઈટ નહીં હોય તો પણ સર્વર બંધ નહીં થાય. ચોમાસામાં વરસાદમાં વાયરીંગને કોઈ નુકશાન નહીં થાય કારણકે અંડર ગ્રાઉન્ડ વાયરિંગથી સેન્સર મૂકવામાં આવ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની સમસ્યા નહીવત થઈ જશે.
રાજકોટ RTO કચેરીમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયાના પ્રથમ દિવસે જ કારનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 6 માંથી 5 વ્યક્તિઓ નાપાસ થયા હતા જ્યારે ટુ-વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 15માંથી 7 નાપાસ થયા હતા. એટલે કે પ્રથમ દિવસે 21 માંથી 12 વ્યક્તિ નાપાસ થતા તેમને બીજી વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે.


