કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન
અનાથ બાળકોની ઉત્કૃષ્ટ સાર-સંભાળ અને સંસ્કાર સિંચન બદલ સંસ્થાના સંચાલકોનું બહુમાન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં રાજકોટ જીલ્લાની મુલાકાતે આવેલ ગુજરાત સરકારના બાળ સરંક્ષણ આયોગના ચેરમેન સહિતની કમિટીએ નિરાધારનો આધાર એવા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની મુલાકાત લેતા ત્યાં અનાથ બાળકોને આદરપૂર્વક સારસંભાળ-સુરક્ષા-શિક્ષણ-સંસ્કાર-ભોજન વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા પ્રભાવિત થઇ ગયા હતા. અને ગુજરાતભરમાં આવી એક પણ સંસ્થા ન હોય બાલાશ્રમના સંચાલકોને અભિનંદન આપી બાળ સરંક્ષણ આયોગનો ખેસ પહેરાવી સન્માનિત કરતા ગદગદિત થઇ ગયેલ. અને બાળકો સાથે ભોજન પણ લઈને આનંદિત થયા હતાં.
બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેને જણાવેલ કે સરકારમાંથી કોઈપણ જાતની ગ્રાન્ટ લીધા વગર સરકારને સામેથી મદદરૂપ થઈ રહેલ ૧૧૯ વર્ષ જૂની નમૂનેદાર સંસ્થા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમને સરકાર તરફથી સંપૂર્ણપણે સહયોગ મળતો રહે અને સંચાલનમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે સરકારના બાળ સરંક્ષણ અધિકારો અંગેની કાર્યવાહી સંભાળતા બાળ કલ્યાણ સમિતિ તથા જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ- કમિટી-સ્ટાફ વગેરેને ખાસ સલાહ આપી ભલામણ કરેલ અને વિવેકબુધ્ધિ પૂર્વક સહકાર આપવા તાકીદ કરેલ છે.
સમિતિએ બાલાશ્રમમાં આવેલ ઘોડિયાઘરની મુલાકાતમાં જણાવેલ કે આવું સ્વરછ-સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઘોડિયાઘર અમે ક્યાય જોયું નથી. અહી એક દિવસથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકો રહે છે. ટીમેં ઘોડીયાઘરના બાળકોને રમાડીને ભાવવિભોર બની ગયેલ ઉપરાંત ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ ગઇ હતી.
બાલાશ્રમના સંચાલકો પ્રમુખ અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સી.એચ.પટેલ તથા પ્રવીણભાઈની ટીમને અભિનંદન આપતા જણાવેલ કે તમો ખુબ લાંબુ તંદુરસ્ત જીવન જીવો અને બાળકોની આવીને આવી સાર-સંભાળ રાખવા ઈશ્વર આપની ટીમને શક્તિ આપે તેવી શુભેરછા વ્યક્ત કરી નતમસ્તકે ભીની આંખે પુષ્પગુરછ અને બાળ સરંક્ષણ આયોગ ગાંધીનગરનો ખેસ પહેરાવીને સન્માનિત કરેલ તથા બાળકોને પ્રેમ-હુંફ આપી લાગણી સાથે આશીર્વાદ આપ્યા હતાં.
બાળ આયોગની ટીમ સાથે બાલાશ્રમની મુલાકાત દરમ્યાન સુપ્રિ.પ્રતિભાબેન, સુરેશભાઈ, જ્યોત્સનાબેન, હેમાલીબેન, ચાર્મીબેન, વગેરે કર્મચારીઓ સાથે રહી બાલાશ્રમના બાળકોની તમામ ગતિવિધિઓ વહેવાર વગેરેથી માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત ટીમે બાલાશ્રમ સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિરની મુલાકાત લઈને બાળકો સાથે હ્રદયસ્પર્શી વાર્તાલાપ કરી આનંદિત થયેલ અને અત્યાધુનિક ટોયરુમ તથા વાતાનુકુલિત અદ્યતન ઓડીટોરીયમ તથા સ્માર્ટ રૂમ જોઇને પ્રફુલિત થઇ ગયેલ. બંને જગ્યાએ બાળકો દ્વારા પુષ્પગુરછ આપીને સન્માનિત કરાયેલ. ટીમ સાથે બાળ કલ્યાણ સમિતિ ઉપરાંત સરકારની બાળ સરક્ષણ અધિકારોની કચેરીના અધિકારીઓ, સ્ટાફ સાથે ઉપસ્થિત રહેલ સીનીયર સીટીઝન હોમની મુલાકાત પણ લઈને તેનો પ્રાર્થના હોલ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.


