રાજકોટમાં સૌથી વધુ પાણી ભરાતા પોપટપરાના નાલાનો પ્રશ્ન હવે થશે ભૂતકાળ…
કરોડોના ખર્ચે પાણી નિકાલ અંગે પાઈપલાઈન નંખાશે: રેલવે સાથે મનપા દ્વારા સંકલન કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકાના પોતાના રેકોર્ડ મુજબ શહેરમાં એવા 87 પોઇન્ટ છે, જે ભારે વરસાદમાં જળબંબોળ થઈ જાય છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારો પૈકી વોર્ડ નંબર 3 માં આવેલું પોપટપરા નાળું દાયકાઓથી સૌથી ગંભીર પ્રશ્ન રહ્યું છે.
હવે મનપાએ આ નાળામાં ભરાતા વરસાદી પાણીને પાઇપલાઇન મારફતે ડાયવર્ટ કરવાની મહત્વની યોજના તૈયાર કરી છે, જેથી લોકોને આ વાર્ષિક હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે. જોકે, આ વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થતાં અંદાજે એક વર્ષનો સમય લાગશે. આથી, પોપટપરા નાળા માટે પાણી ભરાવાનું આ સંભવતઃ છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે.
ચોમાસામાં એકાદ ઇંચ વરસાદથી પોપટપરા નાળું ઓવરફ્લો જૂના રાજકોટના સમયનું આ નાળું શહેરનું સૌથી જૂનું છે. વાસ્તવિક રીતે રેલવે સ્ટેશન રોડથી પોપટપરા જતા કુદરતી વહેણ (વોટર-વે) ઉપરથી ટ્રેનના પાટા પસાર થાય છે. આ નાળું મૂળ વરસાદી પાણીના નિકાલ માટે જ બનાવાયું હતું. સમય જતાં આજુબાજુના વિસ્તારોને જોડવા માટે અહીંથી વાહન વ્યવહાર શરૂ કરાયો. આજે આ નાળું એક મુખ્ય રસ્તો બની ગયું છે, જે પોપટપરાને રેલનગર, સાધુ વાસવાણી કુંજ રોડ અને છેક માધાપર ચોકડી સાથે કનેક્ટ કરે છે.
ચોમાસામાં માત્ર એકાદ ઇંચ વરસાદ પડે તો પણ આ નાળું ઓવરફ્લો થઈ જાય છે, કારણ કે પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક જગ્યા નથી. ગત વર્ષે પણ ભારે વરસાદમાં અહીં એસટી (ST) બસ સહિત અનેક વાહનો ફસાવાની ગંભીર ઘટનાઓ બની હતી, જેના કારણે આ પોઇન્ટ મનપાના ચોપડે ‘રેડ ઝોન’ માં આવે છે.
વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના સતત સંકલન બાદ એક ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો નાળાની બાજુમાં આવેલી રેલવેની માલિકીની જગ્યામાંથી પાઇપલાઇન કાઢવામાં આવે, તો વરસાદી પાણીનો પ્રવાહ સીધો અંદરથી જ સંતોષીનગર તરફ ડાયવર્ટ થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 100 મીટરના અંતરમાં વાલ્વ ચેમ્બર સહિતની અત્યાધુનિક કામગીરી કરવામાં આવશે. આ નવી સિસ્ટમ કાર્યરત થતાં જ વરસાદી પાણી સીધું આજી-2 ડેમ સુધી પહોંચશે અને નિકાલ સરળ બનશે.
મનપાનું આયોજન ખૂબ જ સચોટ છે, પરંતુ નવી પાઇપલાઇન રેલવેની સરહદમાંથી પસાર થતી હોવાથી વહીવટી ગૂંચ ઊભી થઈ છે. રાજકોટ મનપાએ આ દરખાસ્ત મૂકતા રેલવે તંત્રએ ટ્રેનની સેફ્ટી સહિતની બાબતોની શરત રાખીને આ કામ માટે ₹5.50 કરોડનો જંગી ચાર્જ માંગ્યો છે. મનપાને રેલવે દ્વારા માંગવામાં આવેલી આ રકમ ઘણી વધારે લાગતા, ચાર્જ ઘટાડવા માટે ફરીથી પત્રવ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. રેલવે તરફથી આખરી મંજૂરી મળ્યા બાદ જ પ્રત્યક્ષ કામ શરૂ થઈ શકશે.
હાલ પૂરતું આ આખું આયોજન કાગળ પર અને પત્રવ્યવહારમાં અટવાયેલું હોવા છતાં, વહીવટી તંત્રની સક્રિયતા જોતાં આગામી વર્ષના ચોમાસા સુધીમાં પોપટપરા નાલાનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જશે તેવી પૂરી આશા છે. અહીંથી રોજ પસાર થતા હજારો વાહનચાલકોને ભવિષ્યમાં પૂરના પાણીમાંથી કાયમી રાહત મળશે.


