ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’
બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) ના અટકાવ અને જનજાગૃતિ અંગે તબીબોનું મંથન
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં ચાંદીપુરા વાયરસ ના સંક્રમણને રોકવા અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન તેમજ સારવાર અર્થે એક મહત્વપૂર્ણ સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા-રાજકોટ મહાનગરપાલિકા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP), ફિઝિશિયન એસોસિએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે રૈયા રોડ સ્થિત પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો સહિત શહેરના અગ્રણી બાળરોગ નિષ્ણાતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સેમિનારમાં ચાંદીપુરા વાયરસ અંગેની અધ્યતન માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) અને તેનાથી બચવાના નિવારક પગલાંઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પી.ડી.યુ. મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો ડૉ. મનાલી વીરપરિયા, ડૉ. મધુલિકા મિસ્ત્રી અને ડૉ. ભાવેશ કાનાબાર દ્વારા વાયરસની વહેલી ઓળખ, સમયસર રિફરલ સિસ્ટમ, અસરકારક સર્વેલન્સ અને સમુદાય સ્તરે લોકજાગૃતિ લાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન IMA રાજકોટના પ્રમુખ ડૉ. તેજસ કરમટા, સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, IAP રાજકોટના પ્રમુખ ડૉ. કુણાલ આહિયા, સેક્રેટરી ડૉ. સાવન વામજા અને એસોસિએશન ઓફ ફિઝિશિયન્સના સેક્રેટરી ડૉ. ધ્રુવ કોટેચા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આ ગંભીર વાયરસ સામે લડવા માટે સરકારી આરોગ્ય તંત્ર અને ખાનગી બાળરોગ નિષ્ણાતો વચ્ચે મજબૂત સંકલન હોવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
સેમિનારના અંતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણીએ ઉપસ્થિત તમામ તબીબોને અપીલ કરી હતી કે, ચાંદીપુરા વાયરસના કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તેની તાત્કાલિક તંત્રને જાણ કરવી, સમયસર સારવાર શરૂ કરવી અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય યોગદાન આપી સમાજમાં જાગૃતિ ફેલાવવી.


