ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
વિવિધ કામગીરીની સમીક્ષા કરતા કમિશનર : જરૂરી સૂચનો કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સરવે વધારવા અને નાના બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી. મેલેરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર તથા માખીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન ફોગિંગ અને એન્ટી-લાર્વલ (Pesticide Spraying) કામગીરી વધુ ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ કેસોના તાત્કાલિક નિદાન અને આઇસોલેશન માટે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સતત સંકલન રાખવા માટે જણાવવામાં આવેલ છે, જેથી કોઈપણ કટોકટીમાં ત્વરિત સારવાર પૂરી પાડી શકાય.
ગમાણ અને તબેલા વિસ્તારમાં ગંદકી ન થાય તથા જીવજંતુઓનો ઉપદ્રવ ન વધે તે માટે એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને સઘન ઝુંબેશ ચલાવવા સૂચના અપાઈ. ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે કાચા મકાનો, તિરાડો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો છંટકાવ (Dusting) સઘન બનાવવા આદેશ અપાયા. સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ.


