રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ
સોમનાથ સોસાયટી વિસ્તારમાં સોલ્વન્ટ તરફથી આવતા વોંકળાની યોગ્ય સફાઇ ન થઇ હોવાનો આક્ષેપ : પૂરની સ્થિતિ સર્જાય તો ૫૦ ઘરોને અસર થવાનો ભય : મનપાના કરાર આધારિત કર્મચારીએ વ્યકત કરેલો ડર
અગ્ર ગુજરાત, રાજકોટ
મનપા દ્વારા ચોમાસા પૂર્વે નાના-મોટા વોકળાઓની સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતાં. મનપા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર ફોટોસેશન અને કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ખુદ મનપામાં જ ફરજ બજાવતા કર્મચારીઓની પોતાની રજૂઆતો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ કાને ધરતા નથી, જેના કારણે સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે તે વિચારી શકાય છે. રણુજા મંદિર પાછળ વોકળા સફાઈ મુદ્દે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ જ મનપાની પોલ ખોલતા કહ્યું કે- વધુ વરસાદ આવે તો 50થી વધુ ઘરોને જોખમ છે. જોકે વારંવાર સફાઈ કરવા છતાં સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો બચાવ કોર્પોરેટરે કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિરની પાછળ અને સોમનાથ સોસાયટી વિસ્તારમાં સોલ્વન્ટ તરફથી આવતા મુખ્ય વોકળાની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ વિસ્તારમાં રહેતા અને મનપાના ફાયર વિભાગના ચીફ ઓફિસરના પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ઘનશ્યામ ચાવડાએ તંત્રની ઢીલી નીતિનો પર્દાફાશ થયો છે. ઘનશ્યામ ચાવડાના જણાવ્યા મુજબ, રણુજા મંદિર પાછળ આવેલા પુલ અને વોકળાની યોગ્ય સફાઈ ન થવાના કારણે 3 થી 4 સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટર સંજય સિંહ રાણાને 2 વખત રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરેટરે માત્ર “હા, થઈ જશે” તેવા પોલા આશ્વાસનો જ આપ્યા હતા. ત્યારબાદ તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચાવડાને સ્થળ પરનો વીડિયો બતાવી રજૂઆત કરી હતી. જોકે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી જેસીબી મોકલીને કામ કરાવવાનું કહેવામાં આવ્યું હોવા છતાં દિવસો વિતી ગયા પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
સામાન્ય વરસાદમાં પણ વોકળો ઉભરાઈ જવાને કારણે વિસ્તારમાં 1 ફૂટ જેટલા પાણી ભરાય છે. ત્યારે જો દક્ષિણ ગુજરાત જેવો ભારે વરસાદ રાજકોટમાં પડે તો આજુબાજુની સોસાયટીઓના 50 કરતા વધારે ઘરોમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. વોકળાની યોગ્ય સફાઈ નહીં થવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી અને લોકોને ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સતાવી રહી છે.
કોર્પોરેશનમાં જ કામ કરતા કર્મચારી હોવા છતાં પણ જો તેમની વ્યાજબી રજૂઆત પર કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તો સામાન્ય પ્રજાનો અવાજ તંત્ર સુધી કેવી રીતે પહોંચશે? સ્થાનિકોની માંગ છે કે ચોમાસાની પૂર્ણતા પહેલા આ વોકળાની યોગ્ય અને ઊંડી સફાઈ કરવામાં આવે જેથી ભારે વરસાદ દરમિયાન લોકોના ઘરમાં પાણી ભરાય નહીં અને જાનમાલનું નુકસાન અટકી શકે. આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.


