સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ
265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા
સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ; 194 તાલુકામાં એક ઇંચથી વધુ વર્ષા, ખરિફ પાકને જીવતદાન અને જળાશયોમાં નવા નીરની આવકથી રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત રહેલો વરસાદ હવે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 265 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાતા ચોમાસાએ રાજ્યભરમાં જોરદાર હાજરી નોંધાવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું, જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતી અને જળસંચય બંને ક્ષેત્રે રાહતનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ અંદાજે 50 ટકા સુધી પહોંચી ગયો છે. સતત વરસાદને કારણે ખરિફ પાકને નવજીવન મળ્યું છે, જ્યારે તળાવો, ડેમો અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થતાં પીવાના પાણીની ચિંતા પણ ઘટી રહી છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સાંતલપુરમાં 15 ઇંચ બાદ રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેમદાવાદમાં વધુ 8.39 ઇંચ વરસાદ પડ્યો હતો. દાંતીવાડા અને થાનગઢમાં 7.09-7.09 ઇંચ, વાંકાનેરમાં 6.93 ઇંચ, થરાદના સૂઈ ગામમાં 6.81 ઇંચ, ઓગડમાં 5.98 ઇંચ, દેહગામમાં 5.71 ઇંચ, થરાદ અને સોજીત્રામાં 5.04-5.04 ઇંચ તેમજ ડીસા, કઠલાલ અને વસોમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યના પાંચ તાલુકામાં 10 ઇંચથી વધુ, 12 તાલુકામાં 5થી 10 ઇંચ અને 18 તાલુકામાં 4થી 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 71 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
તાજેતરના દિવસોમાં અમદાવાદ, ખેડા, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા આશરે 38 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફ-એસડીઆરએફ સહિતની બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. હાલમાં માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સોમવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ ઘટે તેવી આગાહી કરવામાં આવી છે.
સાંતલપુરમાં 15 ઇંચ સાથે વરસાદનો રેકોર્ડ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના પાંચ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
ગુજરાતના કુલ 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં 194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 12 તાલુકામાં 5થી 10 ઇંચ, 18 તાલુકામાં 4થી 5 ઇંચ અને 71 તાલુકામાં એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં મેઘમહેરના કારણે ચોમાસાએ ગતિ પકડી છે.
ખેડૂતોને રાહત, જળાશયોમાં નવા નીરની આવક
સાર્વત્રિક વરસાદથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખરિફ પાકને પૂરતું પાણી મળતાં ખેતીને જીવતદાન મળ્યું છે. બીજી તરફ ડેમો, તળાવો અને અન્ય જળાશયોમાં નવા નીરની આવક થતાં પીવાના પાણી અને સિંચાઈ માટે પણ રાહતની આશા વધી છે.
38 હજાર લોકોનું સ્થળાંતર, 3,500નું રેસ્ક્યૂ
તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા, જ્યારે 3,500થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ પણ તમામ જિલ્લાઓમાં બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં સિઝનનો 45.84% વરસાદ, નર્મદા ડેમ 68.33% ભરાયો
ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 73.67 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે સૌથી ઓછો 6.32 ટકા કચ્છમાં નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 43.37 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 68.33 ટકા ભરાયો છે. રાજ્યમાં 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે 15 જળાશયો હાઈ એલર્ટ, 5 એલર્ટ અને 4 ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે. વરસાદથી જળસંગ્રહમાં સુધારો થતાં ખેડૂતો અને પાણી પુરવઠા માટે રાહત સર્જાઈ છે.
રાજકોટમાં મધરાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ત્રણ ઈંચ વરસાદથી શહેર તરબોળ
રાજકોટ શહેરમાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતાં આશરે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મનપાના ફાયર બ્રિગેડના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં 73 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 69 મીમી અને ઈસ્ટ ઝોનમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ આશરે 9.50 ઈંચ સુધી પહોંચી ગયો છે.
ભારે વરસાદની અસર હેઠળ શહેરના ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ, વોકહાર્ટ હોસ્પિટલ સામે આવેલી સૂર્યોદય સોસાયટી તેમજ 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં વૃક્ષો પડ્યાની નોંધ ફાયર બ્રિગેડમાં થઈ હતી. જોકે વરસાદ મધરાત્રે વરસતાં કોઈ જાનહાનિ કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ નહોતી.
હવામાન વિભાગે આજે રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારથી પણ શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં ઠંડુ અને આનંદદાયક વાતાવરણ જોવા મળ્યું છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના જળાશયોમાં વરસાદી પાણીની નવી આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ : કલેકટર તંત્રની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર તંત્રે નાગરિકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ગત સાંજથી લોધિકા, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી અને જેતપુર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ શરૂ થતાં તંત્રે આગોતરા તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે.
કલેકટર તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ અથવા વહેતા પાણીમાંથી વાહન કે પગપાળા પસાર ન થવા તેમજ નદી, નાળા અને જળાશયોથી દૂર રહેવા જણાવ્યું છે. ભારે વરસાદ દરમિયાન વૃક્ષો, વીજ પોલ અથવા અસ્થિર ઇમારતોની નીચે આશરો ન લેવા પણ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી અને પાવર બેંક જેવી જરૂરી સામગ્રી વોટરપ્રૂફ બેગમાં તૈયાર રાખવા જણાવાયું છે.
આપત્તિ, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નં. 0281-2471573 તથા ટોલ ફ્રી 1077 પર સંપર્ક કરવા તેમજ અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા તંત્રે અનુરોધ કર્યો છે.


