ગુજસીટોકમાં વોન્ટેડ કાળીયા ગેંગનો સાગરીત આખરે ઝડપાયો
ત્રણ મહિનાથી ફરાર વિક્રમ ચારોલિયા ગોંડલની ગુંદાળા ચોકડી પાસેથી ઝડપાયો; આજીડેમના ઘરફોડ ચોરી કેસમાં પણ હતો વોન્ટેડ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં ચોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત ‘કાળીયો ગેંગ’ સામે નોંધાયેલા ગુજસીટોક કેસમાં વધુ એક મહત્વની સફળતા પોલીસને મળી છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં તેમજ આજીડેમ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર રહેલો ગેંગનો સાગરીત વિક્રમ ધીરુ ચારોલિયાને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે કાળીયો ગેંગના નવ સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધ્યો હતો. ગેંગના મુખ્ય સૂત્રધાર રણજિત ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી સહિત મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે બે આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
કાળીયો ગેંગના સભ્યો સામે રાજકોટ ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ચોરી, ઘરફોડ અને અન્ય ગંભીર ગુનાઓ મળી કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન રૂરલ એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી અને પી.એન. ભરવાડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વિક્રમ ચારોલિયા ગોંડલની ગુંદાળા ચોકડી નજીક જોવા મળ્યો છે. બાતમીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન ઓવરબ્રિજ નીચેમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વિક્રમ ચારોલિયા ગુજસીટોકના ગુના ઉપરાંત આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા અંદાજે ₹4.07 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પણ વોન્ટેડ હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની પૂછપરછના આધારે ગેંગના અન્ય ફરાર સાગરીતો તેમજ બાકી રહેલા ગુનાઓ અંગે વધુ માહિતી મેળવવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.


