NEET મુદ્દે 23 દિવસની હડતાળ પછી બદલાયો એજન્ડા?
સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું
સંસદ તરફ કૂચ દરમિયાન ટિયર ગેસ અને પ્રદર્શનકારીઓની અટકાયતો, CJPના પ્રતિનિધિઓ જેપી નડ્ડાને મળ્યા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ગાયબ, સંસદ માર્ચ વચ્ચે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે સમાધાનની અટકળો તેજ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની માગ સાથે છેલ્લા 23 દિવસથી આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના વલણમાં અચાનક આવેલા બદલાવને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. અત્યાર સુધી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલા આંદોલનમાં હવે વાંગચુકે જાહેર કરેલી ત્રણ નવી શરતોમાં રાજીનામાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે કોઈ અંદરખાને સમાધાન થયું હોવાની અટકળો ઉઠી રહી છે.
રવિવારે સોનમ વાંગચુકે પોતાના સોશિયલ મીડિયા પર હાથથી લખેલી નોંધ જાહેર કરીને જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ વ્યવસ્થાની તાજેતરની ભૂલોની જવાબદારી સ્વીકારે, સંસદમાં શિક્ષણ મુદ્દે ચર્ચાની ખાતરી આપવામાં આવે અથવા તેમની તબિયત વધુ બગડતાં વિવિધ પક્ષોના સાંસદો અને નેતાઓ આવીને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે તો તેઓ ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. આ ત્રણેય શરતોમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગનો અભાવ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચતા પોલીસે બેરિકેડિંગ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ તંગ બનતાં ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અનેક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશન સુધી પહોંચેલા કેટલાક પ્રદર્શનકારીઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા.
આ દરમિયાન CJPના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા. સૌરભ દાસે દાવો કર્યો કે સરકાર તરફથી ચર્ચા માટે પહેલ કરવામાં આવી છે. આ ઘટનાએ સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાનની અટકળોને વધુ બળ આપ્યું છે.
વાંગચુક હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખીને સંસદ માર્ચમાં જોડાવા માટે ડિસ્ચાર્જ કરવાની માંગ કરી છે. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકે પણ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હોવાનું જાહેર કર્યું છે. AISAના ત્રણ વિદ્યાર્થી નેતાઓએ પણ 23 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યો છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શરૂઆતથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મુખ્ય મુદ્દો બનાવનાર આંદોલન હવે સંસદમાં ચર્ચા અને રાજકીય આશ્વાસન સુધી સીમિત થતું દેખાઈ રહ્યું છે. કેટલાક વરિષ્ઠ પત્રકારોએ તેને સરકારની વ્યૂહાત્મક સફળતા ગણાવી છે, જ્યારે કેટલાકના મતે સોનમ વાંગચુકની સતત બગડતી તબિયત અને લાંબા ઉપવાસને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.
દરમિયાન અમદાવાદમાં પણ સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. લો ગાર્ડન નજીક ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવીને અટકાયત કરી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વાંગચુકની ત્રણ નવી શરતો
સરકાર શિક્ષણ વ્યવસ્થાની ભૂલોની જવાબદારી સ્વીકારે.
સંસદમાં શિક્ષણ મુદ્દે ચર્ચાની ખાતરી આપવામાં આવે.
તબિયત બગડે તો સાંસદો-નેતાઓ આવી ખાતરી આપે તો ઉપવાસ સમાપ્ત કરશે.
રાજીનામાની માગ કેમ બની ચર્ચાનો વિષય?
આંદોલનની શરૂઆતથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સૌથી મોટો મુદ્દો હતી. હવે નવી શરતોમાં તેનો ઉલ્લેખ ન હોવાથી વાંગચુકે પોતાનું વલણ નરમ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
સંસદ માર્ચ દરમિયાન ભારે હોબાળો
પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચતા પોલીસે બેરિકેડિંગ કર્યું, ટિયર ગેસ છોડ્યો અને અનેક લોકોને કસ્ટડીમાં લીધા. સંસદ વિસ્તારના તમામ ગેટ પર સુરક્ષા વધારવામાં આવી.
જેપી નડ્ડા સાથે CJPની મુલાકાત
CJPના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળ્યા. સરકાર દ્વારા ચર્ચા માટે પહેલ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભૂખ હડતાળમાં મોટો ફેરફાર
CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી. AISAના ત્રણ વિદ્યાર્થી નેતાઓએ પણ 23 દિવસ બાદ ઉપવાસ પૂર્ણ કર્યો.
અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન
લો ગાર્ડન નજીક સોનમ વાંગચુકના સમર્થનમાં અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન થયું. પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવી અનેકની અટકાયત કરી.
સમાધાન કે વ્યૂહરચના?
સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે અંદરખાને કોઈ સમજૂતી થઈ હોવાની અટકળો છે. જોકે, હજુ સુધી બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


