જેતપુરમાં પીજીવીસીએલની રીપેરીંગ ટીમની કામગીરીથી વીજ પુરવઠો સતત કાર્યરત
કાર્યપાલક ઈજનેર અને નાયબ ઈજનેર માર્ગદર્શન હેઠળ ચોમાસામાં સતત મોનિટરિંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
પીજીવીસીએલ વીરપુર સબડિવિઝનની ટીમ દ્વારા ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ સુવ્યવસ્થિત રહે તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે ખેડૂતો અને સ્થાનિક ગ્રાહકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
જેતપુર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવા તેમજ વીરપુર સબડિવિઝનના નાયબ ઈજનેર એસ.જે. મકવાણાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોના અનેક ફીડરો પર ઉભી થયેલી તકનીકી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ન જાય અને લોકોને વીજળી સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે જે.ઈ.ડામોર તેમજ એસ.એ.આઘેરા અને એલઆઈ.એમ એસ રાઠવા તથા તેમની રીપેરીંગ ટીમ સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે. વરસાદી માહોલમાં પણ વીજ લાઈનો, ફીડરો અને અન્ય સાધનોનું સમયસર રીપેરીંગ કરીને વીજ પુરવઠો નિયમિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
વરસાદ ખેંચાતા ખેતી માટે વીજ પુરવઠાની જરૂરિયાત વધતા કૃષિ ફીડરોનું પણ પ્રાથમિકતાના ધોરણે રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સમયસર વીજળી મળી રહે અને ખેતીના કાર્યોમાં કોઈ અવરોધ ઊભો ન થાય.
પીજીવીસીએલની આ ઝડપી અને જવાબદાર કામગીરીને કારણે વીરપુર પંથકના ખેડૂતો તેમજ નાગરિકોએ અધિકારીઓ, કર્મચારીઓ અને રીપેરીંગ ટીમની કામગીરીને બિરદાવી છે. સ્થાનિકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવવા માટે પીજીવીસીએલની ટીમ સતત સેવા આપી રહી છે.


