પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્વ બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલને પાઠવી શ્રદ્ધાંજલિ
બિશપ ગ્રેગોરીજી સર્વધર્મ સમભાવ, માનવસેવા અને કરુણાના જીવંત પ્રતિક હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કેથોલિક ડાયોસીસના પૂર્વ બિશપ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રેમ, સેવા તથા માનવતાના મૂલ્યોના પ્રખર ઉપાસક રેવ. બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલના અવસાન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તેમજ GCCIના ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઊંડી શોકસંવેદના વ્યક્ત કરી છે.
ડૉ. કથીરિયાએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, “બિશપ ગ્રેગોરીજી સાથેનો મારો પરિચય પરસ્પર આદર, માનવસેવા અને સમાજહિતના સંકલ્પોથી જોડાયેલો હતો. કેન્દ્રીય મંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન તેમજ સામાજિક, શૈક્ષણિક અને સર્વધર્મ સમભાવના કાર્યક્રમોમાં તેમની સાથે મળવાનો અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો અવસર મળ્યો હતો. તેમના વ્યક્તિત્વની સાદગી, વિનમ્રતા અને નિઃસ્વાર્થ સેવાભાવ આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે.”
તેમણે ઉમેર્યું કે, બિશપ ગ્રેગોરીજી માત્ર ધાર્મિક ઉપાસના પૂરતા મર્યાદિત ન રહેતા માનવસેવાને જ સાચો ધર્મ માનતા હતા. શિક્ષણ, આરોગ્ય, ગરીબો અને વંચિતો સુધી સહાય પહોંચાડવા તેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે ક્યારેય જાતિ, ધર્મ કે સમાજના ભેદભાવને સ્થાન આપ્યું ન હોવાથી તેઓ માત્ર ખ્રિસ્તી સમાજ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વધર્મ સમભાવના આદરણીય ધર્મગુરુ તરીકે સ્થાન પામ્યા હતા.
અંતમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ રાજકોટ કેથોલિક ડાયોસીસ, સમગ્ર ખ્રિસ્તી સમાજ, બિશપ ગ્રેગોરીજીના પરિવારજનો અને અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે બિશપ ગ્રેગોરીજી દ્વારા પ્રગટાવવામાં આવેલો પ્રેમ અને સેવાનો દીપક આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતો રહેશે.


